ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 23 ઑગસ્ટ 2017 (12:38 IST)

પીએમ મોદી સહિતનું કેન્દ્રીય નેતૃત્વ હવે ગુજરાતમાં ધામા નાંખશે

ગુજરાતમાં ચૂંટણીના પડધમ વાગવાના શરૂ થયા છે ત્યારે ભાજપ અને કોંગ્રેસનું કેન્દ્રીય નેતૃત્વ ગુજરાતમાં પધારવા માંડ્યું છે. ત્યારે આવતા મહિનાના પ્રથમ સપ્તાહમાં ભાજપના મંત્રી સ્મૃતિ ઈરાની તથા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પધારવાના છે. હવે પીએમ મોદી પણ ખુદ ગુજરાતની મુલાકાત કરવાના છે.તેમના આગામી સપ્ટેમ્બર મહિનામાં ગુજરાત મુલાકાતના કાર્યક્રમો ગોઠવાઇ રહ્યા છે. પૂરની સ્થિતિને કારણે નર્મદા ડેમના લોકાર્પણનો કાર્યક્રમ મુલતવી રહ્યા બાદ હવે તેઓ 17મી સપ્ટેમ્બરે પોતાના જન્મદિવસે નર્મદા ડેમનું લોકાર્પણ કરે તેવો કાર્યક્રમ તૈયાર થઇ રહ્યો છે.

તેઓ સપ્ટેમ્બરમાં એક જ અઠવાડિયામાં બે વખત ગુજરાતની મુલાકાતે આવશે. 13મી સપ્ટેમ્બર જાપાનના વડાપ્રધાન શિંઝો આબે ગુજરાતની મુલાકાતે આવવાના છે. ભારત મુલાકાતમાં તેઓ ગુજરાત જ આવશે. ધર્મ-નિજાનંદ સંપ્રદાયના પ્રવર્ધક અને દ્વિતીય આચાર્ય પ્રાણનાથજીની 400મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જામનગર ખાતે યોજાનારા સાત દિવસીય મહોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તેમજ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત પાંચ રાજ્યના ચીફ મિનિસ્ટર હાજર રહેશે. 

સાત દિવસીય આ મહોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ખાસ ઉપસ્થિત રહેશે. તાજેતરમાં જ આચાર્ય કૃષ્ણમણિજી દિલ્હી ખાતે વડાપ્રધાન મોદીને મળ્યા હતા અને તેમણે આ મહોત્સવમાં આવવા અંગેની સહમતી આપી હતી, જોકે વડાપ્રધાન ક્યારે આવશે તે તારીખ હવે નક્કી થશે. આ ઉપરાંત ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, મધ્યપ્રદેશના શિવરાજસિંહ ચૌહાણ, રાજસ્થાનના વસુંધરા રાજે સહિત પાંચ રાજ્યના ચીફ મિનિસ્ટર અને જુદા-જુદા રાજ્યોના રાજ્યપાલ આ મહોત્સવમાં જોડાશે. દેશ-વિદેશના અઢી લાખ જેટલા શ્રધ્ધાળુઓ પણ મહોત્સવનો લાભ લેશે તેવું આયોજક સમિતિએ જણાવ્યું હતું.