ગુરુવાર, 19 સપ્ટેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: રાધનપુર , શુક્રવાર, 12 જુલાઈ 2024 (13:26 IST)

રાધનપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માતઃબસ અને ટ્રક અથડાતા ચાર લોકોએ જીવ ગુમાવ્યો

bus accident
bus accident
 ગુજરાતમાં અકસ્માતના બનાવો સતત વધી રહ્યાં છે. હાઈવે પર બેફામ પણે ચાલતા ભારે વાહનો અકસ્માતો સર્જી રહ્યાં છે. રાધનપુરના ખારીયા નદીના પુલ પાસે મોડી રાત્રે આણંદથી રાપર જતી એસટી બસ અને ટ્રક વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાર લોકોના મૃત્યુ થયાં હતાં. આ અકસ્માતમાં બસના ડ્રાઈવર, કંડક્ટર અને ટ્રકના ડ્રાઈવર તથા ક્લીનરે જીવ ગુમાવ્યો હતો. બસમાં સવાર છ મુસાફરોને ઈજાઓ થઈ હતી. તેમને રાધનપુર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. 
 
અકસ્માતગ્રસ્ત વાહનોને ક્રેનની મદદથી છૂટા પાડ્યા
પ્રાપ્ત માહિતી મુજબ રાધનપુરના ખારીયા નદીના પુલ પાસે રાપરિયા હનુમાનથી આગળના માર્ગ પર મોડી રાત્રે આણંદથી રાપર જતી એસ.ટી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે. બસ અને ટ્રક બન્નેના ડ્રાઈવર સહિત ચાર લોકોના મૃત્યુ નિપજ્યાં છે. જ્યારે બસમાં સવાર મુસાફરો પૈકી 6 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. એસટી અને ટ્રક વચ્ચેની ટક્કર એટલી ભયંકર હતી કે, બસ અને ટ્રકના આગળના ભાગનો ફૂરચો બોલી ગયો હતો. તેમજ બન્ને વાહનોને અલગ કરવા માટે ક્રેઈનની મદદ લેવામાં આવી હતી. અકસ્માતના બનાવની જાણ પોલીસ અને એસટી વિભાગના અધિકારીઓએ થતાં તેઓએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી બન્ને અકસ્માતગ્રસ્ત વાહનોને ક્રેનની મદદથી છૂટા પાડ્યા હતા. 
 
સતલાસણામાં બે ઈક્કો ગાડી ધડાકાભેર સામસામે અથડાઈ
જ્યારે ઇજાગ્રસ્ત બનેલા લોકોને સારવાર માટે પાટણ અને મહેસાણા અમરજીવન સમર્પણની એમ્બ્યુલન્સ વાનમાં રવાના કરવામાં આવ્યાં હતા.બીજી તરફ અકસ્માતના પગલે હાઇવે પરના બંને માર્ગો પર વાહનોનો ચક્કાજામ થયો હતો. જેથી અન્ય વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને માર્ગ પરનો ટ્રાફિક ખુલ્લો કરાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આજે મહેસાણાના સતલાસણામાં પણ એક અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં ધરોઈ ડેમથી વડાલી રોડ પર બે ઈક્કો ગાડી ધડાકાભેર સામસામે અથડાઈ હતી. જેથી ઈકોમાં સવાર 8 લોકોને ઈજાઓ પહોંચી હતી. જેને પગલે તેઓને 108માં વડનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.