1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026
  4. Rajkot Congress defeat

રાજકોટ સ્થાનિક ચૂંટણી પરિણામ: નયનાબા જાડેજા અને આરજે આભા દેસાઈની હાર, કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સપાટી પર

Nayana Ba Jadeja and RJ Abha Desai
Nayana Ba Jadeja and RJ Abha Desai
ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ના પરિણામોમાં રાજકોટ શહેરમાં કોંગ્રેસને મોટો આંચકો લાગ્યો છે. શહેરના વોર્ડ નંબર 2 માં કોંગ્રેસની આખી પેનલને હારનો સામનો કરવો પડ્યો છે. આ હારમાં સૌથી વધુ ચર્ચા પ્રખ્યાત ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન અને રિવાબા જાડેજાના નણંદ નયનાબા જાડેજાની થઈ રહી છે. નયનાબા કોંગ્રેસના સક્રિય નેતા હોવા છતાં મતદારોએ તેમને નકારીને ભાજપની પેનલ પર પસંદગી ઉતારી છે.
 
નયનાબાનો પક્ષ પર પ્રહાર: 'નેતાઓ ઘરે બેસી રહ્યા'
 
ચૂંટણીમાં પરાજય બાદ નયનાબા જાડેજાએ પોતાની જ પાર્ટીના સંગઠન અને સ્થાનિક નેતાગીરી સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે અત્યંત આક્રમક સુરતમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતાઓએ જ તેમને ઘરે બેસીને હરાવ્યા છે. નયનાબાના મતે, ચૂંટણી પ્રચાર દરમિયાન પાર્ટીના સ્થાનિક નેતાઓનો જોઈએ તેવો સહકાર મળ્યો નહોતો અને ઘણા જવાબદાર હોદ્દેદારો મેદાનમાં ઉતરવાને બદલે નિષ્ક્રિય રહ્યા હતા, જેના કારણે હારનો સામનો કરવો પડ્યો છે.
 
લોકપ્રિય આરજે આભા દેસાઈની પણ કારમી હાર
 
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં અન્ય એક આકર્ષણનું કેન્દ્ર બનેલા ઉમેદવાર આરજે આભા દેસાઈને પણ નિષ્ફળતા મળી છે. વોર્ડ નંબર 10 માંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે લડનાર આભા દેસાઈને ભાજપની પેનલ સામે હારવું પડ્યું છે. સોશિયલ મીડિયા પર 3 લાખથી વધુ ફોલોઅર્સ અને 15 વર્ષનો રેડિયો સંવાદનો અનુભવ હોવા છતાં, આભા દેસાઈના આ પ્રભાવને તેઓ મતોમાં પરિવર્તિત કરી શક્યા નથી.
 
જનતાના પ્રશ્નો ઉઠાવ્યા છતાં ન મળ્યો જનાદેશ
 
આરજે આભા દેસાઈએ ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકોટની પાયાની સમસ્યાઓ જેવી કે ખરાબ રસ્તા, ખાડાઓના કારણે થતી સ્વાસ્થ્યની સમસ્યાઓ અને પાણીની અછત જેવા મુદ્દાઓને પ્રખર રીતે વાચા આપી હતી. એક યુવા અને નવા ચહેરા તરીકે તેમણે પરંપરાગત રાજકારણથી હટીને લોકોની મુશ્કેલીઓના સીધા ઉકેલ માટે રાજનીતિમાં આવવાની નેમ વ્યક્ત કરી હતી, પરંતુ ભાજપના ગઢ ગણાતા આ વોર્ડમાં મતદારોએ પરિવર્તનને બદલે સત્તાધારી પક્ષ પર જ ભરોસો જાળવી રાખ્યો છે.
 
કોંગ્રેસ માટે આત્મમંથનની ઘડી
 
રાજકોટના આ પરિણામોએ કોંગ્રેસના સંગઠનમાં રહેલા ગાબડાં અને આંતરિક જૂથવાદને ફરી એકવાર જાહેર કરી દીધો છે. નયનાબા જાડેજાના નિવેદનોએ સાબિત કર્યું છે કે જ્યાં સુધી પક્ષના કાર્યકરો અને નેતાઓ એકતા સાથે મેદાનમાં નહીં ઉતરે, ત્યાં સુધી ભાજપની મજબૂત પેનલોને હરાવવી મુશ્કેલ છે. આગામી ચૂંટણીઓ પહેલા કોંગ્રેસે પોતાની વ્યૂહરચના બદલવી પડશે અને નિષ્ક્રિય નેતાઓ સામે કડક પગલાં લેવા પડશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે
About Writer
વેબદુનિયા ન્યુઝ ટીમ
અમારા સ્ટ્રિંગર્સ, વિશ્વસનીય સ્ત્રોતો અને અનુભવી પત્રકારો દ્વારા તૈયાર કરવામાં આવેલી ગ્રાઉંડ રિપોર્ટ્સ, સ્પેશ્યલ રિપોર્ટ્સ અને રીયલ ટાઈમ અપડેટ્સને વરિષ્ઠ સંપાદકો દ્વારા સાવધાનીપૂર્વક તપાસીને જાણીને પ્રકાશિત કરવામાં આવે છે.... બધા વાંચો