ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated :અમદાવાદ , શનિવાર, 30 ડિસેમ્બર 2017 (11:40 IST)

ગુજરાતમાં ઘમાસાન...છીનવાયેલાં ખાતા પાછા નહીં અપાય તો મંત્રીપદેથી મારું રાજીનામું નિશ્ચિત - નીતિન પટેલ

ભાજપ સરકારના મંત્રીઓને ખાતાંની વહેંચણી કરાયા બાદ સર્જાયેલો અસંતોષ અને આક્રોશ આજે સપાટી પર આવી ગયો છે. ભાજપ સરકારના નાયબ મુખ્યમંત્રી જુનિયર કક્ષાના ખાતાઓ ફાળવાતાં નીતિન પટેલ મંત્રીપદેથી રાજીનામું આપવા તૈયાર થઈ ગયા છે. આજે દિવસ દરમિયાન નીતિન પટેલ કેબિનેટ મંત્રીઓને ફાળવાયેલી ચેમ્બરમાં દેખાયા ન હતા. નીતિન પટેલે ભાજપ હાઈકમાન્ડને પોતાની નારાજગી શબ્દો ચોર્યા વિના જણાવી દીધી છે અને કહ્યું છે કે, મારા સ્વમાનના ભોગે મને મંત્રી બનવામાં કોઈ રસ નથી. હું કેબિનેટમાં સૌથી સિનિયર મંત્રી અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી પદે છું ત્યારે મારી પાસેથી છીનવાયેલાં ખાતા પાછા નહીં અપાય તો મંત્રીપદેથી મારું રાજીનામું નિશ્ચિત છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રીના આ પુણ્યપ્રકોપથી આજે ભાજપ હાઈકમાન્ડ પણ હલી ઊઠયું છે અને આવનાર ૩ દિવસ સુધીમાં નીતિન પટેલને સંતોષ થાય તે રીતે સમગ્ર પ્રશ્નનો નીવેડો લાવવાની બાંયધરી અપાઈ હોવાનું જાણવા મળે છે.
 
૭ ધારાસભ્યોની પાતળી બહુમતીથી સરકારમાં બેઠેલી ભાજપ સરકારનો અસંતોષ મંત્રીમંડળની રચના કરાઈ ત્યારથી જ ભભૂકી રહ્યો છે. ગુજરાતમાં ભારે લોકવિરોધ પછી ભાજપના ૯૯ ધારાસભ્યો ચૂંટાયા અને સરકાર બની તેનો જશ હવે ચોક્કસ તત્ત્વો જ લેવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ભાજપ સરકાર બનાવવામાં જે લોકોએ પોતાના સમાજ સામે પડીને પક્ષ સાથે વફાદારી બતાવી છે તેઓને જ્યારે પદ વહેંચવાનો સમય આવ્યો ત્યારે બાજુએ હડસેલી દેવાયા હોય તેવો ઘાટ સર્જાયો છે. ગઈ કાલે ભાજપ સરકારના મંત્રીઓને ખાતાઓની ફાળવણી કરાઈ ત્યારે આ અસંતોષ ચરમસીમાએ પહોંચી ગયો હતો.




ગુજરાતમાં વિજય રૂપાણી સરકારમાં બધુ જ ઠીક લાગી રહ્યુ નથી. જાણવા મળ્યુ છે કે ત્રણ મહત્વના મંત્રાલય ન મળવાથી નારાજ ઉપમુખ્યમંત્રી નિતિન પટેલે અત્યાર સુધી પોતાનો કાર્યભાર સંભાળ્યો નથી. અગાઉની સરકારમાં તેમની પાસે નાણાકીય, શહેરી વિકાસ, ઉદ્યોગ અને રાજસ્વ મંત્રાલય હતુ પણ આ વખતે નાણાકીય મંત્રાલય સૌરભ પટેલને આપી દેવામાં આવ્યુ છે.  નિતિન પટેલ ગુરૂવારે થયેલ કેબિનેટની બેઠકમાં મોડે પહોંચ્યા હતા. જાણવા મળ્યુ છે કે નારાજ નિતિન પટેલને મનાવવા ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણી ગયા હતા તયરબાદ તેઓ 5 વાગે શરૂ થયેલી બેઠકમાં રાત્રે નવ વાગ્યે આવ્યા. સૂત્રો મુજબ નિતિન પટેલે કહ્યુ છે કે જો તેમને નાણાકીય મંત્રાલય ન આપ્યુ તો તેઓ આત્મસન્માનને ઠેસ પહોંચવાના નામે રાજીનમૌ આપી શકે છે. 
 
 સૂત્રોના જણાવ્યા મુજબ ઉપમુખ્યમંત્રી અનેક કારણોસર નારાજ છે. તેમને સૌથી વધારે નારાજગી તેમની પાસેથી  છીનવાયાની છે. સામાન્ય રીતે કેબિનેટમાં નંબર 2  પોઝિશનની વ્યકિત આ ખાતુ સંભાળતી હોય છે. તેમના જુનિયર સૌરભ પટેલને તેમના સ્થાને આ પોર્ટફોલિયો આપી દેવાયો છે. ફાયનાન્સ ખાતાની ફાળવણી અંગે નારાજગીની વાત સપાટી પર ત્યારે આવી હતી જયારે રૂપાણીએ મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, 'એ વાત સાચી નથી કે ફાયનાન્સનું ખાતુ સંભાળનાર વ્યકિત કેબિનેટમાં નંબર ૨ પોઝિશન પર હોય. નીતિન પટેલ અમારા અગ્રણી નેતા છે અને તે કેબિનેટમાં નંબર 2  પોઝિશન પર જ રહેશે.' આ ઉપરાંત નીતિન પટેલ શહેરી વિકાસ અને પેટ્રોલિયમ એમ બીજા બે અગત્યના ખાતા પણ સંભાળતા હતા. આ બંને ખાતા રૂપાણીએ પોતાની પાસે રાખ્યા છે. નીતિન પટેલને ઈન્ડસ્ટ્રી કે રેવન્યુ જેવી એક પણ અગત્યની મિનિસ્ટ્રી ન સોંપાતા અને આરોગ્યનું ખાતુ ફળવાતા પટેલની નારાજગી વધી ગઈ હતી. 
 
સૂત્રોએ જણાવ્યું કે નીતિન પટેલ જયારે મુખ્યમંત્રી રૂપાણી અને ભાજપના રાજયકક્ષાના મંત્રી જીતુ વાઘાણી સાથે હાઈકમાન્ડની વાતચીત પછી કેબિનેટ મીટીંગમાં આવ્યા ત્યારે તેમના ચહેરા પર નારાજગી સ્પષ્ટ દેખાઈ આવતી હતી. શુક્રવારે ભાજપના ટોચના નેતાઓએ નીતિન પટેલને મનાવવાની કોશિશ કરી હતી. ટોચના સૂત્રો જણાવે છે, 'નીતિન પટેલ નારાજ છે અને ટોચના નેતાઓ તેમને પાર્ટી પર અસર થાય તેવી કોઈ નવાજૂની ન કરવા સમજાવી રહ્યા છે.' સત્ત્।વાર રીતે કોઈ પણ નિવેદન કરવા તૈયાર નથી. વાઘાણીએ જણાવ્યું, 'મને જાણ છે ત્યાં સુધી કોઈ નેતાઓ વચ્ચે મતભેદ નથી. જો કોઈ સમસ્યા હશે તો અમે તેનો નિવેડો લાવીશું. સરકાર મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉપમુખ્યમંત્રી નીતિન પટેલની ટીમ હેઠળ જ કાર્યરત રહેશે. પાર્લામેન્ટ સેશનને કારણે જ ગુરૂવારે કેબિનેટ મીટીંગ શરૂ કરવામાં મોડુ થઈ ગયુ હતુ.'