1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 21 સપ્ટેમ્બર 2020 (13:12 IST)

વિસનગરની ઘટનાઃ બે બાળકો રમતાં રમતાં કબાટમાં સંતાઈ ગયાં, ગૂંગળાઇ જવાથી મોત નિપજ્યું

વિસનગરના બોકરવાડા ગામમાં લગભગ 10 વર્ષનાં બે બાળકો રમતા રમતા એક કબાટમાં સંતાઇ ગયા હતા. જે બાદ કબાટ ન ખૂલતા બંન્નેના ગૂંગળાઇ જવાથી મોત થયાના અનુમાન છે. શુક્રવારે રાત્રે એક બંધ મકાન આગળ પડેલા સ્લાઇડરવાળા કબાટમાંથી બંન્નેની લાશો મળી આવતાં હાહાકાર મચી ગયો હતો. હાલ બાળકોનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વિસનગર સિવિલમાં મોકલી દેવામાં આવ્યાં છે. આ દૂર્ઘટનામાં સ્થાનિક પોલીસે અકસ્માતે મોત નોંધીને તપાસ હાથ ધરી છે. બંન્ને મિત્રોના એકસાથે અંતિમ સંસ્કાર કરાતા આખુ ગામ હિબકે ચઢ્યું હતું.આ અંગે મળતી માહિતી પ્રમાણે, વિસનગર તાલુકાના બોકરવાડા ગામમાં રમવા ગયેલા બે બાળકોની શુક્રવારે રાત્રે એક બંધ મકાન આગળ પડેલા સ્લાઇડરવાળા કબાટમાંથી લાશો મળી આવતાં હાહાકાર મચી ગયો હતો. બંને બાળકોનું ગૂંગળામણથી મોત થયાનું બહાર આવ્યું છે.બોકરવાડા ગામના પટેલ દિનેશભાઇ લીલાભાઇનો 10 વર્ષનો પુત્ર સોહન શુક્રવારે સાંજના 4 કલાકે ગામમાં પટેલ હર્ષિલકુમાર મનીષભાઇના ઘરે રમવા ગયો હતો. મોડે સુધી ઘરે પરત નહીં આવતાં દિનેશભાઇએ હર્ષિલના ઘરે તપાસ કરતાં તે પણ ઘરે ન હતો. જે બાદ બંને પરિવારોએ શોધખોળ હાથ ધરી હતી. પરંતુ કોઇ ભાળ મળી ન હતી. જે બાદ ગામના નેત્રેશ્વરી માતાજીના મંદિરના માઇકમાં એનાઉન્સ કરતાં ગ્રામજનો ભેગા થઇને તપાસ કરી હતી.શુક્રવારે સાંજે 6-30 કલાકે એક મકાનની આગળ મૂકેલા સ્લાઇડરવાળા કબાટમાંથી બંને બાળકો બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. જે બાદ તેમને તાત્કાલિક ઊંઝા સુવિધા હોસ્પિટલમાં લઇ જતા તબીબે બંને બાળકોને મૃત જાહેર કર્યા હતા. બંનેનું વિસનગર સિવિલમાં પોસ્ટ મોર્ટમ કરાયું હતું. તેમજ મૃતકના પિતા દિનેશભાઇ પટેલના નિવેદન આધારે અકસ્માત મોત નોંધ કરી તપાસ હાથ ધરી છે.પોલીસના પ્રાથમિક અનુમાન પ્રમાણે, સોહન અને હર્ષિલ બંને બાળકો રમતાં રમતાં બંધ મકાન આગળ પગરખાં મુકવાના સ્લાઇડરવાળા કબાટમાં સંતાવવા ગયા હોઇ શકે. જે બાદ કબાટ લોક થઇ જતાં અંદરથી બહાર ન નીકળી શકતાં ગૂંગળામણને કારણે મોત નીપજ્યા હોઇ શકે છે.