1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 16 માર્ચ 2020 (12:45 IST)

ગુજરાતમાં એપિડેમિક એક્ટ લાગુ કરાયો, વિદેશથી આવેલ વ્યક્તિ ઘર બહાર નહીં નીકળી શકે

ગુજરાત સરકારે કોરોના વાઇરસને લઈને રાજ્યભરમાં એપિડેમિક ડિસિસ એક્ટ 1897 લાગુ કર્યો હોવાથી હવે વિદેશથી આવેલી કોઈપણ વ્યક્તિ બીમાર હોય કે ન હોય 14 દિવસ સુધી ઘર બહાર નીકળી શકશે નહીં. જો આવી વ્યક્તિ ઘર બહાર નીકળશે તો અને મ્યુનિ. હેલ્થ વિભાગને તે અંગે ફરિયાદ મળશે તો તેની સામે મ્યુનિ. કાર્યવાહી કરશે અને તે વ્યક્તિને કોરોનટાઇન  રાખવા માટે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડી દેવાશે. સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોનટાઇન હેઠળ દર્દીને રાખવા માટે 100 બેડની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ચીન, જાપાન, ઈટાલી, ફ્રાન્સ, સ્પેન, કોરિયા, ઇરાન સહિતના દેશમાંથી આવનારા અને 60 વર્ષથી ઉપરની વયજૂથના વ્યક્તિને ડાયાબિટીસ કે હાઇપર ટેન્શનની બીમારી હશે તો તેમને પણ સોલા સિવિલ હોસ્પિટલમાં 14 દિવસ સુધી રાખવામાં આવશે. આ ઉપરાંત વિદેશથી અહીં આવેલા દરેક વ્યક્તિએ પોતાના ઘરમાં પણ સ્વજનોથી અંતર રાખવું પડશે. ઘરની અંદર કે બહારના વ્યક્તિઓ સાથે સંપર્ક કરી શકશે નહીં. આ ગાઇડલાઇન્સનું પાલન નહીં કરનારને કલમ 188 મુજબ ફોજદારી કાર્યવાહી પણ કરવામાં આવશે. આ બાબતનું ધ્યાન રાખવાની જવાબદારી પણ મ્યુનિ. હેલ્થ વિભાગના અધિકારીને અપાઇ છે. કોરોનાનાના વધુ બે શંકાસ્પદ વ્યક્તિને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બંને યુવકો દુબઈ ગયા હતા અને ત્યાંથી અમદાવાદ પરત આવતા એરપોર્ટ પર સ્ક્રિનિંગ દરમિયાન કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાયા હતા જેને પગલે બંનેને તાત્કાલિક સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમના બ્લડ સેમ્પલ લેબોરેટરીમાં મોકલી આપ્યા છે.