શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 31 માર્ચ 2020 (16:52 IST)

કોંગ્રેસે કર્યા આકરા પ્રહાર, AMCની ભરતી પ્રક્રિયામાં સોશિયલ ડિસ્ટન્સિંગની મજાક ઉડાવી

રાજ્યમાં કોરોનાના 73 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 6 લોકોના મોત થઈ ગયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 25 પોઝિટિવ કેસ સામે આવ્યા છે અને ત્રણના મોત થઈ ગયા છે. જેના કારણે સરકારી હોસ્પિટલમાં મેડિકલ ઈમરજન્સીને પહોંચી વળવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અર્બન હેલ્થ સોસાયટી દ્વારા 354 મેડિકલ અને 354 પેરા મેડિકલની કરાર આધારિત ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. 
 
જો કે સોમવારે વહેલી સવારમાં વોક ઈન ઈન્ટરવ્યુ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડ્યા હતા. ઈન્ટરવ્યુ આપવા આવેલા ઉમેદવારોએ ઝેરોક્ષની દુકાન અને મ્યુનિસિપલ કોર્પોરેશનના મુખ્ય આરોગ્ય અધિકારીની કચેરી બહાર જ મોટી ભીડ જામી હતી.
 
 
અમદાવાદમાં AMCની ભરતી પ્રક્રિયામાં મોટી પોલ ખુલી છે. જોરશોરથી AMC લોકોને લોકડાઉનનું પાલન કરાવે છે અને જે લોકો ના માને તેમના પાસેથી મોટો દંડ વસૂલ કરે છે. ત્યારે આજે AMC કોર્પોરેશનની ઓફિસે જ લોકડાઉનના ધજાગરા ઉડ્યા હતા. લાખો લોકોને સલાહ આપનારા AMC કોર્પોરેશન જ પોતાની સલાહનું પાલન ના કરી રહ્યું હોવાનું સામે આવ્યું હતું. આ ઘટના બાદ તેની વિપરીત અસર લોકો પર દેખાય તો નવાઈ નહીં.
 
 
આજની ઘટના બાદ લોકોના મનમાં અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. જો શાસકો જ આવી ભૂલ કરશે તો પ્રજા કઈ રીતે તેમની વાત માનશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અર્બન હેલ્થ સોસાયટીની ભરતી પ્રક્રિયામાં ટોળા એકઠા થતા સામાજિક અંતરની વાત મજાક બની ગઈ હતી. અર્બન હેલ્થ સોસાયટીની ભરતીમાં 354 મેડિકલ ઓફિસર અને 354 પેરા મેડિકલ સ્ટાફની ભરતી કરવાની હતી. એક આશ્ચર્યજનક વાત સામે આવી હતી કે, માત્ર ઈન્ટરવ્યૂ પર જ 11 માસના કરાર આધારે ભરતી થવાની હતી.
 
 
બીજી બાજુ AMC ઓફિસે પહેલેથી મોટી સંખ્યામાં લોકો આવવાની જાણ હોવા છતાં ધાબા પર કે કેમ્પસમાં મંડપ જેવી કોઈ વ્યવસ્થા કરવામાં આવી નહોતી. જેને પગલે ઉમેદવારો તડકામાં ઉભા રહ્યાં હતા. હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ શહેરની તમામ દુકાનો પર એક મીટરનું અંતર રાખવા સૂચના આપે છે. પરંતુ આરોગ્ય ભવનમાં આ સૂચનાનો અમલ થઈ રહ્યો નથી. જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર પણ માત્ર ટ્વીટર પર સુચના આપવામાં સક્રિય છે.
 
 
વૈશ્વિક મહામારી બાદ સફાળી જાગેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકો જે રીતે અમદાવાદમાં ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફની ભરતી કરતા ટોળા ઉમટી ગયા તે દર્શાવે છે કે ૭૫ લાખ વસતી ધરાવતાં મેગાસિટી-સ્માર્ટ સિટી અમદાવાદમાં જ આરોગ્ય સેવામાં લાંબા સમયથી કાયમી ભરતી પ્રક્રિયા હાથ ધરાયેલ નથી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવકતા ડૉ.મનિષ દોશીએ રાજ્ય સરકાર અને કોર્પોરેશનના ભાજપ શાસકોની આગ લાગે પછી કૂવો ખોદવાની બેદરકારી પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે વિશ્વ આરોગ્ય સંસ્થા તે ચેતવણી આપી વિશ્વના અનેક દેશોમાં મહામારીનાં કેસો સામે આવ્યા હતા. 
 
દેશમાં અને ગુજરાતમાં મહામારી પહોંચી ગયા બાદ શાસકો જાહેર હિતને બદલે જાહેરાતોમાં વ્યસ્ત છે. અમદાવાદ જેવા મેગાસિટી-સ્માર્ટ સિટીની આરોગ્ય સેવા આ પ્રકારની હોય તો પછી ગ્રામ્ય વિસ્તાર અને અંતરીયાળ વિસ્તારમાં તો કેવી કટોકટી હશે? રાજ્યમાં મોટાપાયે ડોક્ટરોની જગ્યાઓ ખાલી છે નર્સ, મલ્ટી પર્પસ હેલ્થ વર્કર, ફાર્માસિસ્ટ ,લેબોરેટરી આસિસ્ટન્ટ સહિતની પેરામેડિકલ સ્ટાફ ની જગ્યા મોટા પાયે વર્ષોથી ખાલી છે. રાજ્યમાં એક તરફ ૫૦૦૦૦ જેટલી નર્સ,ફાર્માસિસ્ટ, મલ્ટી પર્પસ હેલ્થ વર્કર અને લેબ આસિસ્ટન્ટ સહિતના યુવાનો નોકરી માટે રાહ જુએ છે ત્યારે સરકાર વૈશ્વિક મહામારીના આ કટોકટીનાં સમયમાં હજારો યુવાનોને આરોગ્ય સેવામાં જોડવા જોઈએ
.