શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 18 સપ્ટેમ્બર 2020 (13:29 IST)

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ કોરોના પોઝિટિવ, સીએમ રૂપાણીએ તેમના પુત્ર સાથે વાત કરી

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ કોરોના પોઝિટિવ હોવાના સમાચાર મળ્યા છે. હજી સુધી સત્તાવાર રીતે આ સમાચારની પૃષ્ટિ થઇ શકી નથી. પરંતુ બિનસત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ કેટલાક દિવસથી કેશુબાપાની તબિયત નાદુરસ્ત હતી. તેમનો ટેસ્ટ કરાવાતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જાણવા મળ્યા મુજબ તેમના કેર ટેકર સ્વેતલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ કેશુબાપાએ પોતાનો કોરોના ટેસ્ટ કરાવતા તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કેશુભાઈ પટેલ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હોમ ક્વોરન્ટિન થયા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેશુબાપાના પુત્ર સાથે વાત કરી છે અને સારવારમાં કોઇ કચાસ નહીં રહે તેવી ખાતરી આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 15 ધારાસભ્ય, પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી, રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સહિત 21 નેતાઓ કોરોનાગ્રસ્ત થઈ ચૂક્યા છે. જેમાં હાલ ભરતસિંહ સોલંકી, સી.જે.ચાવડા, રમેશ ધડુક અને નિમાબહેન આચાર્ય સારવાર હેઠળ છે. આ સિવાયના નેતાઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.