સંબંધિત સમાચાર
- ફાગોત્સવના આયોજન વચ્ચે સુરતના યુવા અગ્રણી વિક્રમસિંહ શેખાવતનું હાર્ટ એટેકથી નિધન
- Surat News: સાવધાન! બાથરૂમનું ગીઝર મોત બનીને આવ્યું: 5 કલાકમાં આખો પરિવાર કાળનો કોળિયો બન્યો
- સુરતમાં રાત્રે ‘આંખો અંજાવી દેતી’ વ્હાઈટ LED લાઈટ સામે કડક કાર્યવાહી
- 'ઘરમાં તેલ પડ્યું છે "જા મરી જા" કહીને બચાવવાના બદલે પતિ બનાવતો રહ્યો વીડિયો
- ગેંગ રેપ કેસમાં ફસાયો ગુજરાત BJP નેતા, પાર્ટીમાંથી સસ્પેન્ડ, સુરતથી તેના મિત્ર સાથે ધરપકડ
શોર્ટ સર્કિટ અને ઘરમાં 10 ટન સાડીના જથ્થાએ લીધો 5 નો ભોગ: સુરતના લિંબાયતમાં ગૂંગળામણથી માસૂમ બાળક અને 4 મહિલાઓના મોત
સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલી મીઠી ખાડી પાસેની બેઠી કોલોનીમાં આજે સવારે એક રહેણાંક મકાનમાં અચાનક ભયાનક આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટના એટલી ગંભીર હતી કે તેમાં એક જ પરિવારના 5 સભ્યોના કરૂણ મોત નીપજ્યા છે. ઘટનાની જાણ થતા જ આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ ફેલાઈ ગયો હતો અને લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.
શોર્ટ સર્કિટ અને જ્વલનશીલ મટિરિયલને કારણે આગ
પ્રાથમિક તપાસ મુજબ, આ મકાનમાં સાડીઓનું જોબવર્ક ચાલતું હતું, જેના કારણે ઘરમાં મોટા પ્રમાણમાં સાડીઓ અને પેકિંગ માટેની ફોર્મ શીટનો જથ્થો રાખવામાં આવ્યો હતો. ઇલેક્ટ્રિક સ્વીચ બોર્ડમાં શોર્ટ સર્કિટને કારણે તણખા ઝર્યા હતા, જે સીધા ફોર્મ શીટ પર પડતા આગ લાગી હતી. ફોર્મ શીટ અને સાડીઓમાં રહેલા કેમિકલને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
#Gujarat
— Dilip Kshatriya (@Kshatriyadilip) March 31, 2026
Surat Fire Alert, Blaze erupts in residential building in Limbayats Mithi Khadi area. Five injured including four women and a child. Initial reports point to saree packing material catching fire.@NewIndianXpress @santwana99 @jayanthjacob pic.twitter.com/GSvI1SUdmf
ગૂંગળામણને કારણે એક જ પરિવારના 5 સભ્યોના મોત
આ કરૂણ ઘટનામાં ગૂંગળામણને કારણે 4 મહિલાઓ અને એક 4 વર્ષના માસૂમ બાળકનું મોત નીપજ્યું છે. મૃતકોમાં 65 વર્ષીય શહેનાઝ બેગમ, 18 વર્ષીય હુસના બેગમ, 28 વર્ષીય શબીના અંસારી, 19 વર્ષીય પરવીન અંસારી અને 4 વર્ષનો શુભાન અંસારી સામેલ છે. કેમિકલયુક્ત ધુમાડાને કારણે પરિવારના સભ્યો બચી શક્યા નહોતા અને સારવાર મળે તે પહેલા જ તેમણે દમ તોડ્યો હતો.
ફાયર વિભાગની તાત્કાલિક બચાવ કામગીરી
ઘટનાની જાણ થતા જ માન દરવાજા અને ડુંભાલ ફાયર સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. બચાવ કામગીરી દરમિયાન ફાયરના જવાનોએ મકાનમાંથી પાંચેય સભ્યોને બેશુદ્ધ હાલતમાં બહાર કાઢ્યા હતા અને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યા હતા, પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
ઘરમાં રાખેલો 8 થી 10 ટન સાડીનો જોખમી જથ્થો
તપાસમાં બહાર આવ્યું છે કે ગ્રાઉન્ડ પ્લસ બે માળના આ નાના મકાનમાં અંદાજે 8 થી 10 ટન જેટલો સાડીઓનો જથ્થો ખડકાયેલો હતો. આટલા મોટા જથ્થાને કારણે ઘરમાં ચાલવાની પણ જગ્યા નહોતી. વધુમાં, ઘરમાં બે ગેસના બાટલા પણ મળી આવ્યા હતા, જેણે જોખમમાં વધારો કર્યો હતો. જ્વલનશીલ મટિરિયલને કારણે ધુમાડો ઝડપથી પ્રસરી ગયો હતો.
તંત્ર દ્વારા કડક કાર્યવાહીની ચેતવણી
આ ઘટના બાદ પૂર્વ મેયર દક્ષેશ માવાણીએ દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, રહેણાંક વિસ્તારોમાં આટલો મોટો જથ્થો રાખવો જોખમી છે. તેમણે મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ તંત્રને સૂચના આપી છે કે જે ઘરોમાં આવો ગેરકાયદેસર સ્ટોક હશે તેમને સાંજ સુધીમાં ખાલી કરી દેવા એનાઉન્સમેન્ટ કરવામાં આવે, અન્યથા બીજા દિવસથી મકાનો સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.
ચીફ ફાયર ઓફિસરનું નિવેદન અને તપાસ
ચીફ ફાયર ઓફિસર બસંત પરીખના જણાવ્યા અનુસાર, ફાયર કંટ્રોલ રૂમમાં સવારે 11 વાગ્યે કોલ મળ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ વાયરિંગ બળેલું જણાય છે, પરંતુ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે એફએસએલની મદદ લેવામાં આવશે. આ દુર્ઘટનાએ રહેણાંક વિસ્તારોમાં ચાલતા જોખમી વ્યવસાયો અને સુરક્ષાના નિયમો સામે અનેક સવાલો ઉભા કર્યા છે.
