શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. અમદાવાદ ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 2 માર્ચ 2020 (12:33 IST)

અમદાવાદમાં એપ્રિલથી માર્ચ-2021 સુધી 40 રોજગાર મેળાનું આયોજન

અમદાવાદ જિલ્લામાં એપ્રિલ 2020થી માર્ચ 2021 દરમિયાન બેરોજગાર યુવાનોને રોજગારી આપવા માટે કુલ 40 જેટલા રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવશે. મદદનીશ નિયામક રોજગાર, અમદાવાદ દ્વારા આગામી એપ્રિલ મહિનાથી શરૂ થતાં વર્ષથી અમદાવાદ શહેર અને જિલ્લાના દરેક તાલુકામાં રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવશે. અમદાવાદ શહેરમાં કઠવાડા, વટવા, નરોડા, ઓઢવ, ચાંગોદર ઉપરાંત સાણંદ, વિરમગામ, જીઆઈડીસી, માંડલ, દેત્રોજ, બાવળા, ધંધુકા, ધોળકા, દસ્ક્રોઈ, સાણંદ, વિરમગામ તાલુકામાં રોજગાર ભરતી મેળો યોજાશે. મદદનીશ નિયામક રોજગાર, અમદાવાદ એસ. આર. વિજયવર્ગીયે જણાવ્યું છે કે, ‘બેરોજગાર યુવાનોને રોજગારી આપવાના હેતુસર સમગ્ર કવાયત હાથ ધરાશે. અમદાવાદ જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારના વધુ ને વધુ યુવાનોને રોજગારી મળે તે માટે આ આયોજન હાથ ધરાયું છે.’ 100થી વધુ ઓવરસીઝ એજ્યુકેશન અંગેના માર્ગદર્શન સેમિનાર યોજાશે, જેમાં પાસપોર્ટ મેળવવા માટે અરજી ફોર્મ, વિદેશમાં અભ્યાસ માટેની લોનની સહાયની માહિતી, રોજગાર માર્ગદર્શન સહિતની બાબતોને આવરી લેવાશે. અમદાવાદ ઉપરાંત સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, પાટણ, મહેસાણામાં ઓવરસીઝ એજ્યુકેશન એન્ડ એમ્પલોયમેન્ટ ઓપુર્ચ્યુનિટી અંગે માર્ગદર્શન સેમિનાર યોજાશે. અમેરિકા,ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુકે, સિંગાપોરમાં ઉચ્ચ અભ્યાસની તકો, ઉચ્ચ અભ્યાસ માટે પ્રવેશની પરીક્ષા આઈઈએલટીએસની માહિતી. આ પ્રવેશ પરીક્ષા ક્લીયર કરવા માટે કેટલા બેન્ડ લાવવા પડશે? જેવી ઉપયોગી માહિતી આપવામાં આવશે.