સંબંધિત સમાચાર
- ગુજરાત શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય: રાજ્યની પ્રાથમિક શાળાઓમાં 1808 મુખ્ય શિક્ષકોની તાત્કાલિક કરાશે ભરતી
- ગુજરાતની સરકારી કચેરીઓમાં હવે AC ફરજિયાત 24 ડિગ્રી પર રાખવું પડશે, નવી ગાઇડલાઇન જાહેર
- હવામાન વિભાગની મોટી આગાહી: 1 જુલાઈ સુધી અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં મેઘમહેર, આજે જાણો ક્યા પડશે વરસાદ
- ગુજરાતમાં ધાર્મિક પ્રવાસનને મળશે મોટો વેગ: સરકારના સુનિયોજિત આયોજનથી બદલાશે યાત્રાધામોનો ચહેરો
- અમદાવાદ એરપોર્ટ પર હાઈ-વોલ્ટેજ ડ્રામા: એર ઇન્ડિયા અને ઇન્ડિગોના વિમાનો સામસામે આવી જતા દોડધામ
ચોમાસા પૂર્વે સરકારની મોટી જાહેરાત, શાળાઓ અને હોસ્ટેલ્સમાં સુરક્ષાના નિયમોનું પાલન કરવું ફરજિયાત, જાણો ચોમાસા માટે સરકારની નવી ગાઈડલાઈન
Monsoon Guidelines for school
રાજ્યમાં ચોમાસાની સિઝન નજીક આવતાં વિદ્યાર્થીઓની સુરક્ષા અને શૈક્ષણિક સંસ્થાઓમાં જોખમ ઘટાડવાના હેતુથી સરકાર દ્વારા મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. પ્રાથમિક શાળાઓ અને હોસ્ટેલ્સમાં વરસાદી સિઝન દરમિયાન કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરક્ષા અને સંચાલન સંબંધિત વિવિધ સૂચનાઓ તાત્કાલિક અસરથી અમલમાં મૂકવાનો આદેશ કરાયો છે. આ અંતર્ગત જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી (DPEO) ને શાળા પરિસરમાં પૂર્વ તૈયારીઓનું કડક નિરીક્ષણ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.
જર્જરિત ઓરડાઓ પર પ્રતિબંધ અને ઇલેક્ટ્રિકલ સેફ્ટીના કડક નિયમો
વિદ્યાર્થીઓની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા સરકાર દ્વારા જર્જરિત અને અસુરક્ષિત ઓરડાઓમાં વર્ગો ચલાવવા પર સંપૂર્ણ મનાઈ ફરમાવવામાં આવી છે. શાળા અને હોસ્ટેલની છત, મેદાન તેમજ વરસાદી પાણી ભરાવાની શક્યતા ધરાવતા વિસ્તારોની સમયસર સફાઈ કરવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત, વિદ્યુત સુરક્ષાને ધ્યાનમાં રાખીને ખુલ્લા વાયરો, ખામીયુક્ત અર્થિંગ અને જોખમી વાયરિંગને તાત્કાલિક સુધારવા તેમજ શાળાઓમાં માત્ર ISI માર્ક ધરાવતા વીજ ઉપકરણોનો જ ઉપયોગ થાય તે સુનિશ્ચિત કરવા જણાવાયું છે.
ભારે વરસાદ અને પૂરની સ્થિતિ માટે ઇમરજન્સી પ્રોટોકોલ તૈયાર
ભારે વરસાદ અથવા પૂર જેવી કટોકટીની સ્થિતિમાં ઝડપી પ્રતિસાદ મળી રહે તે માટે શાળાઓને ખાસ ઇમરજન્સી પ્રોટોકોલ તૈયાર રાખવા અને વહીવટીતંત્ર સાથે જરૂરી સંકલન સાધવા કહેવામાં આવ્યું છે. કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે શાળાઓમાં ફર્સ્ટ એઇડ અને ઇમરજન્સી કીટ ફરજિયાતપણે ઉપલબ્ધ રાખવાની રહેશે. મુશળધાર વરસાદ કે પૂર જેવી આપત્તિજનક પરિસ્થિતિમાં સ્થાનિક સ્થિતિ અને વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર સાથે મળીને ત્વરિત પગલાં લેવાના રહેશે.
શાળા સંચાલનના નિયમો અને ચાલુ બાંધકામ અંગે વિશેષ સાવચેતી
શાળા સંચાલન સંબંધિત નિયમોમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, સક્ષમ સત્તાધિકારીની પૂર્વ મંજૂરી વિના શાળાઓ બંધ રાખી શકાશે નહીં કે તેના સમયપત્રકમાં ફેરફાર કરી શકાશે નહીં. આ ઉપરાંત, જે શાળાઓના કેમ્પસમાં અત્યારે બાંધકામની કામગીરી ચાલુ હોય, ત્યાં વિદ્યાર્થીઓની સુરક્ષા માટે વિશેષ સાવચેતી રાખવા અને વિદ્યાર્થીઓની અવરજવર વાળા વિસ્તારને બેરિકેડિંગ કરીને સંપૂર્ણપણે સુરક્ષિત રાખવા માટે કડક આદેશ આપવામાં આવ્યો છે.
