સંબંધિત સમાચાર
- ગુજરાતમાં ભરઉનાળે આવેલા કમોસમી વરસાદ અને વાવાઝોડાએ ખેડૂતોની ચિંતા વધારી
- બાળકના મુંડન સમારોહ માટે આખા પરિવારે પોતાના વાળ મુંડાવ્યા, માતાએ પણ માથું મુંડાવ્યું. વાયરલ વીડિયો
- અંબાજી મંદિરમાં ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ: દર્શનના સમયમાં ફેરફાર, મંદિર જતા પહેલા જાણી લો ટાઈમિંગ
- 'જગ લાડકી' જહાજ ભારત પહોંચ્યું, યુએઈથી હોર્મુઝ થઈને 80886 મેટ્રિક ટન ક્રૂડ ઓઈલ સુરક્ષિત રીતે લાવ્યું.
- દક્ષિણ ગુજરાતના રસ્તાઓનો થશે કાયાકલ્પ: મુખ્યમંત્રીએ રૂ. 1185 કરોડનું પેકેજ કર્યું જાહેર
રેવડી બજારમાં 'શોર્ટ સર્કિટ'નો કહેર: કાપડની 30 દુકાનો બળીને રાખ, સદનસીબે જાનહાનિ ટળી
Panchkuva market fire
અમદાવાદ શહેરના અત્યંત વ્યસ્ત અને ધમધમતા કાલુપુર વિસ્તારમાં આવેલા પાંચકુવા રેવડી બજાર (સિંધી માર્કેટ)માં 18 માર્ચના રોજ બપોરે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટનાને પગલે સમગ્ર માર્કેટમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી ઝડપથી પ્રસરી કે ગણતરીની મિનિટોમાં જ કાપડની ૩૦થી વધુ દુકાનો તેની લપેટમાં આવી ગઈ હતી. સદનસીબે આ ભયાનક દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વેપારીઓને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
આગનું કારણ અને ફેલાવો
પ્રાથમિક માહિતી અનુસાર, બપોરે આશરે 12:30 વાગ્યાની આસપાસ પ્લાસ્ટિકના સામાનમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આ આગ લાગી હતી. રેવડી બજાર કાપડના જથ્થાબંધ વેપાર માટે જાણીતું હોવાથી દુકાનોમાં કાપડનો મોટો જથ્થો ભરેલો હતો. આ કાપડના કારણે આગ વધુ ઝડપથી પ્રસરી ગઈ અને જોતજોતામાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું, જેમાં 25 થી 30 દુકાનો બળીને ખાખ થઈ ગઈ.
ફાયર વિભાગની તાત્કાલિક કાર્યવાહી અને આર્થિક ફટકો: આગની ગંભીરતા જોતા ફાયર કંટ્રોલ રૂમ દ્વારા તાત્કાલિક મેગા ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ચીફ ફાયર ઓફિસરના જણાવ્યા મુજબ, 21 જેટલા ફાયર એન્જિન અને 70 થી વધુ જવાનોએ ચારે બાજુથી પાણીનો મારો ચલાવીને માત્ર 30 મિનિટમાં જ આગને આગળ વધતી અટકાવી દીધી હતી. હાલમાં આગ સંપૂર્ણપણે કાબૂમાં છે અને કૂલિંગ પ્રક્રિયા ચાલુ છે. આ ઘટનામાં અંદાજે 1 થી 1.5 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનો પ્રાથમિક અંદાજ છે, જેને પગલે ભયભીત થયેલા અન્ય વેપારીઓએ પોતાનો માલ-સામાન સુરક્ષિત સ્થળે ખસેડ્યો હતો.
ટ્રાફિક ડાયવર્ઝનના કારણે મુશ્કેલી
આ ઘટના સમયે લોકોની મુશ્કેલીમાં વધારો થયો હતો, કારણ કે હાલમાં કાલુપુર રેલવે સ્ટેશનના નવીનીકરણની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીને કારણે રસ્તાનો ટ્રાફિક સિંધી માર્કેટ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યો છે. આગની ઘટના અને ફાયર બ્રિગેડની કામગીરી વચ્ચે આ ડાયવર્ટ થયેલા ટ્રાફિકના કારણે રસ્તા પરથી પસાર થતા લોકો અને વાહનચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
