મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 18 ઑક્ટોબર 2018 (12:08 IST)

કેન્દ્ર સરકારે ફાળવેલી માતબર રકમ ક્યાં વપરાઈ? પોરબંદરમાં બંદરનાં વિકાસ માટેનાં 526 કરોડમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ

પોરબંદર ગાંધીજીની જન્મભુમિ છે અને તેના બંદરના વિકાસ માટે છેલ્લા ૧૫ વર્ષમાં ૫૨૬ કરોડ રૃપિયા જેવી માતબર રકમ આપવામાં આવી હોવાનું માહિતી અધિકારના કાયદા તળે મંગાયેલી વિગતમાં બહાર આવ્યું છે. ત્યારે આટલા રૃપિયા વપરાયા નહીં, પરંતુ વેડફાયા હોવાનો અને ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ કરીને સીનીયર સીટીઝનોએ વડાપ્રધાન કાર્યાલય સુધી ફરિયાદ પહોંચાડી છે.
પોરબંદરના સીનીયર સીટીઝન તથા નવીબંદર સમસ્ત ખારવા જ્ઞાાતિનાં પૂર્વ વાણોટ વગેરેએ સરકારને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, તેમણે જીએમબી પાસે કરેલી આરટીઆઈમાં એવી માહિતી બહાર આવી હતી કે, કેન્દ્ર સરકારે ૨૦૦૩ની સાલથી અત્યાર સુધીમાં ૫૨૬ કરોડ રૃપિયા જેટલી રકમ બંદરના વિકાસ માટે આપી છે, પરંતુ તે ક્યાં વપરાઈ? તેવો સવાલ ઉઠાવાયો છે. કારણ કે, બંદરમાં તો હજુ વિકાસનાં નામે મીંડુ  જ છે.  વધુમાં જણાવ્યું છે કે, કોમર્શીયલ ઈન્ટરનેશનલ કક્ષાનું બંદર હોવા છતાં તેના વિકાસમાં રૃકાવટ લાવવા સ્થાપીત હિતોના ઈશારે ડાર્કઝોનમાં ફેરવી નાખેલ છે. 
પોરબંદરમાં મોટા વહાણો બારામાં આવી શકતા નથી કે ખાડીમાં જઈ શકતા નથી. કારણ કે, બારૃમાં રેતી હોવાથી ભરાતુ જાય છે. ખાડીમાં પણ કાંપનો ભરાવો થતો જાય છે. જેના કારણે પોરબંદરના દરિયાઈ વેપાર અવરોધ બન્યા છે. વળી, હાલ પોરબંદરના બંદરના વિકાસ માટે અવરોધ સંબંધે સરકારમાં રજૂઆત કરેલી છે કે, આ બંદરનો વિકાસ અટકાવવામાં ચારે બાજુ બંદરની જમીન પર પેશકદમી થઈ છે. જેમાં અધિકારીઓએ ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો આક્ષેપ કરીને તે અંગે પણ તપાસની માંગણી કરી છે. ડીઝલ પંપને ખાડીમાં જગ્યા કઈ રીતે અપાઈ ? તેવો સવાલ ઉઠાવ્યો છે અને પંપને ખસેડવા અને માર્ગને ખુલ્લો કરવા રજૂઆત કરી છે.