મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. ગુજરાતી વાર્તા
Written By

એકતા અને અખંડિતતાના હિમાયતી:ડો બી.આર આંબેડકર

ડો. રાજેશ મકવાણા

ભારતીય બંધારણના ઘડવૈયા અને દેશન પ્રથમ કાયદા પ્રધાન, દેશની એકતા અને અખંડિતતાના સાચા હિમાયતી એવા મહાન ક્રાંતિકારી, ભારત રત્ન ડો. બી.આર, આબેડકરની 14મીએ જન્મ જયંતી છે. ભારતની ભૂમિ પર અનેક મહાન વિભૂતિઓએ જન્મ લીધો છે. એમનુ જીવન એ જ માનવજાતને એમનો અમૂલ્ય સંદેશ હોય છે. આવા મહાન પુરૂષોમાંના એક ડો. બી.આર. આબેડકરનુ જીવન પણ ભારતના દબાયેલા, કચડાયેલા વર્ગને સ્વમાનભેર જીવવાનો જીવનમંત્ર આપે છે. 

અસ્પૃશ્ય ગણાતી એવી મહાન જાતિમા એમનો જન્મ થયો હતો. એ કારણે એમને અભ્યાસકાળથી જ આર્થિક ભીંસ, કૌટુબિક મુશ્કેલી અને પ્રતિકૂળ સંજોગોનો સામનો કરવો પડ્યો હતો. સ્નાતક થયા પછી ઉચ્ચશિક્ષણ પ્રાપ્ત થઈ શકે તેવી સ્થિતિ ન હતી. એ સમયે તેમની ઉજ્જવળ કારકીર્દીને નજર સમક્ષ રાખીને વડોદરાના શિક્ષણ પ્રેમી રાજવી સયાજીરાવ ગાયકવાડની આર્થિક સહાયથી ઉચ્ચ શિક્ષણાર્થે અમેરિકા જઈ ત્યાંની કોલંબિયા યુનિવર્સિટીમાં 'બ્રિટીશ ભારતમાં મુલ્કી અર્થવ્યવસ્થાનો વિકાસ ' વિષય પર મહાનિંબંધ રજૂ કરી પી.એચ.ડીની પદવી પ્રાપ્ત કરી છે. આવી જવલંત વિદ્યાકીય કારકીર્દી હોવા છતાં પણ હિન્દુ સમાજ તરફથી અપમાનના કડવા ઘૂંટ જ મળ્યા.  વડોદરા સરકારે સંરક્ષણ મંત્રીનો હોદ્દો આપ્યો, આવા સ્થાને પણ તેમને તિરસ્કાર, અપમાન અને અસ્પૃશ્યતાનો જ અનુભવ થયો હતો. વડોદરા છોડી મુંબઈ આવી સિડનહોમ કોલેજમાં નોકરી સ્વીકારી. જાતિભેદના કડવા અનુભવ થયા પછી તેઓ પ્રતિજ્ઞા કરી કે ' જે સમાજમાં હુ જન્મયો છુ તે સમાજ ઉપરના અમાનવીય, અન્યાયીએ, ધૃણાજનક, ગુલામી મુક્ત અત્યાચારો દૂર કરીને જ જંપીશ અને એ અત્યાચારો દૂર કરવામાં હુ નિષ્ફળ નીવડીશ તો બંદૂકની ગોળી વડે મારા દેહનો અંત આણીશ.

ડો. આબેડકરની દલિત હકો માટેની ચાલનારી આજીવન સંઘર્ષયાત્રા અહીંથી શરૂ થઈ હતી. એમની રાહબરી હેઠળ મહાડનો જળ સત્યાગ્રહ થયો. જે સદીઓથી અંધશ્રધ્ધા અને અજ્ઞાનતાના અંધકારમાં અથડાતા અંત્યજનોને માણસ સાથે માણસની જેમ વર્તવાની પ્રેરણારૂપ છે. પછાત જાતિઓનો ઉપહાસ કરનાર ઘર્મગ્રંથ 'મનુસ્મૃતિ'ની જાહેરમાં હોળી કરી અને 'મૂક નાયક' મરાઠી છાપુ શરૂ કરી દલિત સમાજની સમસ્યાઓને ઉજાગર કરવાનો પ્રારંભ કર્યો હતો.

નાસિક પાસે એક નાના ગામમાં મહારાષ્ટ્રના અંત્યજોને હિન્દુ મંદિરમાં પ્રવેશ મેળવવાના એમના અધિકાર માટે તેમણે પાંચ વર્ષ સત્યાગ્રહ કર્યો. એ સ્થળે ડો. આંબેડકરે ઘોષણા કરી કે 'હુ જન્મ્યો છુ હિન્દુ, પણ હિન્દુ તરીકે મરીશ નહી'.

ડો. બાબાસાહેબ માનતા હતા કે અંગ્રેજો જ્યા સુધી દેશ નહી છોડે ત્યાં સુધી પોતાના અધિકાર સલામત નથી. જો અંગ્રેજો જતા રહેશે તો બહુજન સમાજનુ ભવિષ્ય યુરોપના શોષિતો કરતા પણ વધુ ભયાનક બની જશે. સ્વરાજ માંગનારની ઝાટકણી કાઢતા લખ્યુ કે 'પોતાના ઘરની ગંદકી કાઢવા હજુ જે લોકો તૈયાર નથી તેમને સ્વરાજ માંગવાનો નૈતિક અધિકાર નથી. તેઓ એવુ પણ માનતા હતા કે આઝાદી થોડી મોડી મળશે તો ચાલશે પણ અસ્પૃશ્યોના મહાકાય પ્રશ્નો પહેલા ઉકેલવા જોઈએ. સામાજિક, આર્થિક સ્વતંત્રતા વગરની રાજકીય સ્વતંત્રતાનુ કોઈ મૂલ્ય નથી. જે બાબતે ગાંઘીજી સાથે પણ વૈચારિક સંઘર્ષ થયો  હતો જેનુ પરિણામ પૂનાનો ઐતિહાસિક કરાર હતો.

ભારતના બંધારણના ઘડવૈયા ડો. આંબેડકરે ભારતીય નાગરિકોને ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને ભાઈચારાના મૂલ્યોની ભેટ આપી. એમના શબ્દો આજની વર્તમાન પરિસ્થિતિમાં પણ એટલાજ પ્રસ્તુત  લાગે છે. ' જો આપણે લોકોની લોકો માટેની અને લોકો વડેની સરકારના સિધ્ધાંતોને વરેલુ બંધારણ સાચવી રાખવુ હોય તો આપણા પથમાં વેરાયેલા અનિષ્ટોને ઓળખવામાં ઢીલ ન દાખવીએ', એમને એક ચેતવણી એ પણ આપી હતી કે જો આપણે બે બાબતો તરફ વિશેષ ધ્યાન નહી આપીએ તો આ લોકશાહી પરંપરા તૂટી જશે. એક તો એ કે સમાનતા સામાજિક સ્તરે થવી જોઈએ અને બીજુ એ કે આર્થિક અસમાનતા દૂર કરવી જોઈએ. આપણો સમાજ સ્તરીય, અસમાનતા ઉપર આધારિત છે. એટલેકે એકને ઉપર ને ઉપર લઈ જવા અને બીજા સ્તરને નીચેની નીચે તરફ લઈ જવા. ડો. આંબેડકરની આ ચેતવણી આજે પણ સાચી પડી છે. આઝાદી પછીના પાંચ દાયકાનો વિકાસ સાવ ઉલટી દિશામાં થયો છે. અસમાનતાની ખાઈ વધુને વધુ પહોળી થઈ ગઈ છે, થતી જાય છે.

સમગ્ર દલિત વર્ગના રાહબર બનેલા ડો. બી.આર. આંબેડકર માત્ર આપણા મુક્તિદાતા જ ન હતા પરંતુ પ્રેરણા સ્ત્રોત પણ હતા. ભારતના ઈતિહાસમાં ડો. આંબેડકરે એમના તેજસ્વી વ્યક્તિત્વ, મૂલ્યનિષ્ઠા અને સેવા દ્વારા ચિરંજીવ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. જ્યા સુધી માનવજાતના ઈતિહાસમાં અસમાનતા,શોષણ, દમન, અત્યાચાર અને અનાચાર રહેશે અને તેની સામેનો સંઘર્ષ ચાલુ રહેશે ત્યાં સુધી ડો. બી.આર. આંબેડકરનુ નામ અમર રહેશે. આજે આપણે ડો. આંબેડકરના આદર્શ જીવનમંત્રને આત્મસાત કરીએ એજ એમને આપેલી આપણી સાચી અંજલી હશે.