શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 5 જૂન 2018 (12:12 IST)

ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલમાં જુની ચેમ્બરોની સાફ સફાઈ થતાં મંત્રીમંડળના વિસ્તરણની અટકળો

2019ની લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં મોટી હલચલ શરૂ થઈ ગઈ છે. ભાજપે પણ તેના પાસા ગોઠવવાનું શરૂ કરી દીધું છે. તાજેતરમાં જ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અચાનક દિલ્હી મુલાકાતે ઘણા સવાલો ઊભા કર્યા હતા. હવે, એકાએક જ ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલમાં જૂની કેબિનોમાં સાફ-સફાઈ શરૂ કરવામાં આવતા ટૂંક સમયમાં જ મંત્રીમંડળમાં વિસ્તરણ થવાની અટકળોને વેગ મળ્યો છે.ગત મહિનાના અંતમાં જ મુખ્યમંત્રી વિજય રૂપાણીને એકાએક દિલ્હીનું તેડું આવતા મંત્રીમંડળમાં મોટાપાયે ફેરફારની અટકળો તેજ બની હતી. સ્વર્ણિમ સંકુલના બીજા અને ત્રીજા માળે જૂની ઓફિસોમાં એકાએક સફાઈનું કામ હાથ ધરવામાં આવતા મંત્રીમંડળમાં ફેરફારોની અટકળો ફરી શરૂ થઈ ગઈ છે. 2019ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપ ગુજરાતમાં કોઈ રિસ્ક ન લેવા માગે તે સ્વાભાવિક છે. પાટીદાર અનામત આંદોલનની ઈફેક્ટ લોકસભા ચૂંટણી પર ન પડે તે માટે સરકારે પાણી પહેલા પાળ બાંધવાનું શરૂ કરી દીધું છે. પાટીદાર આંદોલન બાદ સરકારે બિન અનામત વર્ગ આયોગ તેમજ નિગમની રચના તો કરી જ દીધી હતી. હવે, તાજેતરમાં જ સરકારે બિનઅનામત વર્ગની માફક અનામત વર્ગને પણ પ્રમાણપત્ર આપવાની જાહેરાત કરી છે. જેનો ઉપયોગ સવર્ણો માટે જાહેર કરાયેલી શૈક્ષણિક તેમજ આર્થિક યોજનાનો લાભ લેવા પાટીદારો કરી શકશે. સાથે જ પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના કન્વીનર હાર્દિક પટેલને ઘેરવા માટે તેના જ જૂના સાથીઓ વરૂણ પટેલ અને રેશ્મા પટેલને મેદાનમાં ઉતારી દીધા છે.આમ, આગામી સમયમાં ગુજરાતના રાજકારણમાં ફરી એકવખત ગરમાવો આવી રહ્યો છે. લોકસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવશે તેમ-તેમ હજુ નવા આશ્ચર્યજનક ઘટનાક્રમો જોવા મળી શકે છે.