અયોધ્યામાં રાજા રામની પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન, સુરતના વેપારીએ દાન કર્યા 300 ગ્રામ સોનાના અને 300 કેરેટ રૂબીના ઘરેણા
આજે રામનગરી અયોધ્યામાં રામ ભક્તોની રાહનો અંત આવ્યો છે. અયોધ્યાના રામ મંદિરમાં રામ દરબાર શણગારવામાં આવ્યો છે જેમાં ભગવાન શ્રી રામ સાથે માતા સીતા, હનુમાન, ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્ન જોવા મળે છે. આજે વૈદિક મંત્રો વચ્ચે રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. અભિજીત મુહૂર્તમાં રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ સાથે રામ મંદિરના કિલ્લા પર બનેલા 8 દેવતાઓના મંદિરોમાં પણ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ધાર્મિક નેતાઓની સાથે યુપીના સીએમ યોગી આદિત્યનાથે ગંગા દશેરા નિમિત્તે આ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લીધો હતો. તેમણે મૂર્તિની આરતી કરી હતી. ખાસ વાત એ છે કે આજે સીએમ યોગીનો જન્મદિવસ પણ છે અને આ દિવસે અયોધ્યાના રામ મંદિરમાં રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
સૂરતના હીરા વેપારી મુકેશ પટેલ દ્વારા દાન કરવામાં આવેલા શ્રી રામ દરબારના બેશકિમતી ઘરેણા હવે અયોધ્યા પહોચી ચુક્યા છે. આ આભૂષણોમાં એક હજાર કેરેટ હીરા, 30 કિલો ચાંદી, 300 ગ્રામ સોનુ અને 300 કેરેટ રૂબીનો ઉપયોગ કરી ચારેય ભાઈઓ માટે ગળાનો હાર, કાનના કુંડળ, કપાળનું તિલક, ધનુષ્ય-બાણ સહિત અનેક દિવ્ય આભૂષણો તૈયાર કરવામાં આવ્યા છે. આ આભૂષણો શ્રી રામ, માતા સીતા અને ચારેય ભાઈઓએ આજે પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન પહેરાવ્યા.. આ આભૂષણો સરકારની મદદથી ચાર્ટર્ડ પ્લેન દ્વારા અયોધ્યા લાવવામાં આવ્યા હતા. આજે શ્રી રામ જન્મભૂમિ મંદિર ટ્રસ્ટને દાનમાં આપવામાં આવ્યા હતા. રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરી, 2024ના રોજ એટલે કે 498 દિવસ પહેલા થઈ હતી.