રવિવાર, 28 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 9 મે 2021 (14:04 IST)

કોરોનાના કપરા કાળમાં કોંગ્રેસના આગેવાનો રાજકીય કાવાદાવા કરે એ કમનસીબી છે: વિજય રૂપાણી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે ગુજરાતને કોરોનાના આ કપરા કાળમાં અહર્નિશ માર્ગદર્શન આપ્યું છે, મદદ કરી છે અને સશક્ત પીઠબળ પૂરું પાડ્યું છે. કોરોનાના સંક્રમણની શરૂઆતના પહેલા તબક્કામાં કેન્દ્ર સરકારે ગુજરાતને ટ્રીટમેન્ટ પ્રોટોકોલ માટે નિષ્ણાત તબીબો મોકલીને અત્યંત આવશ્યક માર્ગદર્શન આપ્યું છે, અને કોરોનાના આ બીજા અતિ આક્રમક વેવ સામે લડવા વેન્ટિલેટર જેવા સાધનો મોટી માત્રામાં આપ્યા છે. 
 
એટલું જ નહીં ગુજરાતના કોરોનાના દર્દીઓના જીવ બચાવી શકાય એ રીતે ક્યારેય ઓક્સિજન, આવશ્યક ઇન્જેક્શન કે દવાઓની ક્યારેય અછત વર્તાવા દીધી નથી. આ માટે ગુજરાત હંમેશા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહનું આભારી રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે , ગત વર્ષે માર્ચ-૨૦૨૦ માં કોરોનાની શરૂઆત થઈ ત્યારે આ મહામારી સામે મુકાબલો કેવી રીતે કરવો તે અંગે કોઈ સ્પષ્ટતા ન હતી. 
 
તે વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીથી એઈમ્સના નિષ્ણાત તબીબો ગુજરાત મોકલ્યા હતા. ગુજરાતની હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓની સારવાર કેવી રીતે કરી શકાય, વધુમાં વધુ સંભાળ કેવી રીતે લઈ શકાય અને કોરોનાના સંક્રમણને કેવી રીતે અટકાવી શકાય એ માટે સતત માર્ગદર્શન મળી રહે એવી વ્યવસ્થા કરી હતી. કેન્દ્ર સરકારની આ મદદ અત્યંત ઉપયોગી અને આશીર્વાદરૂપ સાબિત થઇ હતી. ત્યારબાદ પણ વખતોવખત ગુજરાતને જ્યારે પણ જરૂર પડી ત્યારે રાષ્ટ્રીય કક્ષાના નિષ્ણાત તબીબોની સેવાઓ ગુજરાતને આપી છે.
 
કોરોનાના બીજા વેવમાં પરિસ્થિતિ વધારે ગંભીર થઈ. કોરોનાના કેસોની સંખ્યામાં અકલ્પનીય, અણધાર્યો અને અચાનક વધારો થયો. પરિણામે મેડિકલ સંશાધનોની તાકીદની આવશ્યકતા ઉભી થઇ. આવા અણીના સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખાસ પી.એમ.કેર્સમાંથી વ્યવસ્થા કરીને ગુજરાતને અંદાજે ૫૦૦૦ જેટલા વેન્ટિલેટર્સ મોકલી આપ્યા.  ગુજરાતની હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા દર્દીઓ માટે આ વેન્ટિલેટર્સ જીવાદોરી જેમ ખૂબ આશીર્વાદરૂપ  થયા.
 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વખતોવખત વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાતને માર્ગદર્શન અને પીઠબળ પૂરું પાડ્યું છે એમ કહીને વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, કોરોનાના બીજા વેવમાં ખૂબ મોટી સંખ્યામાં રેમડેસિવીર જેવા ઇન્જેક્શનોની આવશ્યકતા ઉભી થઇ એ વખતે પણ કેન્દ્ર સરકારે ગુજરાતના દર્દીઓને પૂરતા પ્રમાણમાં રેમડેસિવીર મળી રહે તેવું આયોજન કર્યું, એટલું જ નહીં જરૂરી દવાઓ અને કોરોનાના સંક્રમણને ખાળવામાં અમોઘ શસ્ત્ર જેવી વેક્સિન પણ ગુજરાતને અગ્રતાના ધોરણે અને પૂરતી માત્રામાં મળી રહે એવી ચિંતા કેન્દ્ર સરકારે સતત કરી છે.
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, કોરોનાના સેકન્ડ વેવમાં ઓક્સિજનની તીવ્ર જરૂરિયાત ઊભી થઈ. કેસોની સંખ્યાની સાથે સાથે ઓક્સિજનની માંગમાં પણ પ્રચંડ વધારો થયો, જે અકલ્પનીય હતો. ગુજરાત પ્રગતિશીલ અને સમૃદ્ધ રાજ્ય છે ત્યારે ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ કોરોના કાળમાં આશીર્વાદરૂપ સાબિત થયો છે. 
 
અહીંના ઉદ્યોગો ઓક્સિજનનું ઉત્પાદન કરતા હોવાને કારણે સદનસીબે ગુજરાતમાં ઓક્સિજનની તીવ્ર અછત સર્જાઇ હોય એવી સ્થિતિ નથી આવી. આવા કપરા કાળમાં સમગ્ર દેશમાં ઓક્સિજનની અનિવાર્યતા ઊભી થઈ છે ત્યારે કેન્દ્ર સરકાર યથાયોગ્ય નિર્ણય કરીને કોઈ પક્ષાપક્ષી વિના કે કોઈ જ રાજકીય અભિગમ વિના તમામ રાજ્યોને મદદ કરી રહી છે. આ સમય રાજયો રાજયો વચ્ચે કે પક્ષ વિપક્ષ વચ્ચે ભેદભાવ ઊભા કરવાનો નથી. 
 
આજના સમયે દરેક વ્યક્તિએ બીજી વ્યક્તિની ચિંતા કરવાની જરૂર છે ત્યારે કેટલાક રાજકીય આગેવાનો આવા કટોકટીના કાળમાં પણ રાજકીય કાવાદાવા કરવાના પ્રયત્નો કરે છે જે કમનસીબ છે. ગુજરાતને અગાઉની સરકાર કેન્દ્ર સરકારો તરફથી અનહદ અન્યાય થયો છે. ગુજરાતને પોતાનો હક્ક અને હિસ્સો મેળવવા માટે પણ કાકલૂદી કરવી પડી છે અને તોય  અગાઉની કેન્દ્ર સરકારોએ ઠાગાઠૈયા કર્યા છે.
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકીય આગેવાનોને અપીલ કરતાં  કહ્યું હતું કે, આ સમય રાજકીય અવલોકનનો કરવાનો કે આક્ષેપો કરવાનો નથી.  દરેક રાજ્યોએ બીજા રાજ્યો ને કેવી રીતે મદદરૂપ થઇ શકાય એ જોવું જોઈએ. કોરોના સામેની લડાઈ ખભે ખભા મિલાવીને લડીશું તો જ આ જંગ જીતી શકીશું.