શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. હોળી
Written By

હોળાષ્ટક ક્યારે, જાણો હોળાષ્ટકમાં કેમ નથી થતા શુભ કાર્ય અને હોળાષ્ટકની કથા

ફાગણ મહિનાની શુક્લ પક્ષ અષ્ટમીથી પૂર્ણિમા સુધી હોળાષ્ટક દોષ રહેશે. જે દરમિયાન કોઈપણ શુભ કાર્ય વર્જિત રહેશે.  આ દરમિયાન માંગલિક કાર્યો કરવામાં આવે તો પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે.   જ્યોતિષ મુજબ આ સમય દરમિયાન વિશેષ રૂપથી લગ્ન, કોઈપણ નવુ નિર્માણ અને નવા કાર્યોને શરૂ ન કરવા જોઈએ. 
 
આ દિવસો દરમિયાન કરવામાં આવતા કાર્યોથી કષ્ટ અને અનેક પીડાની આશંકા રહે છે. લગ્ન વગેરે સંબંધ વિચ્છેદ અને ક્લેશનો શિકાર થઈ જાય છે કે પછી અકાળ મૃત્યુનો ખતરો કે બીમારી થવાની આશંકા વધી જાય છે.  તેથી આ દરમિયાન શુભ કાર્યો કરવા જોઈએ નહી. 
 
હોળાષ્ટક એટલે શુ  - હોળીના આઠ દિવસ પહેલાથી હોળાષ્ટક શરૂ થઈ જાય છે. હોળાષ્ટક શબ્દ હોળી અને અષ્ટક બે શબ્દોને મિક્સ કરીને બનાવ્યો છે.  તેનો અર્થ થાય છે હોળીના આઠ દિવસ. હોળાષ્ટક ફાગણ  શુક્લ પક્ષ અષ્ટમીથી શરૂ થઈને ફાગણ શુક્લ પક્ષની પૂર્ણિમા સુધી રહે છે. 
 
અષ્ટમી તિથિથી શરૂ થવાને કારણે પણ તેને હોળાષ્ટક કહે છે. આપણને હોળી આવવાની પૂર્વ સૂચના હોળાષ્ટક દ્વારા મળે છે. આ દિવસે હોળી ઉત્સવની સાથે સાથે હોલિકા દહનની તૈયારીઓ પણ શરૂ થઈ જાય છે.  
 
આ દરમિયાન ગ્રહો રહે છે ઉગ્ર 
 
હોળાષ્ટ દરમિયાન અષ્ટમીના રોજ ચંદ્રમા, નવમીએ સૂર્ય, દશમીએ શનિ, એકાદશીએ શુક્ત્રસુ, દ્વાદશીએ ગુરૂ, ત્રયોદશીએ બુધ ચતુર્દશીએ મંગળ અને પૂર્ણિમાના રોજ રાહુ ઉગ્ર સ્વભાવમાં રહે છે. આ ગ્રહોના ઉગ્ર રહેવાને કારણે મનુષ્યની નિર્ણય લેવાની ક્ષમતા કમજોર થઈ જાય છે. જેના કારણે અનેકવાર તેનાથી ખોટા નિર્ણય પણ થઈ જાય છે.  જેની કુંડળીમાં નીચ રાશિનો ચંદ્રમાં અને વૃશ્ચિક રાશિના જાતક કે ચંદ્ર છઠ્ઠા કે આઠમા ભાવમાં છે. તેમને આ દિવસો દરમિયાન વધુ સતર્ક  રહેવુ જોઈએ. હોળાષ્ટક શરૂ થતા જ પ્રાચીન કાળમાં હોલિકા દહન વાળા સ્થાનની છાણ અને ગાંગાજળ વગેરેથી લિપાઈ કરવામાં આવતી હતી. સાથે જ ત્યા હોલિકાનો દંડો પણ લગાવી દેવામાં આવતો હતો. 
 
 હોળાષ્ટક દરમિયાન શુ કરવામાં આવે છે. 
 
માઘ પૂર્ણિમાથી હોળીની તૈયારીઓ શરૂ થઈ જાય છે. હોળાષ્ટક શરૂ થતા જ બે દંડાને સ્થાપિત કરવામાં આવે છે. તેમાથી એક હોલિકાનુ પ્રતીક છે અને બીજુ પ્રહલાદ સાથે સંબંધિત છે. એવુ માનવામાં આવે છે કે હોલિકાના પહેલા 8 દિવસ દાહ કર્મની તૈયારી કરવામાં આવે છે. 
 
હોળી સાથે જોડાયેલી કથાઓ 
 
એવુ કહેવામા આવે છે જ્યારે પ્રહલાદને નારાયણ ભક્તિથી વિમુખ કરવાના બધા ઉપાય નિષ્ફળ થવા માંડ્યા તો હિરણ્યકશ્યપે પ્રહલાદને ફાગણ શુક્લ પક્ષની અષ્ટમીના રોજ બંદી બનાવી લીધા અને યાતનાઓ આપવા માડી.  તેને મારવા માટે રોજ અનેક ઉપાય કરવામાં આવવા લાગ્યા. પણ ભગવાન ભક્તિમાં લીન પ્રહલાદ હંમેશા જીવતા બચી જતા હતા.  આ રીતે સાત દિવસ વીતી ગયા. આઠમા દિવસે ભાઈ હિરણ્યકશ્યપની પરેશાની જોઈને બહેન હોલિકા (જેને બ્રહ્મા દ્વારા અગ્નિથી ન બળવાનુ વરદાન મળ્યુ હતુ)એ પ્રહલાદને પોતાના ખોળામાં લઈને અગ્નિમાં ભસ્મ કરવાનો પ્રસ્તાવ મુક્યો. 
 
હોલિકા જેવી જ ભત્રીજા પ્રહલાદને ખોળામાં લઈને બળતી આગમાં બેસી તો તે બળવા માંડી.  પ્રહલાદ પુન જીવિત બચી ગયો. જ્યારે કે હોલિકા બળી ગઈ. આ આઠ દિવસને હોળાષ્ટકના રૂપમાં ઉજવવામાં આવે છે. ગ્રંથોમાં ઉલ્લેખ મળે છે કે ભગવાન શિવની તપસ્યાને ભંગ કરવાના અપરાધમાં કામદેવને શિવજીએ ફાગણની આઠમે ભસ્મ કરી દીધા હતા. કામદેવની પત્ની રતિએ એ સમયે ક્ષમા યાચના કરી અને શિવજીએ કામદેવને ફરીથી જીવિત કરવાનુ આશ્વાસન આપ્યુ. આ ખુશીમાં લોકો રંગ રમે છે.