શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 27 જાન્યુઆરી 2021 (19:31 IST)

ગુજરાત એસ.ટી. નિગમ સમગ્ર દેશમાં મોખરે, સતત ત્રીજા વર્ષે ભારત સરકારનો એવોર્ડ મેળવી ગુજરાતની હેટ્રીક

ગુજરાતની વિકાસના વિભિન્ન ક્ષેત્રની આગવી-ઉપલબ્ધિઓમાં વૃદ્ધી કરવાનો ક્રમ જાળવતા ગુજરાત એસ.ટી. કોર્પોરેશને ભારત સરકારના ટ્રાન્સપોર્ટ મિનીસ્ટર્સ રોડ સેફટી એવોર્ડ-ર૦૧૯-૨૦ અને ૨૦૨૦-૨૧ના સન્માન મેળવી સતત ત્રીજા વર્ષે આ એવોર્ડની હેટ્રીક પ્રાપ્ત કરી છે. આ એવોર્ડ સન્માન ગત તા.૧૮મી જાન્યુઆરીએ નવી દિલ્હીમાં યોજાયેલા સમારોહમાં કેન્દ્રિય રક્ષા મંત્રી રાજનાથસિંહ અને રોડ-ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરીજીની ઉપસ્થિતીમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ એસ.ટી.ને અર્પણ કરવામાં આવ્યા હતા. ગ્રામ્ય વિસ્તારમાં ૭૫૦૦ કરતાં વધુ શિડ્યુલ સંચાલન કરી સમગ્ર ભારતમાં સૌથી ઓછા અકસ્માત દર-૦.૦૬ જાળવવા બદલ કેન્દ્ર સરકારના મિનીસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેઝના ઉપક્રમ એસોસિયેશન ઓફ સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ દ્વારા ગુજરાત એસ.ટી. કોર્પોરેશનને સતત ત્રીજીવાર આ ગૌરવથી સન્માનિત કરવામાં આવ્યું છે.
 
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા વધુમાં જણાવ્યા મુજબ ભારત સરકારના પેટ્રોલિયમ અને ગેસ મંત્રાલયના ઉપક્રમ પેટ્રોલિયમ કન્ઝર્વેશન રિસર્ચ એસોસિએશન (PCRA) દ્વારા ગુજરાતના ૬ એસ.ટી. ડેપોને મહત્તમ કિલોમીટર પ્રતિ લીટર (KMPL) ઇમ્પ્રુવમેન્ટ બદલ પુરસ્કૃત કરવામાં આવતા ગુજરાત એસ.ટી.ની મુસાફર સેવા લક્ષી ઉપલબ્ધિઓમાં વધુ ઉમેરો થયો છે. 
 
તા. ૧૮ જાન્યુઆરીએ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ, ગુજરાત સ્ટેટ ઓફિસ, ગાંધીનગર ખાતે આયોજીત એવોર્ડ સમારોહમાં ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના જુનાગઢ ડિવિઝનના ધોરાજી ડેપો, અમદાવાદ ડિવિઝનના અમદાવાદ ડેપો અને ધોળકા ડેપો, અમરેલી ડિવિઝનના રાજુલા ડેપો, ગોધરા ડિવિઝનના દાહોદ ડેપો અને વલસાડ ડિવીઝનના ધરમપુર ડેપોને પારિતોષિક તેમજ રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે.
 
એસ.ટી. નિગમને કોવિડ-૧૯ની મહામારી દરમિયાન રાહત કાર્યોની કરેલી ઉમદા કામગીરી માટે તા.૧૬ જાન્યુઆરીએ પ્રતિષ્ઠિત ‘’સિલ્વર સ્કોચ એવોર્ડ’’ એનાયત કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, એસ.ટી. દ્વારા લોકડાઉન દરમિયાન આશરે ૪.૧૭ લાખ જેટલા પરપ્રાંતિય મજૂરોને તાલુકા ગ્રામ્ય વિસ્તારના કાર્ય સ્થળોએથી મહાનગરોના રેલ્વે મથકો સુધી જવા માટે પરિવહન સેવા પૂરી પાડવામાં આવી હતી.
 
એટલું જ નહિ, એસ.ટી. નિગમે તબીબી સ્ટાફ, પોલીસ સ્ટાફ, હોસ્ટેલમાં ફસાયેલા વિદ્યાર્થીઓ, એન.આર.આઈ., યાત્રાળુઓ વગેરે મળીને કુલ ૧.૧૧ લાખ પ્રવાસીઓ તથા ૧.૭૧ લાખ જેટલા રત્ન કલાકારોને તેમના વતન પહોંચાડવા માટે ૨૨,૯૫૩ બસ ટ્રીપનું આયોજન કર્યુ હતું. આમ, લોકડાઉન દરમિયાન એસ.ટી. દ્વારા અંદાજે સાત લાખ પ્રવાસીઓને પરિવહન સેવા પૂરી પાડવામાં આવી હતી અને ગંતવ્ય સ્થળે પહોચાડવામાં ઉમદા કામગીરી કરવામાં આવી હતી.
 
મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં આ ટ્રાન્સપોર્ટ મિનીસ્ટર્સ રોડ સેફટી એવોર્ડ-ર૦૧૯-૨૦ અને ૨૦૨૦-૨૧ના સન્માન, ‘’સિલ્વર સ્કોચ એવોર્ડ’’ અને મહત્તમ કિલોમીટર પ્રતિ લીટર (KMPL) ઇમ્પ્રૂવમેન્ટ એવોર્ડ એમ એસ.ટી. નિગમને મળેલા કુલ ૪ એવોર્ડ એસ.ટી. કોર્પોરેશન દ્વારા કેબિનેટ સમક્ષ પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીશ્રી અને મંત્રીમંડળ  તરફથી ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન અને નિગમના કર્મયોગીઓને ઉતરોત્તર પ્રગતિથી આ એવોર્ડ્સ પ્રાપ્ત કરવા બદલ અભિનંદન આપવામાં આવ્યા હતા.