શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 18 ડિસેમ્બર 2019 (12:18 IST)

ઊંઝા ખાતેના ઉમિયાધામમાં લક્ષચંડી મહાયજ્ઞમાં 3 એશિયા બૂક ઓફ રેકોર્ડસ નોંધાયા

કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ટ્રસ્ટ દ્વારા ભવ્ય લક્ષચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. 800 વીઘા જમીનમાં ન ભૂતો ન ભવિષ્યતિ એવો લક્ષચંડી મહાયજ્ઞ એશિયા બુક ઓફ રેકોર્ડસમાં નોંધણી કરાવવા જઇ રહ્યો છે ત્યારે મંગળવારે લક્ષચંડી મહાયજ્ઞના સ્થળ ઉમિયા નગર ખાતે એશિયા બુક ઓફ રેકોર્ડસના જજ ડો.કુશલ સચનની ઉપસ્થિતમાં ત્રણ રેકોર્ડસ નોંધાવવા પામ્યા છે. જેને લઈ માઇભક્તોમાં નવા ઉત્સાહનો સંચાર થયો છે. હજુ બે એશિયા બુકના રેકોર્ડસની નોંધણી બાકી છે. જયારે બેસ્ટ ઓફ ઇન્ડિયા રેકોર્ડસમાં પણ સાત રેકોર્ડની નોંધણી કરાવવાની છે.
કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ટ્રસ્ટ દ્વારા આયોજીત લક્ષચંડી મહાયજ્ઞમાં મહાયજ્ઞની સાથે જ્ઞાન વિજ્ઞાન અને ટેકનોલોજી, પર્યાવરણ બચાવો, આરોગ્યલક્ષી સહિતના વિવિધ કાર્યકમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર વિશ્વ હાલ ગ્લોબલ વોર્મિંગની સમસ્યાનો સામનો કરી રહ્યું છે ત્યારે દેશ અને વિદેશમાં પર્યાવરણના રક્ષણ પર ભાર મુકવામાં આવી રહ્યો છે તેમજ સરકાર દ્વારા પણ વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો પર ભાર મુકવામાં આવી રહ્યો છે ત્યારે કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા આયોજીત લક્ષચંડી મહાયજ્ઞને લઈ ભારતીય સંસ્કૃતિની સાથે પર્યાવરણ બાબતે લોકોમાં જાગૃતિ આવે એ માટે એક સાથે પંદર હજાર ફુગ્ગાને ગગનમાં વિહાર કરવામાં આવ્યા હતા. 
કુલ 32 કિલો બાગાયત અને વૃક્ષોના 15 જાતના બિયારણ આ ફુગ્ગામાં મુકવામાં આવ્યા હતા. જેથી ફુગ્ગો જયાં પણ ફૂટે તેનાં બીજ ધરતી પર પડે અને લીલોતરી પેદા થાય અને વૃક્ષારોપણમાં પણ વધારો થાય એવો મુખ્ય ઉદ્દેશ હતો. ત્યારે આજે ઉમિયા નગરના સાંસ્કૃતિક કાર્યકમ પેવેલિયન ખાતે કાર્યકમ યોજાયો હતો. જેમાં દશ હજાર લોકો દ્વારા  ફુગ્ગા આકાશમાં વિહાર કરવામાં આવ્યા હતા. ફુગ્ગાનો કલર પણ લક્ષચંડી મહાયજ્ઞને લઈ લીલો અને પીળો રાખવામાં આવ્યો હતો. જેની એશિયા બુક ઓફ રેકોર્ડસમાં નોંધ લેવાઈ છે. 
આ જ સ્થળે 8890 લોકો દ્વારા ઊંચા અવાજે મા ઉમિયાનો જય ઘોષ જેમાં બોલો શ્રી ઉમિયા માત કી જય અગિયાર વાર બોલવવામાં આવ્યો હતો. પહેલી વાર એક જ સ્થળે જય ઘોષ થયો હોવાથી તેની નોંધ લેવાઈ હતી. આ ઉપરાંત એક સાથે 16 લાખ એસી હજાર લાડુ બનાવવાનો વિક્રમ પણ સર્જાયો હતો. એશિયા બુક ઓફ રેકોર્ડસના જજ ડો.કુશલ સચન દ્વારા એશિયા બુક ઓફ રેકડ્સના ત્રણ સર્ટિફિકેટ ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન ટ્રસ્ટના પ્રમુખ મણીભાઈ પટેલ તેમજ મંત્રી દિલીપ ભાઈ નેતાજી અને લક્ષચંડી મહાયજ્ઞના પ્રોજેક્ટ ચેરમેન એમ.એસ.પટેલને આપવામાં આવ્યાં હતાં.