ગુજરાતમાં AAP ની જીતની ખુશી 2 દિવસમાં જ ફીકી પડી, ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પાર્ટીના બધા પદો પરથી આપ્યુ રાજીનામુ
AAP MLA Umesh Makwana Resigns:ગુજરાતમાં વિસાવદર પેટાચૂંટણીમાં પોતાની જીતની ઉજવણી કરી રહેલી આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. કારણ કે ગુજરાતના બોટાદ વિધાનસભાના પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ વ્હીપ અને રાષ્ટ્રીય સંયુક્ત સચિવ સહિત તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે રાજીનામાની માહિતી આપતો પત્ર જારી કર્યો છે. પત્રમાં તેમણે લખ્યું છે કે મારી સામાજિક સેવાઓ ઘટી રહી છે, તેથી હું આમ આદમી પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપી રહ્યો છું. હું હવે એક કાર્યકર તરીકે પાર્ટી માટે કામ કરીશ. જોકે તેમણે ધારાસભ્ય પદ છોડવાનો ઇનકાર કર્યો છે, તેમણે પાર્ટી પ્રમુખ અરવિંદ કેજરીવાલને વિનંતી કરી છે કે તેમને બધી જવાબદારીઓમાંથી મુક્ત કરવામાં આવે.
બોટાદ આપના ધારાસભ્ય ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટી સામે બાંયો ચડાવતાં આજે (ગુરૂવારે) દંડક અને જોઇન્ટ સેક્રેટરી સહિતના તમામ પદેથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ પાર્ટીએ કડક કાર્યવાહી કરતાં ઉમેશ મકવાણાને 5 વર્ષ માટે સસ્પેન્ડ કરતાં કર્યા છે અને પાર્ટી પક્ષવિરોધી ગતિવિધિઓનો આરોપ લગાવ્યો છે. તો બીજી તરફ ઉમેશ મકવાણાએ રાજીનામું આપ્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે પાર્ટી દ્વારા ઓબીસી સમાજ અને પછાત વર્ગના નેતાઓનો ચૂંટણીમાં માત્ર ઉપયોગ થાય છે અને ચૂંટણી બાદ તેમને હાંસિયામાં ધકેલી દેવામાં આવે છે.
પાર્ટીથી નારાજ હતા ઉમેશ મકવાણા
પાર્ટીના સૂત્રો મુજબ મકવાણાએ રાજીનામાનુ કારણ તેમની પાર્ટી સાથેની નારાજગી હતી. ઉમેશ મકવાણા લાંબા સમયથી આમ આદમી પાર્ટીથી નારાજ ચાલી રહ્યા છે. ન તો તેઓ પાર્ટી ધારાસભ્યોના કોલ રીસિવ કરે છે કે ન તો પરત ફોન લગાવે છે. તેઓ પાર્ટીના બધા કાર્યક્રમોમાંથી પણ ગાયબ રહે છે. આ અગાઉ પહેલા પણ અનેકવાર મકવાનાના રાજીનામાની ચર્ચા થઈ ચુકી છે. પણ તેઓ પ્રેસ કોન્ફ્રેન્સ કરીને અફવાઓનુ ખંડન કરી દે છે. પણ આ વખતે તેમણે ખરેખર બધા પદો પરથી રાજીનામુ આપી દીધુ છે.
લોકસભા ચૂંટણી લડી ચુક્યા છે ઉમેશ
ઉલ્લેખનીય છે કે ઉમેશ મકવાણા વર્ષ 2022 માં બોટાદ બેઠક પરથી આમ આદમી પાર્ટીની ટિકિટ પર ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા હતા. ઉમેશે ભાજપના ઉમેદવાર ઘનશ્યામ વિરાણી અને કોંગ્રેસના ઉમેદવાર મનહર પટેલને હરાવ્યા હતા. આ જીતની ભેટ આપતા, આમ આદમી પાર્ટીએ તેમને ભાવનગર સંસદીય બેઠક પરથી લોકસભા ચૂંટણીમાં મેદાનમાં ઉતાર્યા, પરંતુ તેઓ હારી ગયા. તેમની સિદ્ધિઓને ધ્યાનમાં રાખીને, તેમને પાર્ટીમાં ઘણા વધુ પદો પણ આપવામાં આવ્યા હતા, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે લોકસભા ચૂંટણીમાં હાર બાદ, પાર્ટી હાઇકમાન્ડ સાથેના તેમના સંબંધો બગડ્યા હતા.