શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 9 મે 2021 (08:58 IST)

ડાયાલિસિસની જરૂરિયાત ધરાવતા કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે “મોબાઇલ ડાયાલિસીસ વાન” સેવા શરૂ કરાઇ

કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને પારખીને ડાયાલિસિસની જરૂરિયાત ધરાવતા કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે સિવિલ મેડિસીટીની કિડની હોસ્પિટલ દ્વારા નવતર સુવિધા  હાથ ધરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાની કોવિડ હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે “મોબાઇલ ડાયાલિસીસ વાન” સેવા શરૂ કરવામાં આવી છે.
 
મોબાઇલ ડાયાલિસિસ વાનની સુવિધા અમદાવાદની સાથે સાથે રાજ્યભરની અન્ય હોસ્પિટલોમાં દાખલ થનારા અને ડાયાલિસિસની જરૂરિયાત ધરાવતા કોવિડ પોઝિટિવ દર્દીઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. 
 
આ ‘મોબાઇલ ડાયાલિસિસ વાન’માં ડાયાલિસિસ યુનિટ, પોર્ટેબલ આર.ઓ. બુસ્ટર વોટર સિસ્ટમ, મલ્ટિ-પેરા મોનિટર, ડેફિબ્રિલેટોર, કન્સ્યુમબલ્સ ની આધુનિક સુવિધાઓથી સજ્જ હશે. જેમાં ડાયાલિસિસ ઉપકરણોના  ૨ સેટ મુકવામાં આવશે. જયારે એક હોસ્પિટલમાં દર્દીનું ડાયાલિસિસ કાર્યાન્વિત હોય અને તે દરમિયાન અન્ય કોઇ હોસ્પિટલમાંથી ડાયાલિસિસ જરૂરિયાત માટે કોલ આવી જાય ત્યારે બીજા સેટ મારફતે પણ સેવા કુશળતાપૂર્વક પુરી પાડી શકાશે.
 
આ અંગે અમદાવાદ સિવિલ મેડિસીટીમાં આવેલી  કિડની ઇન્સ્ટીટ્યુટના ડાયરેક્ટર ડૉ. વિનીત મિશ્રાએ જણાવ્યુ છે કે, કોવિડ હોસ્પિટલોમાં કોવિડ પોઝિટિવ ડાયાલાલિસની જરૂરિયાત ધરાવતા દર્દીઓમાં વધારો થવાથી ડાયાલિસિસ સેન્ટર અને ત્યાંથી પાછા હોસ્પિટલમાં પરત જવાની મુશ્કેલીઓને રોકવા માટે ઘરઆંગણે દર્દીઓ અને હોસ્પિટલોને મદદ કરવા માટે નિઃશુલ્ક મોબાઇલ ડાયાલિસિસ વાન સેવા શરૂ કરવામાં આવી છે. જે ડાયાલિસીસીની જરૂરિયાત ધરાવતા દર્દીઓ માટે કારગર નિવડશે. 
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ (જીડીપી) અંતર્ગત રાજ્યભરમાં આઈકેડીઆરસી દ્વારા સંચાલિત ડાયાલિસિસ કેન્દ્રો પર દર મહિને આશરે ૫૦૦ કોવિડ દર્દીઓ ડાયાલિસિસ સેવાનો લાભ મેળવી રહ્યા છે.