1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 26 ડિસેમ્બર 2021 (10:18 IST)

Corona Update: ગુજરાતમાં ઓમિક્રોના 49 અને કોરોનાના 179 કેસ નોંધાયા, બેના મોતCorona Update: ગુજરાતમાં ઓમિક્રોના 49 અને કોરોનાના 179 કેસ નોંધાયા, બેના મોત

ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં સંક્રમણના 179 કેસ નોંધાયા છે. તેમજ બે લોકોએ જીવ ગુમાવ્યા છે. ગુજરાતમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો ખતરો પણ ઝડપથી વધી રહ્યો છે. આજે રાજ્યમાં નવા પ્રકારોના 6 કેસ નોંધાયા છે. આ સાથે, ઓમિક્રોન સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 49 પર પહોંચી ગઈ છે. આ માહિતી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે. ક્રિસમસ અને નવા વર્ષના અવસર પર ચેપનું જોખમ વધુ ઝડપથી ફેલાઈ શકે છે.
 
રાજ્યમાં આજે એક સાથે 179 કોરોના કેસ નોંધાતા ચકચાર મચી ગઇ છે. તો બીજી તરફ 34 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,18,232 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ 98.68 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રાજ્ય સરકાર રસીકરણના મુદ્દે પણ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 81,926 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. 
 
જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં 837 કુલ એક્ટિવ કેસ છે. જે પૈકી 12 નાગરિકો વેન્ટીલેટર પર છે. જ્યારે 825 નાગરિકો સ્ટેબલ છે. 8,18,232 નાગરિકો અત્યાર સુધીમાં ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 10113 નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે.આજે કોરોનાને કારણે 2 નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે. ચોંકાવનારી બાબત છે કે, બંન્ને મોત રાજકોટમાં જ થયા છે. જો નવા કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 61 કેસ, સુરત કોર્પોરેશન 20, આણંદ 18 વડોદરા કોર્પોરેશન 14, રાજકોટ કોર્પોરેશન 13, સુરત 9, નવસારી 5, બનાસકાંઠા-ખેડા 4-4, જુનાગઢ, કચ્છ, વલસાડમાં 3-3, અમદાવાદ, અમરેલી, ભરૂચ, ગાંધીનગર કોર્પોરેશન, જામનગર કોર્પોરેશન, જુનગઢ, રાજકોટ, વડોદરા 2-2 કેસ નોંધાયા છે. ભાવનગર કોર્પોરેશન, દાહોદ, ગાંધીનગર, ગીર સોમનાથ, મહેસાણા અને સુરેન્દ્રનગરમાં 1-1 કેસ નોંધાયા છે. 
 
ઓમિક્રોનનાં કુલ 6 કેસ આજના દિવસમાં નોંધાયા છે. જે પૈકી એક યુ.કેથી આવેલી 22 વર્ષની યુવતીનો કેસ નોંધાયો છે. 3 કેસ ખેડામાં લંડનથી આવેલા 38 વર્ષના પુરૂષ, 35 વર્ષની સ્ત્રી અને તેની 10 વર્ષની બાળકીનો નોંધાયો છે. અમદાવાદ કોર્પોરેશનમાં 2 કેસ નોંધાયા છે. જે પૈકી સૌથી ચિંતાજનક બાબત છેકે બંન્નેની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. 
 
ગુજરાતમાં ઓમિક્રોનના 49 કેસ
દેશના 17 શહેરોમાં હાલમાં નવા વેરિઅન્ટના 436 કેસ છે. ઓમિક્રોન સાથે જે રાજ્યોમાં સ્થિતિ ગંભીર છે તેમાં મહારાષ્ટ્ર, દિલ્હી અને ગુજરાતનો સમાવેશ થાય છે. કારણ કે આ રાજ્યોમાં નવા વેરિઅન્ટના કેસ અન્ય રાજ્યો કરતા વધુ છે. આજે, કેરળ, ગુજરાત અને રાજસ્થાન સહિત ઘણા રાજ્યોમાંથી નવા વેરિઅન્ટના કેસ આવ્યા બાદ તેની સંખ્યા 436 પર પહોંચી ગઈ છે. આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, ઓમિક્રોવન વેરિઅન્ટથી સંક્રમિત 115 લોકો અત્યાર સુધીમાં સાજા થયા છે.જ્યારે 301 દર્દીઓ હાલમાં સારવાર હેઠળ છે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે માત્ર ચાર દિવસમાં ચેપના કેસ 200ની નજીક પહોંચી ગયા છે. જો આ ઝડપે કેસ વધતા રહેશે તો મોટું સંકટ ઊભું થઈ શકે છે. ઓમનિક્રોન વેરિઅન્ટ પર ગુજરાત સરકાર ખૂબ જ ગંભીર છે. એટલા માટે નાઇટ કર્ફ્યુનો સમય પણ બે કલાક વધારવામાં આવ્યો છે. જેથી 10 વાગ્યા પછી લોકો રસ્તા પર ન આવે. સમગ્ર દેશમાં ઓમિક્રોનના કેસ ઝડપથી વધી રહ્યા છે.
 
જોકે નવા વર્ષની ઉજવણી માટે લોકો મોટી સંખ્યામાં તેમના ઘરની બહાર આવે છે. આ જ કારણ છે કે ગુજરાતના 8 મોટા શહેરોમાં નાઇટ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, ગાંધીનગર અને જૂનાગઢ એમ ગુજરાતના આઠ મોટા શહેરોમાં આજ રાતથી નાઇટ કર્ફ્યુ ચાલુ રહેશે. રાત્રે 11 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી બહાર નીકળવા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ઓમિક્રોનના વધતા જતા કેસોને જોતા ગુજરાત સરકારે નાઇટ કર્ફ્યુમાં બે કલાકનો વધારો કર્યો છે. અગાઉ રાત્રે 1 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. પરંતુ હવે તેમાં વધુ 2 કલાકનો વધારો કરવામાં આવ્યો છે. ગુજરાતમાં અન્ય પ્રતિબંધો 30 નવેમ્બરના આદેશ મુજબ ચાલુ રહેશે.