મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 3 ઑક્ટોબર 2019 (12:06 IST)

ભારત સાર્વજનિક શૌચ મુક્ત જાહેર, જાણો મોદીની આ અંગેની ખાસ વાતો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રજી ઓકટોબર ગાંધી જ્યંતિએ પૂ. મહાત્મા ગાંધી બાપુના કર્મસ્થળ એવા અમદાવાદ ખાતેથી ‘‘ખુલ્લામાં શૌચમુક્ત ભારત’’ ની જાહેરાત કરી હતી. સાબરમતી નદી કિનારે રિવરફ્રન્ટ પર પૂજ્ય બાપુની ૧૫૦મી જન્મજયંતિના ઉપલક્ષ્યમાં યોજાયેલ સ્વચ્છ ભારત દિવસની ઉજવણી પ્રસંગે નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, પૂજ્ય મહાત્મા ગાંધી સ્વચ્છતાના આગ્રહી હતા. તેમને મન સ્વચ્છતા જ સર્વસ્વ હતું ત્યારે સ્વચ્છ, સ્વસ્થ્ય, સશક્ત અને સમૃદ્ધ દેશ નિર્માણ કરી ન્યૂ ઇન્ડિયાનું સપનું સાકાર કરીએ. પૂજ્ય બાપુની ૧૫૦મી જન્મજ્યંતિ ઉજવણીમાં ગુજરાત રાજ્યના ૧૦ હજાર તથા ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તિસગઢ, પંજાબ, હરિયાણા સહિત દેશના અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના ૧૦ હજાર મળી કુલ ૨૦ હજાર સરપંચો-સ્વચ્છાગ્રહીઓ ઉપસ્થિત રહ્યા હતા.
 
નરેન્દ્ર મોદીએ પૂજ્ય બાપુના સપનાનું ભારત નિર્માણ કરવાનું આહવાન કરી જણાવ્યું હતું કે, દેશનો એક-એક નાગરિક સ્વચ્છતા, સ્વસ્થતા, પર્યાવરણ જાળવણી જેવા પગલાં લઇ સક્રિય બને તો બાપુના સપનાનું ભારત નિર્માણ કરી શકીએ. પૂજ્ય બાપુ એવું માનતા કે દેશનું પર્યાવરણ સ્વચ્છ હોય, દરેક વ્યક્તિ સ્વસ્થ હોય, દરેક વ્યક્તિ સુરક્ષિતતા અનુભવતી હોય, ભેદભાવમુક્ત અને સદભાવયુક્ત રાષ્ટ્ર હોય, આવો આપણે સૌ આ મૂલ્યોને સાકાર કરવા કટિબદ્ધ બનીએ.
 
નરેન્દ્ર મોદીએ ઉમેર્યું હતું કે, આપણો દેશ સંકલ્પ થી સિદ્ધિ સુધીની તરાહ ઉપર આગળ વધી રહ્યો છે ત્યારે દેશનો પ્રત્યેક વ્યક્તિ એક સંકલ્પ લે તે સમયની માંગ છે. દેશને કોઇપણ રીતે કામ આવે તેવો કે દેશની ભલાઇ માટે કામ આવે તેવો સંકલ્પ કરીશું તો સત્ય પથ પર ચાલતા-ચાલતા દેશના ૧૩૦ કરોડ સંકલ્પની તાકાત સમૃદ્ધ ભારત બનાવશે એવો મને વિશ્વાસ છે. ખુલ્લામાં શૌચમુક્ત ભારતનો ઉલ્લેખ કરીને નરેન્દ્ર મોદીએ ઉમેર્યું હતું કે, આ સફળતા માટે કોઇ વ્યક્તિ-મુખ્યમંત્રી-પ્રધાનમંત્રીની વ્યક્તિગત સફળતા નથી પરંતુ ૧૩૦ કરોડ નાગરિકોના પુરૂષાર્થનું પરિણામ છે અને એટલે જ આપણે આ સિદ્ધિ હાંસલ કરી શક્યા છીએ. 
 
નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે સાબરમતી તટ પર દેશભરમાંથી ઉપસ્થિત થયેલા સરપંચો-સ્વચ્છાગ્રહીઓએ સતત પાંચ વર્ષ સુધી મહેનત કરી પૂજ્ય બાપુનું સ્વચ્છતાનું સપનું સાકાર કર્યું છે તેને બિરદાવીને નમન કર્યા હતા. પૂજ્ય બાપુની જન્મજયંતિ વિશ્વ આખું મનાવી રહ્યું છે. આજે પૂજ્ય બાપુની ધરતી પરથી સમગ્ર વિશ્વને શુભકામના પાઠવું છું. પૂજ્ય બાપુના કર્મસ્થાન એવા સાબરમતી આશ્રમને સત્યાગ્રહ અને સ્વચ્છાગ્રહનું વ્યાપક સ્વરૂપ બનાવ્યું છે. સાબરમતી રિવરફ્રન્ટ પર આ ગૌરવશાળી કાર્યક્રમ કર્યો તે અત્યંત આવકારદાયક છે તેમ તેમણે ઉમેર્યું હતું. 
 
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દેશની આઝાદી માટે પૂજ્ય બાપુના એક આહવાનથી લાખો સત્યાગ્રહીઓ સ્વયંભૂ ઉમટી પડ્યા હતા એ જ રીતે સમગ્ર દેશમાંથી સ્વચ્છાગ્રહીઓએ આ જન અભિયાનને સફળ બનાવ્યું છે. પૂજ્ય બાપુ હંમેશા કહેતા હતા કે, જે બદલાવ લાવો હોય તે પહેલા સ્વયં અપનાવવો પડે અને એ જ મંત્રને આત્મસાત કરીને ભારતે આ અભિયાન મૂર્તિમંત કર્યું છે તે આવકારદાયક અને અનુકરણીય છે.
 
નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, એક સમય હતો કે શૌચાલય શબ્દનો ઉપયોગ કરવામાં શરમ-સંકોચ અનુભવાતો હતો અને આજે પરિસ્થિતિ બદલાઇ ગઇ છે. સાત મહિનામાં ૧૦ કરોડથી વધુ શૌચાલયનું નિર્માણ સ્વયંએક સિદ્ધિ છે. કરોડો માતાઓ-બહેનોને તેનાથી અંધારાના ઇંતજારમાંથી મુક્તિ મળી છે, એટલું જ નહીં સ્વચ્છતાના પગલે બિમારીઓમાંથી પણ મુક્તિ મળી છે તે આપણા સૌ માટે સંતોષની વાત છે. નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, સમાજ વ્યવસ્થાના અભિન્ન અંગ એવી બહેનોએ આ અભિયાનમાં બહુ મોટું યોગદાન આપ્યું છે.
 
ગામડાઓમાં શૌચાલય નિર્માણના પગલે સ્વચ્છતા-સ્વસ્થતા વધી જ છે પરંતુ મોટા પ્રમાણમાં રોજગારી ઉપલબ્ધ થઇ છે. પૂજ્ય બાપુએ સુરાજ્યનું સપનું સેવ્યું હતું અને આજે આપણે તેને સાકાર કર્યું છે, પરંતુ આટલેથી સંતોષ માનવો યોગ્ય નથી. સ્વચ્છ ભારત માટેનો સંકલ્પ નિરંતર ચાલવો જોઇએ અને ભારત એ ચાલુ રાખશે જ એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શૌચાલય નિર્માણ કર્યા પછી મહત્તમ લોકો તેનો ઉપયોગ કરતા થાય એ પણ એટલું જ જરૂરી છે.જળ વ્યવસ્ર્થાપનનો ઉલ્લેખ કરી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, જળવ્યવસ્થાપન પાછળ સરકારે ૩.૫ લાખ કરોડનો ખર્ચ કર્યો છે પરંતુ દેશના લોકોના સક્રિય સહયોગથી તેનું મહત્તમ પરિણામ મળ્યું છે.
 
નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, વર્ષ-૨૦૨૨ સુધી દેશને સીંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગમાંથી મુક્ત કરવો છે. આજે દેશમાં કરોડો લોકોએ સીંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા તૈયારી બતાવી છે. તેનાથી પર્યાવરણનું સંરક્ષણ કરી શકાશે અને સાથે પ્રકૃતિ-સમૃદ્ધિ જીવની સુરક્ષા કરી શકાશે. આપણો વ્યવહાર પરિવર્તન અપનાવવો પડશે અને મહાત્મા ગાંધી અને લાલબહાદુર શાસ્ત્રીના જીવનમાંથી આ આદર્શોને આત્મસાત કરવા પડશે અને દરેક લોકોએ સ્વયંથી શરૂઆત કરવા નરેન્દ્ર મોદીએ આહવાન કર્યું હતું.