મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 4 ડિસેમ્બર 2019 (13:28 IST)

સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરનાં નામે લારી-ગલ્લાઓ હટાવતા સ્થાનિકોમાં રોષ

નર્મદા જિલ્લામાં આવેલી વિશ્વની સૌથી મોટી પ્રતિમાને જોવા માટે મોટા પ્રમાણમાં પ્રવાસીઓ આવી રહ્યાં છે. ત્યારે નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરનાં નામે પોલીસે સ્થાનિક લોકોની રોજગારી પર લાત મારતા તેમના લારી ગલ્લાને હટાવવાની કામગીરી હાથ ધરી છે. જેના કારણે સ્થાનિકોમાં ઘણો જ રોષ છવાયો છે. મળતી માહિતી પ્રમાણે નર્મદા નિગમની ઓફીસ પાસે રોડ પર લારી ગલ્લા કરી ચા નાસ્તો વેચીને ગુજરાન ચલાવતાં કેવડિયા ગામનાં 15થી વધુ ગરીબ આદિવાસી પરિવારની રોજગારી નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નામે પોલીસ બળ વાપરી સરકારી તંત્ર દ્વારા રોજગારી છીનવી લેવાઈ છે. મંગળવારે નર્મદા ડેમની મુખ્ય કચેરી અને જૂની પ્રતિમા હોટલ હતી. તેની નજીકના વિસ્તારમાં ગરીબ આદિવાસી કુટુંબો ચા નાસ્તાની લારી ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. આજે અહીંયા પોલીસ સુરક્ષા બળ સાથે વહીવટદાર કચેરી અને તેમની ટીમ દ્વારા તેઓના લારી-ગલ્લા બળ વાપરીને હટાવવામાં આવતા સ્થાનિકો બેરોજગાર બની ગયા છે. લારી ગલ્લા હટાવવામાં આવતા ગ્રામીણમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.કેવડિયાના વહીવટદારે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, એસ.એસ.એન. એલ.નાં કહેવાથી આ દબાણો હટાવવામાં આવ્યાં છે. તો બીજી બાજુ ઘરઆંગણે બેરોજગાર બનેલા આદિવાસીઓ સરકાર જાતિ સામે રોષ વ્યકત કરી રહ્યાં છે. જે લોકોએ આ પ્રોજેકટો માટે પોતાની કિંમતી જમીન આપી છે. તે લોકો ઘર આંગણે રોજીરોટી મેળવવા વલખા મારી રહ્યાં છે. સરકારની નિતી રીતીથી આ વિસ્તારમાં રોષ જોવા મળી રહ્યો છે.મહત્વનું છે કે, આ જગ્યા ઉપર વર્ષોથી આ પરિવારજનો પોતાનો ધંધો ચલાવીને ગુજરાન ચલાવતા હતા. તેઓને ત્યાંથી હટાવી દેવામાં આવ્યા છે આ અંગે વહીવટી દારે જણાવ્યું હતું કે અહીંયા નવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનવાનું છે જેના કારણે તેઓને હટાવવામાં આવ્યા છે.