1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. Harsh Sanghvi news

ગુજરાતમાં જીવનજરૂરી ચીજવસ્તુઓનો પૂરતો સ્ટોક: અફવા ફેલાવનારાઓ સામે હર્ષ સંઘવીની કડક ચેતવણી

harsh sanghvi
ગાંધીનગર ખાતે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની બેઠક બાદ ગુજરાત સરકાર સજ્જ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસના જથ્થાની સમીક્ષા કરી છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે રાજ્યમાં તમામ પ્રકારના ઇંધણ અને પૂરવઠાનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને નાગરિકોએ કોઈપણ પ્રકારની અછત અંગે ચિંતા કરવાની જરૂર નથી.
 

ગેસ વિતરણ વ્યવસ્થા અને PNG કનેક્શન પર ભાર
 

રાજ્ય સરકાર હવે પીએનજી (PNG) કનેક્શનના વ્યાપને વધારવા પર ખાસ ભાર મૂકી રહી છે. હાલમાં ગુજરાતમાં 23  ટકા ઘરોમાં પીએનજી કનેક્શન છે, જેને વધારીને આગામી સમયમાં વધુ 50  હજાર નવા કનેક્શન આપવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. આ પ્રક્રિયામાં હોસ્પિટલો, શાળાઓ અને સામાજિક સંસ્થાઓને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે. આ ઉપરાંત, રાજ્યના 1.28 કરોડ એલપીજી ગ્રાહકોને સમયસર ગેસ પૂરવઠો મળે તે માટે સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે.
 

કાળાબજારી રોકવા 'વોર રૂમ' અને કડક કાર્યવાહી
 

ગેસ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓની કાળાબજારી રોકવા માટે સરકારે કડક વલણ અપનાવ્યું છે. આ માટે ખાસ 'વોર રૂમ' તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાંથી સમગ્ર રાજ્યની સ્થિતિ પર નજર રાખવામાં આવશે. અત્યાર સુધીમાં ગેસ વિતરણ સંબંધિત 10  હજારથી વધુ ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે. જે તત્વો સંગ્રહખોરી કે કાળાબજારીમાં સંડોવાયેલા જણાશે, તેમની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવાની સૂચના આપી દેવામાં આવી છે.
 

શ્રમિકોનું હિત અને વહીવટી સંકલન
 

વહીવટી સરળતા અને વ્યવસ્થા જાળવવા માટે દરેક જિલ્લામાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને 'સંકલન સમિતિ' બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. હર્ષ સંઘવીએ શ્રમિકોના હિત અંગે ચિંતા વ્યક્ત કરતા તમામ ઔદ્યોગિક એકમોને સૂચના આપી છે કે તેઓ શ્રમિકોનો પગાર વહેલો કરે અને તેમના ભોજનની યોગ્ય વ્યવસ્થા ગોઠવે. આ વ્યવસ્થા દ્વારા રાજ્યના શ્રમિક વર્ગને કોઈ હાલાકી ન પડે તે બાબત સરકારની પ્રાથમિકતામાં છે.
 

લોકડાઉનની અફવા સામે લાલ આંખ
 

સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમો દ્વારા લોકડાઉન જેવી ખોટી અફવાઓ ફેલાવનારા તત્વોને હર્ષ સંઘવીએ ગંભીર ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે ગુજરાતમાં લોકડાઉન જેવી કોઈ સ્થિતિ નથી અને જે લોકો આવી પાયાવિહોણી અફવાઓ ફેલાવીને જનતામાં ભય પેદા કરશે, તેમની સામે પોલીસ દ્વારા કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. નાગરિકોને માત્ર સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે
 
ये भी पढ़ें
31 માર્ચ પહેલા પતાવી લો આ 10 જરૂરી ફાઈનેંશિયલ કામ, નહી તો થઈ શકે છે નુકશાન