શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: ગુરુવાર, 2 નવેમ્બર 2017 (12:24 IST)

પીએમ મોદી આજે ગાંધીનગરની મુલાકાત લેશે, જાણો શું છે તેમનો કાર્યક્રમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી ગુજરાતની ટૂંકી મુલાકાતે આવી રહ્યા છે. તેઓ માત્ર ત્રણ કલાક રોકાશે. મુખ્યત્વે તેઓ ગાંધીનગરના અક્ષરધામ મંદિરની રજત જયંતી નિમત્તે યોજાયેલા કાર્યક્રમમાં ભાગ લેવા આવી રહ્યા છે. દરમિયાન તેઓ મુખ્યમંત્રી અને ભાજપના પદાધિકારીઓ સાથે પણ ચૂંટણીલક્ષી બેઠક યોજે તેવી શક્યતા છે. નરેન્દ્ર મોદી ગુરુવારે સાંજે 5 કલાકે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચશે.

ભાજપના કાર્યકર્તાઓ દ્વારા એરપોર્ટની બહાર માનવ સાંકળ રચીને તેમનું સ્વાગત કરવામાં આવશે. મોદી 5.30 કલાકે ગાંધીનગર રાજભવન પહોંચશે જ્યાં તેઓ એક કલાક માટે રોકાશે. અહીં તેઓ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપના પ્રદેશ આગેવાનો સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંગે ચર્ચા કરે તેવી શક્યતા સૂત્રોએ વ્યક્ત કરી છે. 6.30 કલાકે તેઓ અક્ષરધામ પહોંચશે. અહીં તેઓ ભગવાનને મંત્ર પુષ્પાંજલિ આપશે. અક્ષરધામની રજત જયંતી નિમત્તે ખાસ તૈયાર કરાયેલો લાઇટ એન્ડ સાઉન્ડ શો નિહાળશે. વિદ્વાનોનું સન્માન કરશે તેમજ ઉપસ્થિત આમંત્રિતોને ઉદબોધન પણ કરશે. મોદી અક્ષરધામમાં સવા કલાક જેટલું રોકાશે અને 7.45 કલાકે અક્ષરધામ મંદિરથી નીકળી 8 કલાકે અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે.