ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2019
Written By
Last Modified: મંગળવાર, 26 માર્ચ 2019 (12:00 IST)

લોકસભાની ચૂંટણી 2019- ઉમેદવારોની પસંદગીનો મુદ્દો ભાજપ-કોંગ્રેસ માટે માથાના દુઃખાવા સમાન બન્યો

લોકસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યાં ગુજરાતમાં બંને મુખ્ય પક્ષોમાં ઉમેદવારોની ટિકીટ અંગે મુંઝવણો ઓછી થવાનું નામ નથી લેતી. કોંગ્રેસમાં તો શરુઆતથી જ આ મુદ્દે ઉકળતો ચરુ છે પરંતુ હવે ભાજપમાંય તેનું પરિવર્તન થઈ રહ્યું છે. ઉમેદવારોની પસંદગીનો મુદ્દો ભાજપ-કોંગ્રેસ માટે શીરદર્દ બન્યો છે ત્યારે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી મંગળવારે યોજાનારી બેઠકમાં ભાગ લેવા માટે દિલ્હી પહોંચ્યા છે. દરમિયાનમાં ભાજપે રીપિટ થિયરી અપનાવતા કોંગ્રેસે કેટલીક બેઠકો પર નો-રીપિટ થિયરી અપનાવવાનું બહાર આવ્યું છે. ભાજપે પ્રભુ વસાવાને રીપિટ કરતા કોંગ્રેસે તુષાર ચૌધરીની જગ્યાએ ધારાસભ્ય આનંદ ચૌધરીને અને વલસાડ બેઠક પર ભાજપે કે.સી.પટેલને રીપિટ કરતા કીશન પટેલના નામ અંગે ફેરવિચારણા હાથ ધરી છે. ધ્રાંગધ્રા બેઠક પર પણ ભાજપના નારાજ સાંસદ દેવજી ફતેપરાને કોંગ્રેસમાંથી લડાવવાની વાટાઘાટો ચાલી રહી છે. આંદોલનકારી ચહેરાઓ એક પછી એક કોંગ્રેસમાં જોડાઇ રહ્યા છે ત્યારે ફીકસ વેતનના મુદ્દે આંદોલન કરનાર પ્રવિણ રામ સોમવારે વિરોધ પક્ષના નેતા ધાનાણીને મળ્યા હતા. તેમણે ગાંધીનગર કે અન્ય બેઠક પરથી ચૂંટણી લડવાની ઇચ્છા વ્યકત કરી હોવાનું સુત્રોનું કહેવું છે. પાટણમાં જગદિશ ઠાકોરનું નામ નક્કી થતા ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના નિર્ણય સામે નારાજગી વ્યકત કરીને ચિમકી આપી હોવાનું બહાર આવ્યું છે. જો કે, જગદિઠ ઠાકોરને ટીકીટ આપવા પહેલા સહમતી થઇ ગઇ હતી, પણ પાછળથી કોકડું ગુંચવાયું છે. એનસીપીએ શંકરસિંહ વાઘેલાને ગાંધીનગર કે અન્ય બેઠક પરથી ચૂંટણી લડવાની અપીલ કરી છે. જો કે, એનસીપીના પ્રદેશ પ્રમુખ જયંત બોસ્કીએ આ નિવેદન પછી ભૂર્ગભમાં જતા રહ્યા હતા. જ્યારે શંકરસિંહની છાવણી તરફથી બાપુ ચૂંટણી લડવાના ન હોવાનું જાણવા મળ્યું છે.