1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 26 નવેમ્બર 2019 (12:16 IST)

BRTSના કોઈપણ કોરિડોરમાં વાહન લઈને ઘૂસ્યા તો ફોજદારી ગુનો નોંધી ધરપકડ થશે

અમદાવાદમાં બીઆરટીએસની બસ અને અન્ય વાહનો વચ્ચે વધતા જતા અકસ્માતો નિવારવા મહેસૂલ મંત્રી કૌશિક પટેલ, ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ઉચ્ચ અધિકારીઓ સાથે યોજેલી બેઠકમાં બીઆરટીએસ કોરિડોરમાં દાખલ થતાં વાહનચાલકો સામે કોગ્નિઝેબલ (ફોજદારી) ગુનો નોંધી પોલીસને ધરપકડ કરવાની સત્તા આપવાનો આદેશ કર્યો છે.  ગૃહમંત્રીએ કહ્યું, બીઆરટીએસ કોરિડોરમાં અકસ્માત ઘટાડવા અમદાવાદ પોલીસ કમિશનરના અધ્યક્ષસ્થાને ખાસ કમિટી રચાશે જેમાં મ્યુનિ. કમિશનર ઉપાધ્યક્ષ રહેશે જ્યારે ટ્રાન્સપોર્ટ કમિશનર, સિટી એન્જિનિયર, ટ્રાફિકના જેસીપી સભ્યો હશે. આ કમિટી દર પંદર દિવસે મળશે અને રિવ્યૂ કરશે. બીઆરટીએસ કોરિડોરમાં સીસીટીવી છે પરંતુ નબળી બેન્ડવિથથી વીડિયોની ગુણવત્તા સારી નથી. જેથી કોરિડોરમાં ઘૂસતાં વાહનોના નંબર જાણવા સારી ક્વોલિટીના કેમેરા મુકાશે. બીઆરટીએસ કોરિડોરમાં ઘૂસતાં વાહનોને અટકાવવા મ્યુનિ.એ બાઉન્સરોનો સહારો લીધો છે. સોમવારે સવારથી જ પોલીસની સાથે 8 બાઉન્સરે જશોદાનગર સહિતના કેટલાક કોરિડોરમાં લોકોને અટકાવી દંડ વસૂલ કર્યો હતો. જશોદાનગર પાસે બીઆરટીએસ કોરિડોમાં ઘૂસી ગયેલી બીએમડબલ્યૂ, મર્સિડીઝ જેવી કારના માલિકો પાસેથી રૂ.1500થી 3 હજાર દંડ વસૂલ્યો હતો. બીઆરટીએસના જે રૂટમાં અકસ્માત થવાનું સૌથી વધુ જોખમ છે અને ભૂતકાળમાં જ્યાં સૌથી વધુ અકસ્માતો થયા છે તેની યાદી કોર્પોરેશન પાસેથી મેળવવામાં આવી છે. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા મંગળવારે આ સ્થળોની મુલાકાત લેશે.