શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી: , શુક્રવાર, 3 એપ્રિલ 2020 (15:52 IST)

કોરોના વાઇરસ સામે લડવા NSTIમાં કોરન્ટાઇન અને આઇસોલેશન સુવિધા તૈયાર કરશે

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાન ઉપર કોરોના જેવી વૈશ્વિક મહામારી સામે લડવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દીધી છે. આ કામગીરીમાં કૌશલ્ય વિકાસ અને ઉદ્યમશીલતા મંત્રાલયે પોતાના માધ્યમથી દેશભરમાં તેના નેશનલ સ્કિલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટ્સ (એનએસટીઆઇ)ને કોરન્ટાઇન અને આઇસોલેશન વોર્ડમાં તબદીલ કરવાનો નિર્ણય કર્યો છે. આ કેન્દ્રોની ઉપલબ્ધતા સંબંધિત પત્ર તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવો અને વહીવટીતંત્રને મોકલી આપવામાં આવ્યો છે, જેથી સ્વાસ્થ્ય મંત્રાલય તેનો ઉચિત ઉપયોગ કરી શકે.
 
ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યમિતા પ્રધાન ડો. મહેન્દ્રનાથ પાંડેએ જણાવ્યું હતું કે, કટોકટીના આ સમયમાં કોવિડ 19થી પેદા થયેલા પડકારોનો સામનો કરવા માટે હોસ્પિટલ્સ, પ્રયોગશાળાઓ, આઇસોલેશન વોર્ડ્સ અને ચિકિત્સા સુવિધાઓના વિસ્તારને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની આવશ્યકતા છે. દર્દીઓના સારા ઇલાજ માટે અમારા ટ્રેનિંગ સેન્ટર્સને વેન્ટિલેટર, પીપીઇ, માસ્ક અને દવાઓ જેવી મૂળભુત સુવિધાઓથી સજ્જ કરવાની આવશ્યકતા છે. આ ઉપરાંત સંક્રમણને રોકવા માટે આઇસોલેશન સુવિધાઓ તૈયાર કરવાની પણ જરૂર છે.
 
તેમણે ઉમેર્યું હતું કે, કોરોનાના પ્રકોપને જોતાં હોસ્પિટલ્સમાં પથારીઓની અછતને દૂર કરવા માટે દેશના વિવિધ હિસ્સાઓમાં અસ્થાયી ચિકિત્સા શિબિરો અને ઇલાજ માટે મૂળભુત માળખાની જરૂર પેદા થઇ શકે છે. આ ઉદ્દેશ્યોને પૂર્ણ કરવા માટે કૌશલ્ય વિકાસ અને ઉદ્યમશીલતા મંત્રાલયે દેશમાં પોતાની તમામ નેશનલ સ્કિલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટને અસ્થાયી રૂપે ચિકિત્સા શિબિરમાં તબદીલ કરવાનો નિર્ણય કર્યો છે, જેથી વધુ પ્રભાવિતો સુધી રાહત પહોંચાડી શકાય.
 
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોરોના વાઇરસના પ્રસાર અને વૈશ્વિક આપાતકાલને જોતાં અમે મહામારી સામે લડવા માટે કેન્દ્ર સરકારે શક્ય તમામ સહાયતા ઉપલબ્ધ કરાવીશું. અમે એનએસટીઆઇના તમામ ક્ષેત્રિય ડાયરેક્ટર્સને અનુરોધ કર્યો છે કે તેઓ રાજ્ય સરકારના અધિકારીઓને સંપૂર્ણ સહયોગ કરે કે જેથી તેમની તમામ જરૂરિયાતો પૂર્ણ થઇ શકે.
 
આ ઉપરાંત કૌશલ્ય વિકાસ મંત્રાલયે સ્વાસ્થ્ય મંત્રાલયને લગભગ એક લાખ કર્મચારીઓની યાદી પ્રદાન કરી છે, જે સ્કિલ ઇન્ડિયાના વિવિધ પ્રશિક્ષણ કાર્યક્રમોના માધ્યમથી સ્વાસ્થ્ય ક્ષેત્ર સંબંધિત કૌશલ્યથી સજ્જ છે. આ લોકોની કુશળતાનો ઉપયોગ ચિકિત્સાવ સુવિધાઓ અને આપાતકાલીન સ્થિતિમાં કરી શકાય છે. તેમાં પેમકેવીવાય હેઠળ સ્વાસ્થ્ય પ્રશિક્ષણ હાંસલ કરેલાં 92040 ટ્રેઇની, 373 રેડિયોલોજી એક્સપર્ટ્સ, 989 ઇમરજન્સી મેડિકલ ટેકનીશીયન, 299 એક્સરે ટેકનીશીયન, 530 ફ્રન્ટલાઇન વર્કર, 10,172 જનરલ ડ્યુટી આસિસ્ટન્ટ, 334 ફ્લેબોટોમી ટેકનીશીયન મુખ્યરીતે સામેલ છે.
 
આ સાથે અમે 2000 હેલ્થ કેર ટ્રેઇની અને 500થી વધુ સ્વાસ્થ્ય કર્મચારીઓની વધુ એક યાદી સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયને ઉપલબ્ધ કરાવી છે, જેથી સમયસર કાર્યમાં સહયતા પ્રદાન કરી શકાય. ડો. પાંડેએ ઉમેર્યું હતું કે કોરોના વાઇરસ સામે લડવા માટે સરકારના પ્રયાસોમાં મદદરૂપ બનવા માટે મંત્રાલયના તમામ કર્મચારીઓએ પોતાના એક દિવસનો પગાર પ્રધાનમંત્રી રાહત કોષમાં દાન કરવાનો નિર્ણય કર્યો છે. ડો. પાંડેએ જણાવ્યું હતું કે, મને આશા છે કે સંકટની આ સ્થિતિમાં અમારી આ પહેલથી અમારા તમામ કર્મયોદ્ધાઓને એક નવી ઉર્જા અને તાકાત મળશે તેમજ દેશવાસીઓને એકજુટ રાખીને લડાઇ લડવામાં મદદ મળશે.