1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 25 ઑગસ્ટ 2021 (20:51 IST)

ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં બિડાલકુળના વન્યજીવ સફેદ વાઘ, સિંહ અને દીપડા ખુલ્લા આકાશ નીચે મુક્ત વિહરતા નિહાળી શકાશે

ગીર ફાઉન્ડેશન દ્વારા ઇન્દ્રોડા પ્રકૃતિ ઉધાનના પ્રાણી સંગ્રહાયલ ખાતે સિંહ, વાધ અને દીપડા માટે ‘ઓપન મોટ’ પ્રકારના આઘુનિક આવાસો તૈયાર કરવામાં આવ્યા છે. જે આવાસોનું લોકાર્પણ આજરોજ વન મંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે વન રાજય મંત્રી રમણભાઇ પાટકર ઉપસ્થિત રહ્યા હતા. સિંહો ગુજરાત જ નહિ, સમગ્ર દેશનું ગૌરવ છે, તેવું કહી વન મંત્રી ગણપતિસિંહ વસાવાએ જણાવ્યું હતું કે, તે પ્રકારે વાધ અને દિપડા પણ આપણું ગૌરવ છે. 
 
સંવેદનશીલ મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીના શાસનમાં માણસોની ચિંતા સાથે સાથે સંવેદના પૂર્વક વન્ય અને અન્ય પ્રાણીઓની પણ ચિંતા કરવામાં આવે છે. જેની ફલશ્રૃતિ રૂપે આજે ગાંધીનગરના આંગણે રૂપિયા બે કરોડથી વધુના ખર્ચે વન્ય જીવ એવા સિંહ, વાધ અને દિપડા માટે ઓપન મોટ પ્રકારના આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમજ રાજય સરકારના કરૂણા અભિયાનની પણ વિસ્તૃત માહિતી આપી હતી.
 
રાજયના પાટનગરમાં વધુ એક જોવા લાયક સ્થળ અને લોક આકર્ષણનું કેન્દ્ર ઇન્દ્રોડા પાર્ક બનશે, તેવું કહી મંત્રીએ ઓપન મોટ અંગેની માહિતી આપતાં ઉમેર્યું હતું કે, વન્યજીવોની સુરક્ષા, સલામતી અને અનુકૂળતાઓને ધ્યાનમાં રાખી આ ‘‘ઓપન મોટ’’ પ્રકારના આવાસો તૈયાર કરાયા છે. જેમાં પથ્થર શિલાઓ, વૃક્ષ-વનસ્પતિઓ, કાષ્ઠ, ઘાસ-વાંસ સહિતના કુદરતી સંશાધનોનો ઉપયોગ કરી આવાસોને આબેહૂબ નૈસર્ગિક બનાવાયા છે. આ આવાસોમાં મુખ્યત્વે વન્યજીવોને આરામ કરવાના ગઝેબો, પથ્થરની ગુફાઓ, પાણીના ઝરણા, નાના તળાવ, રેમ્પ અને સ્ટેજ પણ તૈયાર કરાયા છે. જેથી વન્યજીવોને પોતાના નૈસર્ગિક આવાસમાં જ રહેતા હોવાની અનુભૂતિ થાય. એટલુ જ નહિ મુલાકાતીઓ માટે ખાસ ગેલેરી તથા પથ બનાવી આ આવાસોની અંદર તથા બહાર ઘનિષ્ઠ વનિકરણ કરી કુદરતી ઓપ આપવામાં આવ્યો છે.
 
રાજયમાં ૬૭૪ જેટલા સિંહોની વસ્તી હોવાનું કહી મંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે, રાજય સરકારના ક્લિન ગુજરાત, ગ્રીન ગુજરાત બનાવવાના સંકલ્પ ને સાકાર કરવા માટે વન વિભાગ દ્વારા રાજયમાં ૧૦ કરોડથી વધુ રોપાઓનું વિતરણ સામાજિક વનીકરણ અંતર્ગત કરવામાં આવ્યું છે. આજે રાજયમાં જંગલ વિસ્તાર સહિત રાજયમાં વૃક્ષોની સંખ્યામાં વઘારો થયો છે, તેવું કહી તેમણે લોકોમાં વૃક્ષારોપણ અંગે ખૂબ જ જાગૃત્તિ આવી છે, તેનો પણ આનંદ વ્યક્ત કર્યો હતો.
 
વન રાજય મંત્રી રમણ પાટકરે જણાવ્યું હતું કે, રાજ્યના ગૌરવ સમા એશિયાઈ સિંહ, ભારતીય વાઘ તથા દીપડા જેવા બિડાલકુળના વન્યપ્રાણીઓ માટે ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન પ્રાણીસંગ્રહાલયમાં રાજ્યના વનવિભાગના સહયોગથી તાજેતરમાં વન્યજીવોના અદ્યતન આવાસોનું નવનિર્માણ કરવામાં આવ્યુ છે. આવાસોમાં મુલાકાતીઓ વન્યજીવોને કુદરતી અવસ્થામાં નિહાળી શકશે. જેનો લાભ ઉદ્યાનની મુલાકાતે આવનાર દેશ-વિદેશના પર્યટકો તથા ગાંધીનગરની પ્રકૃતિપ્રેમી જનતાને થશે.
 
ગીર ફાઉન્ડેશનના નિયામક યુ.ડી.સિંધે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરીને જણાવ્યું હતું કે, વન અને પર્યાવરણ વિભાગ હેઠળના ‘ગીર’ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત આ પ્રાણીસંગ્રહાલયમાં સસ્તન, સરિસૃપ અને વિહંગ કુળના અલગ અલગ પ્રકારના વન્યપ્રાણીઓ-પક્ષીઓ રાખવામાં આવેલા છે. ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન તેના ડાયનાસોર અને ફોસીલ પાર્ક, અર્થ સેક્શનના કારણે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.
 
આ ઉપરાંત આ ઉદ્યાનમાં વિવિધ પ્રકારના છોડ, ક્ષુપ, વેલા અને વનસ્પતિઓ ધરાવતો વૈજ્ઞાનિક પદ્ધતિએ તૈયાર કરવામાં આવેલો બોટનીકલ ગાર્ડન પણ છે. જેનું કેક્ટસ ગાર્ડન એક અનેરૂ આકર્ષણ ધરાવે છે. પ્રતિ વર્ષ ૬(છ) લાખ જેટલા મુલાકાતીઓ ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનની મુલાકાત લેતા હોય છે. તેમજ ગીર ફાઉન્ડેશન પારિસ્થિતિકીય શિક્ષણ અને સંશોધનના કાર્યક્ષેત્રમાં પણ કાર્યરત છે. મંત્રી ગણપતસિંહ વસાવા અને રમણભાઇ પાટકરના હસ્તે ઓપન મોટ ને ખુલ્લો મુક્વામાં આવ્યો હતો. તેમજ સિંહ, વાધ અને દિપડા ના અધતન આવાસોમાં મુક્ત મને ફરતા હતા, તેનું પણ નિરીક્ષણ કર્યું હતું. તેમજ મહાનુભાવોના હસ્તે ઇન્દ્રોડા સંકુલમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.  
 
રાજ્ય સરકારના પ્રયત્નોના ભાગરૂપે ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં બિડાલકુળના વન્યજીવ સફેદ વાઘ(Royal Bengal Tiger)-નર(નામ : ગૌતમ, ઉંમર:૨.૫ વર્ષ) તથા માદા વાઘ(નામ : સૃષ્ટિ, ઉંમર - ૧૭ વર્ષ)ને ગુજરાત રાજ્યના વિવિધ ઝૂ માંથી ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન ખાતે લાવવામાં આવ્યા છે. તેઓને અદ્યતન પ્રકારના ઓપન મોટ આવાસોમાં રાખવામાં આવ્યા છે. 
 
આ ઉપરાંત પ્રાણી સંગ્રહાલયમાં રાખવામાં આવેલી સિંહની પ્રખ્યાત જોડ નર સિંહ(નામ-સૂત્રા, વય - ૧૩ વર્ષ) તથા માદા સિંહણ(નામ : ગ્રીવા, વય : ૧૧ વર્ષ)ને નવનિર્મિત આધુનિક ઓપન મોટ પ્રકારના આવાસમાં નિહાળવાનો અવસર પ્રાપ્ત થશે અને મુલાકાતીઓ હવેથી ભારતીય દીપડાઓ [નામ : વીર(નર) વય-૧૪.૫ વર્ષ, જીગર(નર) વય-૧૩ વર્ષ, ગ્રીષ્મા(માદા) વય-૧૨ વર્ષ, જાન્વી(માદા) વય-૧૧ વર્ષ]ને તેના ઓપન-ટુ-સ્કાય પ્રકારના આધુનિક આવાસમાં મુક્ત વિહરતા નિહાળી શકશે.