બુધવાર, 24 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. વેલેન્ટાઈન ડે
Written By

જીવનબાગમાં જેવો તેવો માળી ના ચાલે...

પહેલી નજરને લગ્નમાં ના ફેરવશો

જીવનસાથી વિશે જ્યારે વાત કરીએ ત્યારે દરેકના માનસપટ પર એક છબી આવે છે કે તેને કેવા જીવનસાથીની શોધ છે. જીવનસાથીની પસંદગી માટે સૌને પોત પોતાની એક અલગ જ સપનાની દુનિયા હોય છે. પરંતુ આ માત્ર સપના પુરતુ જ નથી આ એક હકીકત છે અને તેને હકીકતની રીતે જ લેવું જોઈએ. કેમકે ઘણી વખત ઈચ્છા મુજબનો જીવનસાથી ન મળવા પર બધા જ સપના પર પાણી ફરી વળે છે.

લગ્ન એક એવો નિર્ણય છે જેની પર આપણી આખી જીંદગી ટકેલી છે. તે આપણી આખી જીંદગીને પ્રભાવિત કરે છે માટે હંમેશા એવો પાર્ટનર શોધો જે તમને હંમેશા ખુશ રાખે. જો તમે એવું વિચારતાં હોય કે લગ્ન બાદ પાર્ટનરનો વ્યવહાર બદલાઈ જશે તો એવું કદાપિ નથી થતું. પહેલી નજરે જોયેલા પ્રેમને ક્યારેય પણ લગ્ન પરિણયમાં ન બાંધશો. કેમકે ઘણી વખત લગ્નજીવન બાદ ખબર પડે છે કે તેમણે ઘણી ઉતાવળ કરી દિધી અને ખોટો નિર્ણય લેવાઈ ગયો છે.

લગ્ન હંમેશા તેવા વ્યક્તિ સાથે કરવા જોઈએ જે પોતાની જવાબદારીઓને સારી રીતે સમજતો હોય. પહેલા નજરનું આકર્ષણ ક્યારેય પણ વધારે સમય સુધી ટકતું નથી. બધાની અલગ અલગ ભાવનાઓ હોય છે આ વાતને યાદ રાખવી. જ્યાં છોકરી એવું ઈચ્છે છે કે તેના પાર્ટનરની નજરમાં તે બધા કરતાં સ્પેશ્યિલ હોય ત્યાં છોકરાની વિચારસરણી એકદમ અલગ જ હોય છે. એટલા માટે લગ્ન પહેલાં પોતાના વિચારોની આપ લે કરવી જરૂરી છે. કેમકે ઘણી વખત એવું પણ બનતું હોય છે કે બંનેની વિચારસરણી એકબીજા કરતાં તદ્દન અલગ જ હોય છે અને ત્યાં પછી સર્જાય છે મહાભારત.

એક વાતનું હંમેશા ધ્યાન રાખવું કે કોઈ પણ સંબંધને જાળવી રાખવા માટે વિશ્વાસ અને વફાદારી ખુબ જ મહત્વની છે. એક કહાવત છે કે 'પ્રેમ કરવો સરળ છે પરંતુ નિભાવવો મુશ્કેલ' બસ તે જ રીતે સંબંધ બનાવવો સહેલો છે પણ તેને જાળવી રાખવો મુશ્કેલ'. જો તમારા બંનેની વચ્ચે કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય તો એકબીજાની સાથે ખુલ્લા મને ચર્ચા કરીને તેનું સમાધાન શોધવું. પરંતુ હા વાતચીત દરમિયાન એવા શબ્દોનો ક્યારેય પણ પ્રયોગ ન કરવો જેથી કરીને તમારા પાર્ટનરનું દિલ દુ:ખે.

એક વાતનું હંમેશા ધ્યાન રાખો કે તમારા વચ્ચેના ઝઘડાને અન્ય લોકો સુધી ન પહોચવા દેશો કેમકે બધાના મત અલગ અલગ હોય છે. ઘણી વખત એવું પણ બનતું હોય છે કે મિત્રો, પેરેંટ્સ અને સગાસંબંધીઓને લીધે પણ સંબંધમાં ખેંચમતાણ અનુભવાય છે. તો તમારા સંબંધોમાં કોઈને પણ ડોકિયા કરવા દેશો નહિ.

યોગ્ય જીવનસાથીની શોધ દરેકને હોય છે પરંતુ નાનું સરખું એક ખોટુ પગલું પણ તમારી જીંદગીને છીન્ન ભિન્ન કરી નાંખશે એટલા માટે ખુબ જ સમજી વિચારીને લગ્ન કરવા જેથી કરીને લગ્નજીવન બાદ તમારી જીંદગી હંમેશા ખુશીઓથી ભરેલી રહે ના કે દુ:ખોથી.