1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 29 જાન્યુઆરી 2020 (11:14 IST)

ચીનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને કરાશે એરલિફ્ટ, ગાંધીનગરમાં કંટ્રોલ રૂમ શરૂ

ચાઇનામાં કોરોના વાયરસના કારણે સર્જાયેલી સ્થિતીમાં ગુજરાતના જે યુવાનો ત્યાં ફસાયેલા છે તેની સંપૂર્ણ વિગતો મેળવી જરૂરી તમામ સહાયતા માટેની વ્યવસ્થા કરવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સૂચનાઓ આપી છે. તદ્દઅનુસાર, આવા વિદ્યાર્થીઓના વાલી-પરિવારો જે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વસેલા છે તેમનો રાજ્ય સરકારનું રિલીફ કમિશનર તંત્ર સંપર્ક કરીને સંબંધિત વિદ્યાર્થીઓની વિગતો પ્રાપ્ત કરી શકશે. ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે આ માટે કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. 
 
જે વાલી-પરિવારોના બાળકો ચીનમાં અભ્યાસ માટે ગયેલા છે તે વાલી-પરિવારો પોતાના બાળકોની ત્યાંની વિગતો તથા તેમને ગુજરાત પરત લાવવાની વ્યવસ્થાઓ માટે ગુજરાત રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરનો સંપર્ક કરી શકશે. આ હેતુસર જે સંપર્ક નંબરો જાહેર કરવામાં આવ્યા છે તે મુજબ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના કંટ્રોલરૂમ ૦૭૯-૨૩૨૫૧૯૦૦ તેમજ નાયબ કલેકટર ૯૯૭૮૪૦૫૭૪૧, ૯૦૯૯૦૧૬૨૧૩ અને મામલતદાર ૯૯૭૮૪૦૫૭૪૩નો સંપર્ક કરી વિગતો આપી શકાશે. 
 
કોરોના વાયરસને કારણે સર્જાયેલી પરિસ્થિતિમાં જો ચાઇનાથી આ વિદ્યાર્થીઓ ગુજરાત પરત આવવા ઇચ્છતા હોય તો તેમને મદદ અને જરૂરી વ્યવસ્થાઓ તથા સ્વાસ્થ્ય સુરક્ષાની વ્યવસ્થા પણ રાજ્ય સરકાર વિદેશ મંત્રાલય અને ભારત સરકારના પરામર્શમાં રહીને હાથ ધરે તેવી સૂચના વિજય રૂપાણીએ મુખ્ય સચિવને આપી છે. આ હેતુસર, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરને પ્રાપ્ત થતી વિગતો ભારત સરકાર અને વિદેશ મંત્રાલયને મોકલીને ચાઇનાથી ગુજરાતના યુવાનોને પરત લાવવાની જરૂરી વ્યવસ્થાઓનું સંકલન હાથ ધરવામાં આવશે. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે, આવા વિદ્યાર્થીઓને ગુજરાત-ભારત પરત આવ્યા બાદ જરૂર જણાશે તો જરૂરી આરોગ્ય સારવાર અને પરિક્ષણ માટે આરોગ્ય વિભાગમાં ડૉ. ઉમંગ મિશ્રા ૯૮૭૯૫૪૯૫૧૬ તથા ૦૭૯-૨૩૨૫૦૮૧૮ ટેલિફોન નંબર ઉપર સંપર્ક કરવાથી આરોગ્ય સેવાઓ પણ પૂરી પાડવાની વ્યવસ્થાઓ કરવામાં આવશે.