શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Updated : બુધવાર, 8 ફેબ્રુઆરી 2017 (16:07 IST)

આપની મોદીને ગુજરાતમાં ઘેરવાની રણનીતિ સાથે મિશન ગુજરાતની બલ્યૂ પ્રિન્ટ તૈયાર

પંજાબ અને ગોવામાં વિજયના દાવા કરનારી આમ આદમી પાર્ટીએ હવે વડા પ્રધાન મોદીને તેમના ગૃહ રાજ્ય ગુજરાતમાં ઘેરવાની રણનીતિ સાથે મિશન ગુજરાતની બલ્યૂ પ્રિન્ટ તૈયાર કરી તે દિશામાં કાર્યવાહી હાથ ધરી છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર આપ તરફથી આગામી દિવસોમાં ગુજરાતની કમાન ગોપાલ રાય અને કુમાર વિશ્વાસના હાથમાં રહેશે.

પંજાબ અને ગોવામાં ચૂંટણી પ્રક્રિયા પૂરી કર્યા બાદ દિલ્હી પરત ફરેલા અરવિંદ કેજરીવાલે તેમના સાથી પ્રધાનો અને પક્ષના અગ્રણીઓ સાથે સમય બદબાદ કર્યા વિના ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને તૈયારી કરવામાં લાગી જવા અપીલ કરી હતી. સૂત્રોનાં જણાવ્યા અનુસાર મનીષ સિસોદિયા, સંજયસિંહ, ગોપાલ રાય, દિલીપ પાંડે અન કુમાર વિશ્વાસ સહિત અન્ય વરિષ્ઠ નેતાઓ સાથે લગભગ ત્રણ કલાક વિચાર વિમર્શ કરીને ગુજરાતની ચૂંટણી અંગેની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરી હતી. પાર્ટીનાં સૂત્રોએ દાવો કરતાં જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી પંજાબમાં પૂર્ણ બહુમતિ સાથે સરકાર બનાવશે.અને ગોવામાં પણ આપ મોખરે રહેશે. પંજાબમાં પાર્ટીને ૯૦ જેટલી સીટ મળશે તેવો દાવો કરવામાં આવ્યો છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે પંજાબ અને ગોવાની જેમ જ હવે વડા પ્રધાન મોદીને તેમના જ ગૃહ રાજ્યમાં ઘેરવા પાર્ટીએ ભાજપને પડકાર ફેંકવા નિર્ણય કર્યો છે. જેમાં ગોપાલ રાય અને કુમાર વિશ્વાસ પક્ષનું નેતૃત્વ સંભાળશે. અા ઉપરાંત પક્ષના અન્ય નેતાઓ પણ ગુજરાતની ચૂંટણીમાં મહત્વની ભૂમિકા ભજવશે.તેમની જવાબદારી પણ ટૂંક સમયમાં નક્કી કરી દેવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ માટે અત્યારથી જ પાર્ટી દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે. જેમાં ટૂંક સમયમાં જ બૂથ લેવલની કમિટીઓની રચના કરવા માટે પાર્ટીના કાર્યકરોને ગુજરાત મોકલવામાં આવશે. જેમાં જે કાર્યકરોએ પંજાબ અને ગોવામાં બૂથ લેવલની જવાબદારી સંભાળી હતી તેમને જ ત્યાં મોકલવામાં આવશે. આવી તમામ કામગીરી ટૂંક સમયમાં જ પૂરી કરવામાં આવશે.