રવિવાર, 28 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 1 ડિસેમ્બર 2020 (15:24 IST)

કોરોનાનું સંક્રમણ વધવા પાછળ કોણ જવાબદાર લોકો કે સરકાર‌- સિવિલમાં મૃતકની ડેડબોડી લેવાથી માંડીને સ્મશાન ગૃહ સુધી વેઇટિંગ

કોરોના કેસ ગ્રાઉડ રિપોર્ટ અમદાવાદ

સરકારના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં 21 નવેમ્બરથી 29 નવેમ્બર સુધીમાં છેલ્લા 10 દિવસમાં કોરોના વાઇરસના 13,816 કેસ નોંધાયા છે. જ્યારે 132 દરદીઓનાં મૃત્યુ થયાં છે. જેમાં અમદાવાદમાં કોરોનાના 2,953, સુરતમાં 2,001, વડોદરામાં 1,188 અને રાજકોટમાં 803 કેસ નોંધાયા છે. ગુજરાત સરકારે કોરોના વાઇરસના વધતાં જતાં કેસને ધ્યાનમાં રાખીને રાજ્યનાં મુખ્ય ચાર શહેરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં રાત્રી કર્ફ્યુની જાહેરાત કરી છે. છતાં કોરોના વાઇરસના કેસ વધી રહ્યા છે.
 
કેમ વધી રહ્યા છે કેસ
ગુજરાતમાં રાત્રિ કરફ્યૂ લગાવવામાં આવ્યો છે તેમ છતાં કેસ વધી રહ્યા છે તેની પાછળ લોકોનું બેદકારીભર્યું વર્તન જવાબદાર છે. કેટલાક યુવાનો બિનજરૂરી પાનગલ્લે અને ચાની કિટલી પર બેસી રહે છે. માસ્ક પણ પહેરાત નથી. આવા બેજવાબદાર લોકોના કારણે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. 

લોકો આજે પણ માસ્ક પહેરતા નથી, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખતા નથી. જેના કારણે સંક્રમિતોની સંખ્યા વધારે આવી રહી છે.
 
થોડા દિવસો પહેલાં દિવાળીના ટાણે લોકો કોરોનાને ભૂલી ગયા અને લોકોની ભીડ બજારમાં જામી હતી. જેને જોતાં લાગતું હતું કે કોરોનાને લઇને લોકો કેટલા બેદરકાર છે. દિવાળી પછી આવા બેજવાદાર લોકોના કારણે એકાએક સંક્રમિતોની સંખ્યા વધારો થયો અને કોરોનાનું બીજું મોજુ ફરી વળ્યું. 
 
ત્યારબાદ હવે થોડાક દિવસોથી લગ્નની સિઝન શરૂ થઇ ગઇ છે. સરકારે 100 માણસોની હાજરીને પરવાનગી આપી છે. 100થી વધુ લોકો એકઠા થવા પર પ્રતિબંધ છે. માસ્ક અને સેનિટાઇઝરનો ઉપયોગ ફરજિયાત છે. પરંતુ તેમછતાં જો લોકો સ્વેચ્છાએ આ બધા નિયમોનું પાલન નહી કરે તો સંક્રમણ વધશે. 
 
કોરોનાની ચેન તોડવી જરૂરી છે. કોરોના વાઇરસની સાંકળ પંદર દિવસની હોય છે જે તોડી શકાય છે. પરતું એ જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી લોકો સંક્રમિત રહેશે. એને તોડવા થોડા ઘણા અંશે રાત્રી કર્ફ્યુ સારું છે. બાકી સંપૂર્ણ લૉકડાઉન જ ચેઈન તોડી શકે છે.
 
અમદાવાદ શહેરમાં હજુ કોરોના કાબૂ બહાર છે. શહેરના અનેક વિસ્તારની સોસાયટીઓ અને એપાર્ટમેન્ટ માઇક્રો કન્ટાઈનમેન્ટ ઝોનમાં સામેલ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આંકડા મુજબ, શહેરના 20 હજાર કરતાં વધારે નગરજનો માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં કેદ છે. Amc માઈક્રો કન્ટાઇનમેન્ટની નવી યાદી મોડી રાત્રે જાહેર કરાઈ છે. જે બતાવે છે કે, શહેરમાં માઇક્રો કન્ટાઇનમેન્ટ વિસ્તારમાં ફરી તોતિંગ વધારો થયો છે. માઈક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તાર 300 ની  ઉપર પહોંચી ગયા છે. શહેરમાં 8 વિસ્તાર માઈક્રો કન્ટાઇનમેન્ટની યાદીમાં મૂકાયા છે. તો અગાઉના 4 વિસ્તાર રદ્દ કરાયા છે. શહેરમાં માઈક્રો કન્ટાઇનમેન્ટ વિસ્તારોની સંખ્યા 303 પર પહોંચી ગઈ છે. 
 
શ્યામ બંગ્લોઝમાં 34 કેસ, પણ સરકારી ચોપડે માત્ર 12
કોરોના કેસ પર ચાંદખેડાના કોંગ્રેસી કોર્પોરેટરે એએમસી તંત્ર પર કોરોનાના કેસ (corona case) ના આંકડાઓ છુપાવવામાં આવી રહ્યા હોવાનો આરોપ કર્યો છે. ચાંદખેડાના કોર્પોરેટર રાજશ્રી કેસરીયાના અનુસાર, ચાંદખેડામાં આવેલ શ્યામ બંગલોમાં માઈક્રો કન્ટાઇનમેન્ટ મામલે આરોપ છે. અહીં એએમસી ચોપડે માત્ર 12 કેસ નોંધાયા છે. જ્યારે હકીકતમાં આ બંગલોમાં 34 કેસ હોવાનો તેમનો દાવો છે. શ્યામ બંગલોમાં 34 કેસ છે, પણ સરકારી ચોપડે માત્ર 12 કેસ બોલે છે.
 
રિકવરી રેટ 90.96 ટકા
રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર 90.96 ટકા થઇ ચુક્યો છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 65,876 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 1013.48 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 78,25,615 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
 
રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 5,22,198 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 5,22,015 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 183 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 14,970 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 83 છે. જ્યારે 14,887 લોકો સ્ટેબલ છે. 1,90,821 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 3989 લોકોનાં મોત નિપજ્યા છે.
 
ગુજરાતમાં કોરોના લહેરએ ગતિ પકડી છે. આ બિમારીથી મરનારાઓનો આંકડો વધી રહ્યો છે. હવે સ્થિતિ એવી છે કે સિવિલ હોસ્પિટલમાં કોરોનાથી મરનાર વ્યક્તિના પરિજનોને કલાકો સુધી ડેડબોડી લેવા માટે રાહ જોવી પડે છે. જોકે સરકારના આંકડા અનુસાર દરરરોજ સરેરાશ 15 લોકોના મોત થઇ રહ્યા છે. પરંતુ ડેડબોડી માટે વેઇટિંગ હોવાથી સરકારના આંકડા ખોટા સાબિત થઇ રહ્યા છે. 
 
મૃતકની ડેડબોડી લેવા માટે પરિજનોને સવારથી જ લાઇનમાં ઉભા રહેવું છે. ડેડબોડી લેવા માટે કલાકો સુધી લાઇનમાં રહેવું પડે છે. અત્રે ઉલ્લેખનીય છે 50થી વધુ લોકો ડેડબોડી લેવા માટે લાઇનમાં લાગ્યા હતા. વહિવટીએ વધુમાં વધુ શબવાહિનીની વ્યવસ્થા કરવી જોઇએ. અત્રે ઉલ્લેખનીય છે કે 50થી વધુ લોકો ડેડબોડી લેવા માટે એકઠા થયા હતા. એવામાં શબવાહિની ન હોવાથી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ પ્રકારે ભીડ એકઠી થતાં કોરોનાનું સંક્રમણ ફેલાવવાનો ભય વધુ રહે છે. 
 
એક ડેડબોડી લઇ જવા માટે 40 થી 45 મિનિટનો સમય લાગે છે જેથી સવારે 7 વાગ્યાથી ડેડબોડી લેવા માટે આવેલા પરિજનોને બપોર સુધી શબવાહિની મળતી નથી. એક સમયે સિવિલ હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ છવાઇ ગયો હતો. જેના લીધે મૃતકોના પરિજનોએ હંગામો પણ મચાવ્યો હતો. મૃતકના પરિજનોનાએ નામ ન જણાવવાની શરતે કહ્યું હતું કે મારા સસરાનું મોત થયું છે. સિવિલ હોસ્પિટલ વહિવટીતંત્રએ સવારે જ ડેડબોડી લેવા માટે બોલાવ્યા હતા. જેથી સવારથી તે બધા પહોંચી ગયા હતા. પરંતુ વહિવટી તંત્ર દ્વારા અહીં કોઇ વ્યવસ્થા નથી. શબવાહિની ન હોવાની તેમના પરિવારને કલાકો સુધી રાહ જોવી પડી છે. 
 
શહેરમાં સીએનજી સંચાલિત જેટલા પર સ્મશાન છે ત્યાં વેઇટિંગ શરૂ થઇ ગયું છે. સવારથી શહેરના ચામુંડા બ્રિજ, ભદ્રેશ્વર, વીએસ હોસ્પિટલ વચ્ચે આવેલ સ્મશાન, નરોડા, બાપુનગર, સૈજપુર સહિતના સ્મશાન ગૃહોમાં વેઇટિંગ હતું. જેમાં મોટાભાગે કોરોના કારણે મોતને ભેટલા લોકોની લાશ હતી. અહીં ત્રણથી ચાર કલાક વેઇટિંગ છે.