1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 7 એપ્રિલ 2020 (15:12 IST)

ગુજરાતના અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો, રિક્ષાચાલકોને સહાયનો નિર્ણય પડતો મુકાયો

લોકડાઉનમાં અસંગઠિત ક્ષેત્રના શ્રમજીવીઓ, રિક્ષાચાલકોને  આર્થિક સહાય મેળવવાના ફોર્મ 8 એપ્રિલ સુધીમાં ઓનલાઇન ભરવા એપ લોન્ચ કરવાની હતી, પરંતુ  સોમવારે તેમને આર્થિક સહાય ચૂકવવાનો નિર્ણય પડતો મુકાયો હતો. શહેરના 1.40 લાખ રિક્ષાચાલકો સહાય મેળવવા 4  દિવસથી ફોર્મ, પુરાવા લઈ દોડધામ કરતા હતા અધિકારીઓના જણાવ્યા મુજબ એપીએલ 1 અને 2 તથા બીપીએલ રેશન કાર્ડધારકોને તેમના બેંક એકાઉન્ટમાં રૂપિયા 1000 આર્થિક સહાય પેટે જમા આપવામાં આવ્યા છે. અંદાજે 65 લાખ કાર્ડધારકોને આ રકમ ચૂકવાઈ છે. આ રેશન કાર્ડધારકોમાં અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો, રિક્ષાચાલકોનો સમાવેશ થઈ જાય છે, જેથી તેમને હવે કોઈ સહાય ચૂકવાશે નહીં. સરકાર ફરી નિર્ણય કરશે તો જ આર્થિક સહાય ચૂકવાશે.
અમદાવાદના 1.40 લાખ રિક્ષાચાલકો આર્થિક સહાય મેળવવા ચાર દિવસથી ફોર્મ અને પુરાવા લઈ દોડધામ કરતા હતા. સોમવારે સરકારી તંત્ર તરફથી આર્થિક સહાય ચૂકવવાનો નિર્ણય પડતો મુકાયો હોવાનું જણાવાતા રિક્ષાચાલકોમાં નારાજગી જોવા મળી હતી. આરટીઓ અધિકારી સહિત ગાંધીનગરના અધિકારીઓએ થોડા દિવસો પહેલાં જણાવ્યું હતું કે, અસંગઠિત ક્ષેત્રના મજદૂરો, રિક્ષાચાલકોને સરકાર તરફથી આર્થિક સહાય ચૂકવવા માટેનાં ફોર્મ બહાર પડાયાં છે. જોકે ફોર્મ ભરવા આરટીઓ તેમ જ કલેક્ટર કચેરીમાં અથવા અન્ય કચેરીઓમાં ભીડ વધી જાય તે માટે સરકારે ઓનલાઇન ફોર્મ ભરાવવાનો નિર્ણય કર્યો હતો અને  તે માટે સોમવારે એપ્લિકેશન લોન્ચ કરવાની હતી, પરંતુ સરકારે સહાયનો નિર્ણય પડતો મૂક્યો છે.વાહન વ્યવહાર કમિશનર રાજેશ મંજુએ જણાવ્યું હતું કે, એપીએલ 1 અને 2 તેમ જ બીપીએલ રેશન કાર્ડધારકોને રૂ. 1000ની સહાય આપવામાં આવી છે, તેમાં રિક્ષાચાલકો સહિત તમામનો સમાવેશ થઈ જાય છે, જેથી હાલ આર્થિક સહાય માટેના કોઈ ફોર્મ ભરાવવામાં આવશે નહીં.