ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 2 ઑક્ટોબર 2019 (15:25 IST)

જાણો કેમ ગાંધી જયંતિ પર અમદાવાદના 150 પરિવારોના માથે મોટું સંકટ આવી પડ્યું

અમદાવાદના હાર્દ સમા ગાંધી આશ્રમને વૈશ્વિક સ્તરનું વિકસાવવાની સરકારનું પ્રયોજન છે. પરંતુ સરકારના પ્રયત્નોથી અમદાવાદના 150 જેટલા આશ્રમવાસીઓમાં નારાજગી ફેલાઈ છે. આશરે 70 વર્ષ પહેલા આ આશ્રમવાસીઓના પરિવારજનોને ગાંધી બાપુ દ્વારા વસાવવામાં આવ્યા હતા. ત્યારે કરોડોના બંગલા મળે તો પણ 150 જેટલા પરિવારો આશ્રમમાં આવેલી તેમની જગ્યા છોડીને જવા તૈયાર નથી. જરૂર પડે તો 2 ઓક્ટોબર બાદ આંદોલન પર ઉતરવાની આશ્રમવાસીઓ દ્વારા ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
એક તરફ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150 જન્મજયંતીની તૈયારીઓ ચાલી રહી છે. આવામાં સ્વતંત્રતા સંગ્રામમાં ગાંધીજીની સાથે રહેનારા સ્વાતંત્ર્ય સેનાનીઓને અને ખાદી વણાટની કામગીરી કરનારા લોકોને અહીં મકાન ફાળવવામાં આવ્યા હતા. હવે ગાંધી આશ્રમને નવો લૂક આપવાનો પ્રોજેક્ટની ચર્ચા ચાલી રહી છે, તેમાં આશ્રમની આસપાસના 150 જેટલા મકાનો ખાલી કરાવવાની વાત ચાલી રહી છે. આ આશ્રમવાસીઓના પરિવારજનોમાં હાલ રોષની લાગણી ફેલાઇ છે. ત્યારે 1200 આશ્રમવાસીઓએ ચીમકી આપી છે કે, કરોડોના બંગ્લા આપવામાં આવે તો પણ આ જગ્યા તેઓ ખાલી નહિ કરે. હાલમાં આ આશ્રમવાસીઓના મકાનની સ્થિતિ જર્જરિત છે.

પરંતુ સાબરમતી હરીજન આશ્રમ ટ્રસ્ટ અને સુરક્ષા ટ્રસ્ટના કારણે આ મકાનો રીપેરીંગ પણ ન થતા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. આશ્રમવાસી હેમંત ચૌહાણે જણાવ્યું કે, 150 જેટલા પરિવારજનો જ્યાં વસવાટ કરી રહ્યા છે તે સ્થળે આવેલા મકાનોનું માત્ર 10 રૂપિયા ભાડું આ પરિવારજનો ભરી રહ્યા છે. હરિજનોના ઉત્થાન માટે બાપુએ આ જગ્યા વિકસાવી હતી. તેવું આશ્રમવાસીઓનું કહેવું છે.મહત્વનું છે કે રિવરફ્રન્ટ, સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિકાસ બાદ હવે ગાંધી આશ્રમને વૈશ્વિક સ્તરે વિકસાવવાની તૈયારીઓ શરૂ થઈ છે.
જો કે આશ્રમવાસીઓએ ગાંધી આશ્રમમાં મીટિંગનો દોર શરુ કરી દીધો છે અને આશ્રમવાસીઓનું કહેવું છે કે અમને કરોડો રૂપિયા આપે તો પણ અમે આ જગ્યા છોડવાના નથી. હાલ તો આ આશ્રમવાસીઓને હાલના તેમના નિવાસસ્થાનથી લગભગ અડધો કિમી દુર મકાન બનાવી આપવાની યોજના બનાવવામાં આવી છે.હાલ તો ગાંધી આશ્રમને વિકસાવવાની વિચારણાથી આશ્રમવાસીઓમાં નારાજગી ફેલાઈ છે. હાલની પરિસ્થિતિને જોતા આગામી દિવસોમાં આ વિવાદ વધુ ઉગ્ર બને તો નવાઈ નહિ. કેમ કે આશ્રમવાસીઓ પોતાની 70 વર્ષથી વધુ જૂની જમીન છોડવા તૈયાર નથી.