મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. ગુજરાતી બાળ વાર્તા
Written By
Last Updated : બુધવાર, 24 મે 2017 (12:39 IST)

Akbar Birbal - શ્રદ્ધા અને અંધશ્રદ્ધા

એકવાર બાદશાહ અકબરે બિરબલજીને પૂછ્યું બિરબલ શ્રધ્ધાને વધારવાનું કામ કોણ કરે? ને શ્રધ્ધા ને અંધશ્રધ્ધામાં શું તફાવત છે? ત્યારે બિરબલ કહે જહાંપનાહ શ્રધ્ધા વધારવાનું કામ મોટા માણસો કરે છે, અને બીજી વાત શ્રધ્ધા અને અંધશ્રધ્ધા વચ્ચે ખાસ ફર્ક નથી જે અન્ય લોકો કરતાં હોય તેમનાં કાર્યમાં આપોઆપ શ્રધ્ધા અને અંધશ્રધ્ધા એવી રીતે જોડાઈ જાય છે કે બંને વચ્ચે રહેલા ભેદની આછી – પાતળી રેખાછે જે સરળતાથી દેખાતી નથી.  અકબર બાદશાહ કહે બિરબલ તું મારી પાસે જે બોલ્યો તેને સિધ્ધ કરી બતાવ તો હું માનું. તો બિરબલ કહે જહાંપનાહ એમ તાત્કાલિક સિધ્ધ કરવું મુશ્કેલ છે, પણ સમય આવે ચોક્કસ એ સિધ્ધ કરી બતાવીશ. આથી અકબર બાદશાહ કહે સારું બિરબલ જ્યારે એ સમય તારે માટે આવી જાય ત્યારે તું મને કહેજે. આમ એ વાત ત્યાં જ મુકાઇ ગઈ.
 
આ વાતને થોડા મહિનાઓ વીતી ગયા હતાં. બાદશાહ અકબર પણ એ વાતને ભૂલી ગયાં હતાં. તેવામાં એક દિવસ બિરબલ બાદશાહ અકબરને કહે જહાંપનાહ મારે મારા એક કાર્ય માટે આપની જરૂર છે પણ એ કાર્ય શું છે તે વિષે આપને પૂછવું નહીં ફક્ત હું કહું તેટલું જ આપને કરવાનું છે? શું આપ કરશો? અકબર બાદશાહ કહે હા હા ચોક્કસ કરીશ. તો બિરબલ કહે જહાંપનાહ હવેથી ભર્યા દરબારમાં મારી સારી અને નરસી દરેક વાત પર આપે મને શિરપાવ આપવો અને કહેવું કે બિરબલ તારી કોઈપણ વાત કે વિચાર પણ હોય છે તો પણ તારા બધાં જ વિચાર વાતને મનમાં રાખવાથી મને ઘણો જ ફાયદો થયો છે તેથી મારા તરફથી તને આ ઈનામ એમ કહી નાનો-મોટો જેવું આપને રૂચે તેવું ઈનામ આપે મને આપવું. પણ કોઈ દરબારી પૂછે તો કહેવું કે બિરબલ માટે કોઈએ ઈર્ષા કરવી નહીં અને બિરબલને શું આપવું શું ન આપવું તેમાં મારી મરજી રહેલી છે તેથી મારી મરજીમાં કોઈએ સવાલજવાબ કરવા નહીં.  બિરબલજીમાં વિશ્વાસ ધરાવતાં અકબર બાદશાહે બિરબલનાં કહ્યા મુજબ લગભગ રોજે રોજ બિરબલને શિરપાવ આપવાનું ચાલું કર્યું. વારંવાર બિરબલની નાની નાની વાત પર પ્રસન્ન થઈ જતાં અકબર બાદશાહને જોઈને દરબારીઓને બહુ આશ્ચર્ય થતું પણ બાદશાહને સવાલ પૂછવાની હિંમત કોણ કરે? અને ભૂલેચૂકેય કોઈ દરબારી સવાલ કરી લે તો બાદશાહ તેને ચૂપ કરાવી દેતાં. તેથી દરબારીઓ વારંવાર વિચારતા રહેતા કે બિરબલજીએ એવો તે કેવો જાદુ બાદશાહેજહાં પર કર્યો છે કે બાદશાહજહાં બિરબલ પર સદાયે પ્રસન્ન જ રહે છે…..? આમ વિચારતા દરબારીઓએ બિરબલ શું કરે છે, શું વિચારે છે તે જોવાની શરૂઆત કરી જેથી કરીને બિરબલજીની ચતુરાઇનો રાઝ જાણી શકાય. આ રાઝ જાણવાની ઈચ્છાને કારણે દરબારીઓને એક દિવસ ખબર પડી કે બિરબલજી રોજ વહેલી સવારે નગરની બહાર જઈ એક ટિંબા ઉપર ઊભા રહી પૂજા કરી રહ્યાં છે. આથી તેમણે એક દિવસ બિરબલને પૂછ્યું કે આમ વહેલી સવારે અહીં આપ કોની પૂજા કરી રહ્યાં છો? તો બિરબલજી કહે થોડા દિવસ પહેલા મને આ જગ્યાએ એક ફકીર મળેલા તેમણે મને કહ્યું કે રોજ આ જગ્યા પર આવીને ઈબાદત કરશો તો તમારું બધુ જ સારું થશે. કારણ કે આ જગ્યાની નીચે એક પવિત્ર વસ્તુ રહેલી છે. અલ્લાહનાં ઓલિયા એવા ફકીરની કેવી રીતે ટાળી શકું? પણ હું હિન્દુ છું તેથી રોજે આ જગ્યાએ પૂજા કરવા આવું છું જેનાથી મારા મનમાં બહુ સારું લાગે છે અને સાથે સાથે મન પ્રસન્ન રહેતાં દરબારનાં કામ પણ સારી રીતે થાય છે. વળી દરબારનાં કામ સારી રીતે થતાં જહાંપનાહ મારી ઉપર પ્રસન્ન પણ રહે છે. બિરબલની વાત જાણીને દરબારીઓ વિચારવા લાગ્યાં કે જરૂર બિરબલજીની સફળતાનો અને ચતુરાઇનો આજ રાઝ છે તેથી જ અકબર બાદશાહ પણ બિરબલને રોજબરોજ અનેકાનેક શિરપાવ આપે છે. આમ વિચારીને દરબારીઓ પણ બિરબલજીની સાથે રોજે સવારે પૂજામાં જોડાવા લાગ્યાં. બિરબલ સાથે દરબારીઓને ત્યાં જતાં જોઈ ધીરે ધીરે એ જગ્યાનો મહિમા વધવા લાગ્યો, તેથી વહેલી સવારથી એ જગ્યાએ લોકોની ભીડ જામવા લાગી. જેમ જેમ એ જગ્યાનો મહિમા વધવા લાગ્યો તેમ અનેકાનેક બાધાઓ નગરજનો રાખવા લાગ્યાં જેમાં હિન્દુઓ પૂજા કરતાં અને મુસ્લિમો ઈબાદત કરતાં હતાં. એક દિવસ અકબર બાદશાહને પણ આ જગ્યા વિષે ખબર પડી તેથી તેઓ પણ અન્ય નગરજનોની સાથે જોડાયા. બાદશાહ અકબરને પણ જોડાયેલા જોઈને દિલ્હી નગરમાં એક હવા ફેલાઈ ગઈ કે આ જગ્યાનો મહિમા અત્યંત પવિત્ર છે અરે બાદશાહ જેવા બાદશાહ પણ જે જગ્યાએ ઈબાદત કરવા આવે છે તે જગ્યા જરૂરથી પાક અને પવિત્ર જ હોવાનીને……. એમ કહી પરસ્પર વાતો કરતાં. અકબર બાદશાહનાં ત્યાં ઈબાદત કર્યા બાદ દિલ્હીની આસપાસ રહેલા નાના નાના નગરનાં નગરજનો ત્યાં આવતાં. ત્યાર પછી તો એવો સમય પણ આવ્યો કે જે યાત્રાળુઓ દિલ્હી જાય તેઓ તે સ્થળની મુલાકાત ચોક્કસ લેતાં.
 
આ રીતે દિવસો વીતવા લાગ્યાં ત્યારે એક દિવસ બિરબલ કહે જહાંપનાહ આજે મારે એક જૂની વાત યાદ કરાવવી છે આપે થોડા મહિનાઓ પૂર્વે મને પૂછેલું કે શ્રધ્ધા અને અંધશ્રધ્ધા વચ્ચે શું ભેદ હોય યાદ છે આપને? બાદશાહ અકબર કહે હા…..બિરબલજી આપે મને એ વાત ખરી યાદ દેવડાવી, શું થયું એ વાતનું? ત્યારે બિરબલ કહે જહાંપનાહ આપ રોજે સવારે નગર બહાર ઈબાદત કરવા જાઓ છો ખરું ને? બાદશાહ અકબર હા મે સાંભળ્યું છે કે તે જગ્યાએ ઈબાદત કરવાથી મનની બધી જ મુરાદ પૂરી થાય છે અને બિરબલ તમે જ એ જગ્યાએ જવાનું શરૂ કર્યું હતું ખરૂ ને ત્યારે બિરબલે કહ્યું જહાંપનાહ હા આપની એ વાત સાચી છે પરંતુ ત્યાં જવાથી મે આપના બધાં જ સવાલોનાં જવાબ આપી દીધા છે બાદશાહ અકબર કહે એ કેવી રીતે બિરબલ ? ત્યારે બિરબલ કહે જહાંપનાહ મે તો માત્ર એક અફવા ફેલાવી હતી અને એ અફવાને વેગ દેવા માટે હું પોતે ત્યાં જઈને પૂજા કરતો પણ નગરજનોની દૃષ્ટિએ હું મોટો છું  તેથી મારૂ અનુકરણ કરીને અન્ય નગરજનો પણ ત્યાં જવા લાગ્યાં. જ્યારે આપના તરફથી મને વારંવાર શિરપાવ મળતો હતો તે જોઈને નગરજનો અને દરબારીઓને લાગવા લાગ્યું કે મારી પૂજા સફળ થઈ છે તેથી આપ મારા પર પ્રસન્ન રહો છો તેથી હું જે કરતો તે દરબારીઓ કરવા લાગ્યાં, અને જે દરબારીઓ કરતાં હતાં તે નગરજનો કરવા લાગ્યાં અને જે નગરજનો કરતાં હતાં તે જોઈને આપ પણ તે જ કરવા લાગ્યાં. જહાંપનાહ આપ હવે કહી શકો છો કે શ્રધ્ધા વધારવાનું કાર્ય મોટા માણસો કરે છે, વળી જહાંપનાહ આપે એ પણ જોયું હશે કે આપે ત્યાં કરેલી ઈબાદત પછી તો લોકોના ટોળેટોળાં ત્યાં ઉમેટવા લાગ્યાં હતાં, આ હતો આપના પ્રથમ સવાલનો જવાબ. હવે બીજા સવાલનો જવાબ આપું. જહાંપનાહ……… આપે પૂછ્યું હતું કે શ્રધ્ધા અને અંધશ્રધ્ધા વચ્ચે કેટલો ભેદ છે? અને મે આપને કહ્યું હતું કે એ બંને વચ્ચેની આછી પાતળી રેખા છે જે સરળતાથી દેખાતી નથી. જહાંપનાહ આપ જ કહો………જ્યારે આપે ત્યાં ઈબાદત કરવા જવાનું નક્કી કર્યું ત્યારે આપને એ સ્થળ પાક લાગતું હતું? ત્યારે અકબર બાદશાહ કહે નાં હું તો લોકો જતાં હતાં તેથી હું પણ ત્યાં જતો હતો. આથી બિરબલ કહે કે જહાંપનાહ જે લોકો શ્રધ્ધાથી જતાં હતાં તેમણે જોઈ જોઈને જે લોકો ત્યાં જતાં અર્થાત્ દેખાદેખીથી જે લોકો જોડાયા અને વધુ ને વધુ તે જગ્યાને જાણ્યા વગર જ, પોતે શા માટે કરી રહ્યાં છે તે સમજ્યા વગર જ લોકોને પોતાની સાથે જોડાવાનો આગ્રહ કરતાં રહ્યાં તે તમામ લોકોની અંધશ્રધ્ધા પણ એ શ્રધ્ધાળુંઓમાં ભળી ગઈ હતી. અકબર બાદશાહ હવે બિરબલ શું કહે છે તે સમજી ચૂક્યા હતાં તેથી કાન પકડીને કહે બિરબલ તમારી વાત સાચી છે મે પણ એ સ્થળને જાણ્યા, સમજ્યા વગર જ ત્યાં જઈને ઈબાદત કરવાનું ચાલું કરી દીધું તે મારી અંધશ્રધ્ધા હતી પરંતુ મને ત્યાં જતો જોઈ મારી પાછળ જે લોકોનાં ટોળાઓ ત્યાં એકઠા થવા લાગ્યાં તેઓતો ફક્ત મારુ અનુકરણ કરતાં હતાં ઉપરાંત મને ત્યાં જોઈને તેમની શ્રધ્ધા પણ વધી ગઈ હતી. આટલી વાત કર્યા પછી અકબર બાદશાહ બિરબલને પૂછવા લાગ્યાં કે પણ એ તો કહો કે બિરબલ એ સ્થળ શું ખરેખર પાક છે? ત્યાં શું ખરેખર આપને ઓલિયા ફકીર મળેલા…..? ત્યારે બિરબલ કહે હુજૂર હજુ પણ ન સમજ્યા….? એ જગ્યા પર મને કોઈ જ મળેલું ન હતું મે તો બસ આપના સવાલનો જવાબ આપવા માટે અફવા ઉડાવી હતી.
 
 
બિરબલે રાજા ને કહ્યુ કે, જ્યાં  બુદ્ધિ નાં સીમાડા  અટકી જાય, અને જેના પૂરાવા ના મળે તેને આપણે શ્રદ્ધા પર છોડી દઈએ છીએ. જે આપણી એક નબળાઈ કહો કે આપણી, મર્યાદા કહો, કે આપણી લીમીટ ની બહારની વાત કહો. , જેનો કોઈ ચોક્કસ પૂરાવો નથી, પણ આપણી શ્રદ્ધા વિષે નો પૂરાવો છે એવું હું સમજુ છું.  આવી વાતને લોકોએ પોતાના સ્વાર્થ, પોતાના હિત,પોતાના જીવનનું  ધ્યેય બનાવી અને અંધશ્રદ્ધાનું સામ્રાજ્ય સ્થાપ્યું.   તમે તેને તમારી તરફ કેવી રીતે આકર્ષી શકો છો તે તમારી ખુદની શક્તિ અને બુદ્ધિ પર નિર્ભર કરે છે, અને ખાસ કરીને આ અંધશ્રદ્ધા નો ઉપયોગ કરી ને જ.