2017માં દુષ્કર્મના આરોપી જૈન મુનિ દોષિત જાહેર, ધાર્મિક વિધિને બહાને યુવતીની લૂંટી હતી આબરૂ
ગુજરાતમાં વર્ષ 2017માં દુષ્કર્મના આરોપી જૈન મુનિને આજે શુક્રવારે (4 એપ્રિલ, 2025) સુરત કોર્ટે દોષિત જાહેર કર્યા છે. જૈન સમાજના મુનિ પર વર્ષ 2017માં દુષ્કર્મનો આરોપ લાગ્યો હતો. ઉલ્લેખનિય છે કે, જૈન મુનિ વિરુદ્ધ અઠવા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. વડોદરાની યુવતીને ધાર્મિક વિધિ માટે સુરત બોલાવ્યા હતા અને એકાંતમાં રૂમમાં લઈ ગયા પછી યુવતી જોડે દુષ્કર્મ આચર્યું હતું.
ધાર્મિક વિધિ માટે પીડિતા પાસે નગ્ન ફોટો મગાવ્યા હતા
વડોદરાની 19 વર્ષીય શ્રાવિકા યુવતીએ પોતાના પરિવાર સાથે સુરત ખાતે ધાર્મિક વિધિ માટે આવ્યા બાદ આરોપી મુનિએ તેને એકાંત રૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. પીડિતાએ પોલીસ સમક્ષ આપેલા નિવેદન મુજબ શાંતિસાગરે પ્રથમ તેનાં માતા-પિતાને ચંદનના લાકડાથી ઘેરાવેલા કુંડાળામાં બેસાડ્યાં અને ઓમ રીં શ્રી ધનપતિ કુબેરાય નમઃનો જાપ કરાવવાનું કહ્યું. પછી યુવતીને આ કુંડાળામાંથી મારી પરવાનગી વગર બહાર ન જવાનું કહ્યું હતું. આચાર્ય શાંતિસાગરે યુવતી પાસે ધાર્મિક વિધિની તૈયારી માટે તેના આપત્તિજનક ફોટા મગાવ્યા હતા. તેણે તસવીરો માટે કેટલીક વખત ફોન અને વ્હોટ્સએપનો ઉપયોગ કર્યો હતો અને યુવતીને જણાવ્યું હતું કે “મને તારો મિત્ર સમજો. નગ્ન ફોટો વિધિ માટે જરૂરી છે.
પીડિતાનું કહેવું છે કે શાંતિસાગર મહારાજના પ્રવચનથી મંત્રમુગ્ધ થઈ તેણે પરિવાર સાથે તેની ધાર્મિક વિધિ માટે સુરત આવવાનું નક્કી કર્યું હતું. તેણે રાત્રિરોકાણની વાત કહી, ઉપાશ્રય ખાતે બધાને રોક્યા હતા. રાત્રે વિધિ દરમિયાન શાંતિસાગરે યુવતીનાં માતા-પિતાને કુંડાળામાં બેસાડી, તેના ભાઈને બીજા રૂમમાં મોકલી દીધો હતો અને યુવતીને પવનના ઝોંકા અને મોરપંખથી શારીરિક રીતે સ્પર્શ કર્યો. પછી યુવતીને અન્ય ખંડમાં લઈ જઈને કહ્યું કે “તું તારાં માતા-પિતાને સુખી જોવા માંગે છે ને? તો હું કહું એ પ્રમાણે ચાલ, નહીં તો તેમનું મૃત્યુ થશે.” એ પછી લાઈટ બંધ કરીને તેની ઈચ્છા વિરુદ્ધ દુષ્કર્મ કર્યું હતું.
આ કેસમાં પોલીસે શાંતિસાગર મુનિની ધરપકડ કરીને લાજપોર સેન્ટ્રલ જેલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. લાંબા સમયથી આ કેસમાં જેલવાસ ભોગવતા આરોપી જૈન મુનિ સામે પોલીસે ચાર્જશીટ રજૂ કરી દીધી હોવા છતાં એકથી વધુ વાર સુરતની ઉચ્ચતમ અદાલતોમાંથી જામીન મેળવવા માટે આરોપીના પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. જ્યારે આરોપીને સેશન્સ કોર્ટ અને હાઇકોર્ટમાં જામીન અરજી નામંજૂર થયા બાદ કેસની ટ્રાયલ શરૂ થઈ હતી.