ગુજરાત વિદ્યાસહાયક ભરતી 2026 : ધોરણ 1 થી 5 માં 11,000 જગ્યાઓ માટે 15 એપ્રિલથી ઓનલાઈન ફોર્મ ભરાશે
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષક બનવાનું સપનું જોતા યુવાનો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. ધોરણ 1 થી 5 (ગુજરાતી માધ્યમ) માટે કુલ 11,000 વિદ્યાસહાયકોની સીધી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા લેવાયેલા આ નિર્ણયથી રાજ્યની વિવિધ જિલ્લા અને નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ પૂરી કરવામાં આવશે અને હજારો બેરોજગાર યુવાનોને રોજગારીની તક મળશે.
ઓનલાઈન અરજી અને મહત્વની તારીખો
આ ભરતી પ્રક્રિયા માટે ઉમેદવારોએ ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે. અરજી કરવાની શરૂઆત 15 એપ્રિલ, 2026 (સવારે 12:00 વાગ્યા) થી થશે અને તેની છેલ્લી તારીખ 24 એપ્રિલ, 2026 (બપોરે 15:00 વાગ્યા) સુધીની રાખવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ નિર્ધારિત સમય મર્યાદામાં સત્તાવાર પોર્ટલ પર જઈને પોતાની નોંધણી કરાવવાની રહેશે. હાલમાં જિલ્લાફેર બદલી કેમ્પની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વેબસાઇટ પર જિલ્લાવાર ખાલી જગ્યાઓની વિગતો પણ જાહેર કરવામાં આવશે.
અનામત અને શરતી અરજીના નિયમો
શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલી આ ભરતીમાં 4 ટકા જગ્યાઓ દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝૂંબેશ અંતર્ગત અનામત રાખવામાં આવી છે. એક મહત્વની છૂટછાટ મુજબ, જે ઉમેદવારો D.El.Ed. ના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા હોય અને જેમણે TET-1 પરીક્ષા પાસ કરી લીધી હોય, તેઓ પણ આ ભરતીમાં શરતી ધોરણે અરજી કરી શકશે. આ નિર્ણયથી નવા લાયકાત મેળવતા ઉમેદવારોને પણ ભરતીમાં સામેલ થવાની તક મળી રહેશે.
અરજી કરવાની પ્રક્રિયા અને સત્તાવાર વેબસાઇટ
ઉમેદવારોએ ભરતી સંબંધિત તમામ વિગતો અને ઓનલાઈન અરજી કરવા માટે સત્તાવાર પોર્ટલ https://dpegujarat.in ની મુલાકાત લેવાની રહેશે. ફોર્મ ભરતા પહેલા વેબસાઇટ પર મૂકવામાં આવેલી તમામ સૂચનાઓ અને લાયકાતના ધોરણો ધ્યાનથી વાંચી લેવા વિનંતી કરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક રીતે અને શિક્ષણ વિભાગના નિયમોનુસાર ઓનલાઈન માધ્યમથી જ પૂર્ણ કરવામાં આવશે.