રવિવાર, 28 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: રવિવાર, 21 જુલાઈ 2019 (11:24 IST)

કારગિલ યુદ્ધઃ જ્યારે દિલીપ કુમારે કહ્યું કે મિયાં સાહેબ, તમારી પાસેથી આવી અપેક્ષા નહોતી

રેહાન ફઝલ
20 વર્ષ પહેલાં કારગીલની પર્વતમાળા પર ભારત અને પાકિસ્તાન વચ્ચે લડાઈ થઈ હતી. પાકિસ્તાની સૈનિકોએ કારગીલના ઊંચા પહાડો પર ઘૂસણખોરી કરીને પોતાની છાવણીઓ બનાવી દીધી તે પછી આ લડાઈ થઈ હતી.
કારગિલ યુદ્ધની 20મી જયંતીએ વિશેષ લેખોની શ્રેણીમાં પ્રસ્તુત છે પ્રથમ લેખ.
8 મે, 1999ના રોજ પાકિસ્તાનની 6 નોર્ધન લાઇટ ઇન્ફન્ટ્રીના કૅપ્ટન ઇફ્તેખાર અને લાન્સ હવાલદાર અબ્દુલ હકીમ 12 સૈનિકો સાથે કારગિલની આઝમ ચોકી પર બેઠા હતા. તેમણે જોયું કે થોડે દૂર કેટલાક ભારતીય માલધારીઓ માલઢોર ચરાવવા આવ્યા હતા.
પાકિસ્તાની સૈનિકોએ ચર્ચા કરી કે આ માલધારીઓને પકડી લેવા છે? કેટલાકે કહ્યું કે તેમને કેદ કરીશું તો ખાવાનું આપવું પડશે. અત્યારે સૌને થઈ રહે તેટલું રાશન પણ નથી. માટે તેમને જવા દેવા.
તે લોકો ત્યાંથી જતા રહ્યા અને દોઢેક કલાક બાદ છથી સાત ભારતીય જવાનો સાથે ત્યાં ફરી આવી પહોંચ્યા હતા.
ભારતીય સૈનિકોએ પોતાનાં દૂરબીનોથી ઉપર નજર કરી અને પરત જતા રહ્યા. બપોરે લગભગ બે વાગ્યે એક લામા હેલિકૉપ્ટર ત્યાં ઊડતું જોવા મળ્યું.
 
હેલિકૉપ્ટર એટલું નીચે ઊડી રહ્યું હતું કે કૅપ્ટન ઇફ્તેખારને પાયલટનો બેજ પણ દેખાઈ શકે. આ પ્રથમ વાર હતું કે જ્યારે ભારતીય સૈનિકોને જાણ થઈ કે મોટી સંખ્યામાં પાકિસ્તાની સૈનિકો કારગિલના પહાડોની ટોચ પર અડ્ડા જમાવીને બેસી ગયા.
પાકિસ્તાની સેનાના નિવૃત્ત કર્નલ અશફાક હુસૈને 'વિટનેસ ટૂ બ્લન્ડર - કારગિલ સ્ટોરી અનફૉલ્ડ્સ' નામે પુસ્તક લખ્યું છે.
બીબીસી સાથે વાતચીત કરતાં તેઓ કહે છે, "મેં પોતે કૅપ્ટન ઇફ્તેખાર સાથે વાત કરી હતી. તેમણે મને જણાવ્યું કે બીજા દિવસે ફરીથી ભારતીય સેનાનું લામા હેલિકૉપ્ટર ત્યાં આવ્યું હતું અને આઝમ, તારિક અને તશફીન ચોકીઓ પર જોરદાર ગોળીબારી કરી હતી.
"કૅપ્ટન ઇફ્તેખારે બટાલિયન હેડક્વાર્ટર પાસે ભારતીય હેલિકૉપ્ટર પર વળતો ગોળીબાર કરવા માટે મંજૂરી માગી હતી, પણ તેમને મંજૂરી મળી નહોતી. તેના કારણે ભારતીયો માટે સરપ્રાઇઝ ઍલિમૅન્ટ ખતમ જશે એમ માનીને નકાર કરી દેવાયા હતો."
 
ભારતનું રાજકીય નેતૃત્વ અંધારામાં
આ બાજુ ભારતીય સેનાના અધિકારીઓને ખ્યાલ આવી ગયો કે પાકિસ્તાની સેનાએ ભારતનાં મોટાં ક્ષેત્રમાં ઘૂસણખોરી કરી છે. જોકે, તેમને લાગ્યું કે પોતાની રીતે મામલાને પાર પાડી દેવાશે. તેથી સેનાએ રાજકીય નેતાગીરીને આ બાબતની જાણ કરી નહોતી.
એક જમાનામાં ઇન્ડિયન એક્સપ્રેસમાં સંરક્ષણ બાબતોના સંવાદદાતા તરીકે કામ કરનારા જસવંત સિંહના પુત્ર માનવેન્દ્ર સિંહ યાદ કરતા કહે છે, "મારા એક મિત્ર ત્યારે સેનાના વડામથકે કામ કરતા હતા. તેમણે ફોન કરીને મને કહ્યું કે મળવા માગે છે."
"હું તેમના ઘરે મળવા ગયો હતો. તેમણે કહ્યું કે સરહદે કંઈક ગરબડ થઈ લાગે છે, કેમ કે ઘૂસણખોરી રોકવા માટે આખી પલટનને હેલિકૉપ્ટરથી કોઈ મુશ્કેલીગ્રસ્ત જગ્યાએ મોકલવામાં આવી છે. બીજા દિવસે મેં આ વાત પિતાને જણાવી."
"તેમણે સંરક્ષણપ્રધાન જ્યોર્જ ફર્નાન્ડીઝને ફોન કર્યો. બીજા દિવસે તેઓ રશિયા જવાના હતા. તેમણે પોતાનો પ્રવાસ રદ કર્યો, કેમ કે આ રીતે હવે સરકારને ઘૂસણખોરીની જાણકારી મળી ગઈ હતી."