ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 10 ડિસેમ્બર 2019 (16:16 IST)

ગુજરાત સૂક્ષ્મ લઘુ તથા મધ્ય ઉદ્યોગ સાહસો વિધયક પસાર, MSME મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રોમાં ગુજરાત દેશનું શ્રેષ્ઠ રાજ્ય

રાજ્યમાં MSME સેકટરના વિકાસને વધુ પ્રોત્સાહન આપી રોજગારીનું સર્જન કરવા રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કર્યો છે જેના પરિણામે રાજ્યમાં આગામી સમયમાં વધુ રોજગારીનું સર્જન થાય તે માટે MSME એકમોની સ્થાપના-સંચાલન માટે જરૂરી વિવિધ મંજૂરીઓ-એપ્રુવલ્સ લેવામાંથી ત્રણ વર્ષ સુધી રાહત આપવાનો ઐતિહાસિક નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. ગુજરાત વિધાનસભા ખાતે ગુજરાત સૂક્ષ્મ લઘુ તથા મધ્ય ઉદ્યોગ સાહસો વિધયેક રજૂ કરતા ઊર્જા મંત્રીએ કહ્યું કે, MSME ઊદ્યોગોને વધુ પ્રોત્સાહન આપવા તેમજ રાજ્યની વિકાસયાત્રાને વધુ સુદૃઢ બનાવવા માટે અનેકવિધ નિર્ણયો કર્યા છે ત્યારે આ નિર્ણય પણ રાજ્યના યુવાનોને સ્વરોજગારી પુરી પાડવામાં ચોક્કસ અસરકારક પુરવાર થશે અને નાના નવા ઉદ્યોગકારોને ઉદ્યોગો સ્થાપવામાં ખુબ જ મદદરૂપ થશે.
 
ગુજરાતમાં હાલ કાર્યરત MSMEનો તેજ ગતિએ વિકાસ તેમજ નવા MSME મોટા પાયે આકર્ષી શકાય તેમજ પારદર્શિતા અને રોજગાર સર્જનમાં વધારો થાય તે હેતુસર આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. અગાઉ MSME એકમોને સ્થાપના અને સંચાલન માટે જરૂરી વિવિધ પ્રકારની મંજૂરીઓ-એપ્રુવલ્સ લેવી પડતી હતી તેમાં આ વિધેયક અંતર્ગત ૩ વર્ષ સુધી આવી પરવાનગીઓમાંથી રાહત આપવામાં આવશે. હવેથી આવા MSME એકમો ૩ વર્ષ બાદ આવી જરૂરી પરવાનગીઓ છ મહિનામાં મેળવી શકશે. નાના નવા ઉદ્યોગકારોને આ પરવાનગી મેળવવામાંથી રાહતને પરિણામે MSME એકમો ઝડપથી અને સરળતાથી પોતાનો ઊદ્યોગ સ્થાપી શકશે. 
રાજ્યમાં MSME એકમોની સ્થાપનામાં સહાય અને સહયોગ પૂરાં પાડવા રાજ્ય કક્ષાએ કાર્યરત થશે. MSME એકમ સ્થાપવા માંગતા વ્યકિત કે ઊદ્યોગકારે નિયત નમૂના અને પધ્ધતિ મુજબ રાજ્યકક્ષાની નોડલ એજન્સી સમક્ષ ઊદ્યોગ-એકમ સ્થાપવા અંગેનું ‘‘ડેકલરેશન ઓફ ઇન્ટેટ’’ રજૂ કરવાનું રહેશે. આવી અરજી મળ્યેથી સ્ટેટ લેવલ નોડલ એજન્સી દ્વારા online એકનોલેજમેન્ટ સર્ટીફિકેટ આપશે. 
 
આવા સર્ટીફિકેટને મંજૂરી તરીકે માન્ય રાખી તે ઇશ્યુ થયાની તારીખથી ૩ વર્ષ સુધી માન્ય ગણાશે અને આ ૩ વર્ષ દરમ્યાન રાજ્ય સરકારના કાયદાઓ હેઠળ લેવાની થતી પરવાનગી-એપ્રુવલ લીધા સિવાય MSME ઉદ્યોગકાર ઊદ્યોગ-વ્યવસાય શરૂ કરી શકશે. આ ત્રણ વર્ષની અવધિ પૂર્ણ થયાના ૬ મહિનામાં MSME એકમે જરૂરી પરવાનગીઓ મેળવી લેવી પડશે. ગુજરાતમાં MSME સેકટર પાછલા ૪ વર્ષોથી મહત્તમ રોજગારી આપતું ક્ષેત્ર બન્યું છે. એટલું જ નહિ, MSMEની સંખ્યાની દ્રષ્ટિએ ગુજરાત દેશમાં ટોપ-૧૦ રાજ્યોમાં આવે છે. ૧૦૦થી વધુ  MSME એકટીવીટી કલ્સ્ટર ગુજરાતમાં છે તેને આ નિર્ણયથી નવી દિશા મળશે. રાજ્યમાં વાયબ્રન્ટ અને ડાયનેમિક સેકટર તરીકે ઊભરી રહેલા આ MSME સેકટરને સૌર ઊર્જા – સોલાર એનર્જીના મહત્તમ ઉપયોગ માટે પ્રેરિત કરતી પર્યાવરણ ફ્રેન્ડલી અને ગ્રીન-કલીન એનર્જી ઉત્પાદનની પોલિસી રાજ્ય સરકારે જાહેર કરી છે. 
 
MSME એકમો માટે સોલાર પ્રોજેકટની ઇન્સ્ટોલેશનના મંજૂર લોડના પ૦ ટકા કેપેસિટી મર્યાદા દૂર કરી ૧૦૦ ટકાથી વધુ ક્ષમતાની સોલાર એનર્જીની છૂટ, વીજ વપરાશ માટે ચૂકવવા પડતા પ્રતિ યુનિટના ભાવમાં રૂ.૩ સુધીનો ઘટાડો, થર્ડ પાર્ટી પાસેથી સોલાર એનર્જી ખરીદીની પરવાનગી જેવા અનેકાનેક નિર્ણયો પછી આજે કરાયેલો મહત્વપૂર્ણ નિર્ણય MSME સેકટરના અગ્રીમ વિકાસ માટેની રાજ્ય સરકારની પ્રતિબધ્ધતા પ્રતિપાદિત કરે છે. ગુજરાત કેમિકલ, પેટ્રોકેમિકલ, ડેરી, દવા, સિમેન્ટ, સિરામિક, જેમ્સ એન્ડ જ્વેલરી, ટેક્સટાઇલ અને એન્જિનિયરીંગ ક્ષેત્રમાં ટોચનું રાજ્ય છે. અગ્રણી MSME મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રોમાં ગુજરાત દેશનું શ્રેષ્ઠ રાજ્ય છે. NCAER  સ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ પોટેન્શિયલ ઇન્ડેક્ષ મુજબ વર્ષ 2017માં ગુજરાત ‘ટોપ પરફોર્મિગ સ્ટેટ’ રહ્યુ છે ત્યારે રાજ્ય સરકારના આ નિર્ણયના પરિણામે GSDP દરમાં વૃધ્ધિ તેમજ ભારત સરકારે તાજેતરમાં MSME નાના ઊદ્યોગોને પ્રોત્સાહન આપતા જે આર્થિક ઉદારીકરણના નિર્ણયો કર્યા છે તેમાં પૂરક બનશે. 
 
સૌરભ પટેલે કહ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં MSMEમાં મોટા પ્રમાણમાં એકમો નોંધાયેલા છે. જેનાથી વિપુલ પ્રમાણમાં રોજગારી ઊભી થઇ છે. હાલમાં ગુજરાત રાજ્યમાં MSME એકમ સ્થાપવા માટે જુદા જુદા કાયદાઓ હેઠળ ઘણી બધી મંજૂરીઓ મેળવવાની રહે છે. સામાન્ય રીતે MSME ઉદ્યોગ એક અથવા બે ની ભાગીદારીથી શરૂ થતા હોય છે. જે તેમનો પૂરતો સમય તેમના ધંધા રોજગાર માટે ફાળવવાના બદલે તેમને ધંધો ચાલુ કરવા માટે લેવી પડતી વિવિધ મંજૂરીઓ માટે કામગીરી કરવી પડે છે.  
 
આ તમામ બાબતો ધ્યાને લઇ ઉદ્યોગ સાહસિકો થકી ગુજરાત રાજ્યમાં વધુ રોકાણ આવે તથા રોજગારીની તકો પણ ઉપલબ્ધ થઇ શકે તેવા અત્યંત દીર્ઘદ્રષ્ટીપૂર્ણ  આશયથી ગુજરાત સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગસાહસોના (સ્થાપન અને કામગીરી સરળ બનાવવા) બાબત વટહુકમ, ૨૦૧૯ બહાર પાડવામાં આવ્યો હતો. હવે હવે રાજ્ય સરકારે ગુજરાત સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગસાહસોના (સ્થાપન અને કામગીરી સરળ બનાવવા) બાબતનો કાયદો બનાવેલ છે. વટહુકમ, ૨૦૧૯ – બહાર પડતા ઉદ્યોગ સાહસિકને ત્રણ વર્ષ સુધી એકમ સ્થાપવા માટેની રાજ્ય સરકારના કાયદાઓ હેઠળ લેવાની થતી જુદી જુદી જરૂરી મંજૂરીઓમાંથી છુટ આપવામાં આવી છે. આમ થતા ઉદ્યોગ સાહસિક તેમનો પૂરતો સમય તેમના ધંધાના વિકાસ  માટે ફાળવી શકશે. જે કારણે ગુજરાત રાજ્યમાં ઉદ્યોગોનો વિકાસ ઝડપી થશે તેમજ તેના પરિણામે રાજ્યમાં રોજગારીની નવી તકો પણ ઉપલબ્ધ થશે. હાલમાં MSME એકમને નીચે દર્શાવ્યા પ્રમાણેની મંજુરીઓ મેળવવામાં ૩ વર્ષની રાહત આપવામાં આવી છે. 
 
૧. જમીન બીનખેતી  કરાવવા માટે કલમ-૬૫
૨. બોનાફાઈડ ઔદ્યોગિક હેતુ માટેની ૬૫-બીની મંજુરી
૩. મિલકત નોંધણી
૪. બાંધકામની મંજુરી
૫. શહેરી અને જીઆઈડીસી વિસ્તારમાં બિલ્ડીંગ પ્લાન મંજુર કરાવવામાંથી
૬. પાણીના જોડાણ
૭. કોન્ટ્રાકટ લેબરમાં નોંધણીમાંથી રાહત
૮. કોન્ટ્રાકટ લેબરના લાયસન્સ મેળવવામાંથી
૯. જીપીસીબીમાંથી બિન પ્રદુષિત એકમોની સ્થાપવા માટેની મંજુરીમાંથી
વિશેષમાં જમીન મહેસુલ અધિનિયમ કલમ-73AA હેઠળ આદિવાસીની જમીન મેળવવા માટે જરૂરી મંજુરીઓ મેળવવાની રહેશે..  
આ ઉપરાંત MSME એકમોએ કાયદા મુજબ નીચેની મંજુરીઓ મેળવવાની રહેશે.
૧. બોયલર નાખવા માટે
૨. બોયલર બનાવતા એકમો માટે લેવી પડતી મંજુરી
૩. પ્રદુષિત એકમો માટે ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડની મંજુરી
૪. દવા બનાવવા અને વેચવા માટે લાયસન્સ
૫. તોલ-માપના કાયદા
૬. પેકેજ કોમોડીટી એક્ટ
૭. મોલાસીસ વાપરવાની મંજુરી
૮. લ્યુબરીકેટીંગ ઓઈલ બનાવવા તેમજ વેચાણ માટે
આ ઉપરાંત કેન્દ્ર સરકારના કાયદાઓ હેઠળ જે મંજુરીઓ આવરી લેવામાં આવેલી છે તેવી મંજુરીઓ જે તે કાયદા હેઠળ મેળવવાની રહેશે. MSME એકમો ઓનલાઇન ઉદ્યોગ આધાર પોર્ટલ પર દર વર્ષે રજીસ્ટર કરવામાં આવે છે. જેમાં લગભગ દરેક એકમને ૧૦ કે તેથી વધુ વિભાગોની માન્યતાઓ મેળવવાની રહે છે. ત્રણ વર્ષના સમયમાં જરૂરી મંજુરી મેળવવાની જોગવાઈના કારણે એકમ પોતાનું ધ્યાન ઉત્પાદન વેચાણ વગેરે અગત્યની કામગીરી પ્રત્યે કેન્દ્રિત કરી શકશે. 
 
MSME એકમોને ઉત્પાદન શરૂ કરતાં પહેલાં વિવિધ વિભાગો પાસેથી માન્યતા મેળવવાની હોય છે. જેમાં  મહેસૂલ વિભાગ,  મહાનગરપાલિકાઓ, પંચાયતો, પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, શહેરી વિકાસ સત્તામંડળ, શ્રમ અને રોજગાર વિભાગની મંજુરીઓ લેવી પડતી હતી. આ નિર્ણયના પરિણામે MSME એકમોને ૩ વર્ષ સુધી સ્થિર થવા તથા વિવિધ માન્યતાઓ મેળવવા માટે તેમના ઉદ્યોગને અડચણરૂપા બન્યા સિવાય મંજુરીઓ માટે જરૂરી સમય મળી રહેશે. 
 
આ નિર્ણયના પરિણામે ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવાનુ રાજ્ય સરકારનુ ધ્યેય પ્રાપ્ત કરી શકાશે, તેમજ ગુજરાત રાજ્યમાં રોકાણ કરવુ વધુ સુલભ બનશે તથા રૂઢીવાદી પદ્ધતિના અમલનો અંત આવી શકશે. નાના ઉદ્યોગકારો ઉદ્યોગ સ્થાપવાના શરૂઆતના તબક્કે મુશ્કેલીઓ અનુભવતા હતા અને પ્રોજેકટ વિલંબ થવાના કારણે જમીન તેમજ પ્લાન્ટ અને મશીનરીના ભાવ વધારો ભોગવવો પડતો હતો. તેથી ઘણા બધા ઉદ્યોગકારો ઉદ્યોગ સ્થાપવાની શરૂઆતમાં જ હતાશા અનુભવતા હતા. આ બાબતનો નિરાકરણ થાય અને કોઇપણ જાતની મુશ્કેલી અનુભવ્યા સિવાય ઉદ્યોગ પ્રસ્થાપિત કરી શકે તે હેતુથી કાયદો ઘડ્યો છે