મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: રવિવાર, 12 જાન્યુઆરી 2020 (13:24 IST)

મોડાસામાં દલિત યુવતી પર કથિત સામૂહિક દુષ્કર્મ અને હત્યાની ફરિયાદ મોડી કેમ નોંધાઈ

રોક્સી ગાગડેકર છારા
બીબીસી સંવાદદાતા
 
ગુજરાતના મોડાસામાં દલિત યુવતી પર કથિત સામૂહિક બળાત્કાર અને બાદમાં કથિત હત્યાનો મામલે ચકચાર જામી છે.
મોડાસામાં રહેતાં એક દલિત યુવતી પહેલી જાન્યુઆરીએ ગુમ થયાં બાદ પાંચ જાન્યુઆરીએ તેમનો મૃતદેહ મળ્યો.
આ કેસની ફરિયાદ પોલીસે 7 જાન્યુઆરીએ નોંધી હતી. જોકે ત્યાં સુધી આખા રાજ્યમાં આ ઘટનાને લઈને આક્રોશ જોવા મળ્યો હતો.
બીબીસી ગુજરાતીએ જ્યારે આ ઘટનાનો ભોગ બનનાર યુવતીના પરિવાર સાથે વાત કરી તો જાણવા મળ્યું કે તેમનો આક્રોશ માત્ર પોલીસ ફરિયાદમાં નોંધાયેલા આરોપીઓ વિુરુદ્ધ જ નથી ખુદ પોલીસ વિુરુદ્ધ પણ છે.
તેમના મુજબ આ ઘટનામાં પોલીસની નિષ્ક્રિયતા અને ત્યારબાદ ફરિયાદ નોંધવામાં લાગેલી વારને કારણે પીડિત પરિવાર પોલીસથી નારાજ છે.

સ્ટેશન ડાયરીમાં જાણવાજોગની નોંધ નથી
પીડિત પરિવારના એક સદસ્યે બીબીસી ગુજરાતીને કહ્યું કે "દીકરી ગુમ થઈ હોવાની ફરિયાદ લઈને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશને 3 જાન્યુઆરીએ પહોંચ્યા હતા અને ત્યાંના પોલીસ ઇન્સ્પેક્ટર એન. કે. રબારી સાથે વાત કરીને જાણવાજોગ ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ કર્યો હતો."
તેઓ કહે છે, "અમે લેખિતમાં ફરિયાદ નોંધાવવા ત્યાં પહોંચ્યા હતા, પરંતુ પોલીસ ઇન્સ્પેક્ટરે અમને કોઈ સંતોષકારક જવાબ ન આપ્યો હતો અને અમારી ફરિયાદ લીધી નહોતી."
પરિવારના સભ્ય વધુમાં કહે છે કે જો પોલીસે તે સમયે થોડી સતર્કતા રાખીને તપાસ કરી હોત તો કદાચ તેમની દીકરી હેમખેમ પાછી મળી ગઈ હોત.
બીબીસી ગુજરાતીએ જાણવાજોગ ફરિયાદ ન નોંધવા અને યોગ્ય તપાસ ન કરવાના આરોપોના સંદર્ભે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.કે. રબારી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો. જોકે, તેમનો સંપર્ક કરી શકાયો નહીં.
જ્યારે આ સંદર્ભે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના પી.એસ.ઓ (પોલીસ સ્ટેશન ઑફિસર) સાથે બીબીસી ગુજરાતીએ વાત કરી તો જાણવા મળ્યું કે ત્રીજી જાન્યુઆરીએ પોલીસ સ્ટેશનની સ્ટેશન ડાયરીમાં આ યુવતીના ગુમ થવા અંગેની કોઈ નોંધ નહોતી કરાઈ.
ઉલ્લેખનીય છે કે સ્ટેશન ડાયરીમાં નોંધ મહત્ત્વપૂર્ણ ગણાય છે.
નિવૃત્ત આઈપીએસ ચિત્તરંજન સિંઘે બીબીસી ગુજરાતીને કહ્યું કે, "પોલીસ મૅન્યુઅલ પ્રમાણે દરેક પ્રવૃત્તિઓ, ફરિયાદની નોંધ, જાણવાજોગ અથવા તો ગુમ થવા વગેરે જેવી બાબતોની નોંધ પોલીસ સ્ટેશનની ડાયરીમાં હોવી જોઈએ."
ચિત્તરંજન સિંઘે બીબીસીને એ પણ કહ્યું કે હાલના સમયમાં જ્યારે મહિલાઓની સુરક્ષા પર આખા દેશમાં સભાનતા આવી રહી છે, તેવા સમયમાં કોઈ છોકરીના ગુમ થવાની ફરિયાદ હોય તો તરત તેને નોંધી તેના પર કામ કરવું જોઈએ.
આ વિશે અરવલ્લી જિલ્લા પોલીસ વડા મયૂર પાટિલ સાથે વાત કરવાનો પ્રયાસ કરાયો પરંતુ તેઓનો સંપર્ક સાધી શકાયો નહીં.
એ બાદ ગાંધીનગર રેન્જ આઈ.જી. એમ.એ. ચાવડા સાથે વાત કરવામાં આવી તો તેમણે આ મામલે તપાસ ચાલું હોવાનું જણાવ્યું.
આ ઘટના વિશે વાત કરવા માટે બીબીસી ગુજરાતીએ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રી ઈશ્વર પરમાર તેમજ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સાથે વાત કરવાનો અનેક વખત પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નહોતો.
 
 
પી.આઈ. એન. કે. રબારીની શું ભૂમિકા છે?
FIRમાં મૃતકના પરિવારજનોએ જે વિગતો નોંધાવી છે, તે પ્રમાણે 3 જાન્યુઆરીએ પરિવારજનોએ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં લેખિતમાં ફરિયાદ કરી હતી.
ફરિયાદમાં નોંધાયું છે કે પોલીસ ઇન્સ્પેક્ટર એન.કે. રબારીએ પરિવારજનો વિશ્વાસ અપાવ્યો હતો કે તેમને ખબર છે કે તેમની દીકરી ક્યાં છે.
પરિવારજનોના કહેવા મુજબ એન. કે. રબારીએ તેમને કહ્યું હતું કે તેમની દીકરીએ તેમના જ સમાજના એક છોકરા સાથે લગ્ન કરી લીધાં છે, અને તે જ્યાં છે ત્યાં સુરક્ષિત છે.
તેમણે પરિવારજનોને એ પણ કહ્યું હતું તે દીકરીની સલામતીની જવાબદારી તેમની છે.
જોકે, તેના બે દિવસ બાદ આ છોકરીનો મૃતદેહ મળ્યો હતો.
પોલીસ ફરિયાદમાં નોંધવામાં આવેલા પરિવારજનોના આરોપ અંગે બીબીસી ગુજરાતીએ પી.આઈ. એન. કે. રબારી સાથે વાત કરવાના અનેક પ્રયાસ કર્યા હતા, પણ સંપર્ક થઈ શક્યો નહોતો.
મોડાસા પોલીસ સ્ટેશનમાં તેઓ હાજર ન હતા અને તેમના મોબાઇલ ફોન પર સતત ફોન કરવા છતાં તેમણે વળતો કોઈ જવાબ આપ્યો ન હતો.
આમ, આ કેસમાં એમની ભૂમિકા શું છે એ હજી સ્પષ્ટ થઈ શકતું નથી.
ઉલ્લેખનીય છે કે આ કેસમાં ફરિયાદ મુજબ બિમલ ભરવાડ, દર્શન ભરવાડ, સતીશ ભરવાડ અને જિગર નામના શખ્સો આરોપી છે અને આ તમામ લોકો મોડાસાના રહેવાસી છે.
આ કેસની તપાસ જિલ્લાના એસ.ટી. આઈ.ટીસ સેલના ડીવાય.એસ.પી. એસ. એસ. ગઢવી કરી રહ્યા છે.
ફરિયાદ નોંધવા મામલે પોલીસની કામગીરી પર ઊભા થયેલા સવાલોની તપાસ અંગે તેમણે કહ્યું કે તપાસ અર્થે જે કોઈ માણસની સંડોવણી લાગે તેમનો જવાબ લેવામાં આવશે.