બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 2 જાન્યુઆરી 2021 (12:36 IST)

અમદાવાદના મેઘાણીનગરમાં મિત્રએ જ બીજા મિત્રને છરીના ઘા મારી રહેંસી નાંખ્યો

શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા મેઘાણીનગર વિસ્તારમાં ગુનાખોરી ડામવામાં પોલીસ નિષ્ફળ રહી છે. 31 ડિસેમ્બરના રોજ રૂ. 1.77 કરોડના સોનાના પાર્સલની લૂંટની ઘટનાના 24 કલાક બાદ ભાર્ગવ રોડ પરની ડિફેન્સ કોલોનીમાં જાહેરમાં જ મિત્રએ મિત્રની છરીના ઘા મારી હત્યા કરી નાંખી હતી. નાસ્તો કરવા બાબતે બે મિત્રો વચ્ચે થયેલી બોલાચાલીમાં મૃતકે આરોપી મિત્રને લાફા માર્યા હતા. જેની અદાવતમાં આરોપીએ મૃતકને સાંજે પોતાની પાસે બોલાવી છરીના ઉપરાછાપરી ઘા મારી રહેંસી નાંખ્યો હતો. મેઘાણીનગર પોલીસે હત્યાના બનાવ અંગે બે યુવકો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
 
 મેઘાણીનગર ભાર્ગવ રોડ પર ડિફેન્સ કોલોનીમાં ઘનશ્યામ ઉર્ફ બાબા જગમોહન રાજપૂત (ઉ.વ,24) રહેતો હતો. શુક્રવારે બપોરે ઘનશ્યામ ઉર્ફ બાબા રાજપૂત, રીંકુ ઉર્ફ ટમાટર અને અન્ય મિત્રો ડિફેન્સ કોલોની પાસે આવેલા ખુલ્લા મેદાનમાં નાસ્તો કરતા હતા. તે સમયે બોલાચાલી થતા ઘનશ્યામે મિત્ર રીંકુ ઉર્ફ ટમાટરને બે-ત્રણ લાફા મારી દીધા હતા.  સાંજે ઘનશ્યામ ઉર્ફ બાબા ડિફેન્સ કોલોની ગાયત્રી મંદિર પાસે તેના મિત્રો દેવેન્દ્રકુમાર રાજપૂત, ધીરજ ઠાકુર, રામનરેશ તોમર અને દિલીપ યાદવ પાસે ઉભો હતો.
 
 દરમ્યાનમાં ઘનશ્યામે બપોરે રીંકુ સાથે બનેલી તકરારની ઘટનાની વાત કરી હતી. તે સમયે 100 મીટર દૂર ઉભેલા રીંકુએ ઘનશ્યામને બૂમ મારીને પોતાની પાસે બોલાવ્યો હતો. ઘનશ્યામ અને રીંકુ બન્ને વાતચીત કરતા હતા. તે સમયે રીંકુના કાકાનો દીકરો ચેતન બીરન રહદાસ પહોંચ્યો હતો. ચેતને ઘનશ્યામના બે હાથ પાછળથી પકડી લીધા અને અચાનક રીંકુ ઉર્ફ ટમાટરે તેની પાસેનું ચાકુ કાઢી ઘનશ્યામને ઉપરાછાપરી ચાર ઘા મારી દીધા હતા. ઘનશ્યામ જમીન પર ફસડાઇ પડ્યો હતો, જ્યારે હુમલાખોરો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ઘનશ્યામને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. સારવાર દરમિયાન ઘનશ્યામનું મોત થયું હતું. આ બનાવને પગલે મેઘાણીનગર પોલીસે મૃતક ઘનશ્યામ ઉર્ફ બાબાના મિત્ર દેવેન્દ્રકુમારની ફરિયાદ આધારે આરોપી રીંકુ ઉર્ફ ટમાટર ભગવાનદાસ રહેદાસ અને તેના પિતરાઈ ભાઈ ચેતન બિરન રહેદાસ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.