શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 18 સપ્ટેમ્બર 2020 (15:55 IST)

વાહન ચાલકો માટે ખુશખબર: ઇલેકટ્રીક ટૂ-વ્હીલર ખરીદશો તો સરકાર આપશે રૂ. ૧ર હજારની સબસિડી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના નગરો-શહેરોમાં વાહનોથી ફેલાતા વાયુ પ્રદૂષણને અટકાવવા બેટરી સંચાલિત ટુ વ્હીલર-થ્રી વ્હીલરના ઉપયોગને પ્રેરિત કરતી સહાય યોજના જાહેર કરી છે. આ સહાય યોજના અન્વયે રાજ્યના ધોરણ-૯થી લઇને કોલેજ સુધીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બેટરી સંચાલિત ટુ વ્હીલર ખરીદવા સરકાર ૧ર હજાર રૂપિયાની સહાય આપશે. આ સહાય-સબસિડી ૧૦ હજાર વાહનોને આપવાનો લક્ષ્યાંક છે.
 
એટલું જ નહિ, વ્યકિતગત અને સંસ્થાકીય લાભાર્થીઓ માટે બેટરી સંચાલિત ઇ-રિક્ષા થ્રી વ્હીલર ખરીદીમાં પણ ૪૮ હજાર રૂપિયાની સહાય રાજ્ય સરકાર આપશે અને પાંચ હજાર ઇ-રિક્ષાઓને તેનો લાભ અપાશે. સાથોસાથ બેટરી સંચાલિત વાહનોના ચાર્જિંગની માળખાકીય સુવિધાઓ ઊભી કરવા રૂપિયા ૫૦ લાખની યોજના પણ રાજ્યમાં અમલમાં મુકવામાં આવી છે.
 
વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ગ્રીન એનર્જી ક્લીન એનર્જી સાથે ગુજરાત આગળ વધી રહ્યું છે. આજે જ્યારે

સમગ્ર વિશ્વ સમક્ષ ક્લાયમેટ ચેન્જની અસરો પડકારરૂપ બની છે ત્યારે વર્ષો પહેલાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ભવિષ્યમાં ઉભા થનારા પડકારોને લક્ષમાં રાખીને દેશમાં પહેલીવાર સમયસર ક્લાયમેટ ચેન્જ વિભાગની રચના કરી હતી.
 
દેશમાં સોલાર સિસ્ટમમાં ગુજરાત અગ્રેસર છે. ગુજરાત બારેય માસ મહત્તમ સૂર્ય પ્રકાશ મેળવતું રાજ્ય છે. સૂર્ય પ્રકાશથી વીજળી ઉત્પન કરી નાગરિકોને સસ્તી વીજળી આપવાનો આપણો ધ્યેય છે. સાથે જ પોતાના ઘરના રૂફટોપ પર વીજળી ઉત્પન્ન કરી વધારાની વીજળી વેચીને આવક પણ મેળવી શકે છે.
 
ગુજરાત રહેણાંકના મકાનો પર સોલાર સિસ્ટમ લગાડવામાં દેશમાં પ્રથમ ક્રમે છે. છેલ્લા ત્રણ વર્ષમાં સરકારની સબસિડી સહાયથી 1 લાખ 38 હજારથી વધુ ઘરોમાં કુલ 510 મેગાવોટ ક્ષમતાની સોલાર સિસ્ટમ લગાડવામાં આવી છે. ચાલુ વર્ષે પણ રૂ. 912 કરોડની જોગવાઇથી  2 લાખ રહેણાંક મકાનો પર સોલાર સિસ્ટમ લગાવવાની નેમ છે.