1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : શનિવાર, 7 માર્ચ 2026 (01:04 IST)

ઉમરેઠના ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પરમારનું દુઃખદ અવસાન

Govind Parmar MLA
Govind Parmar MLA
 ગુજરાતના રાજકીય જગતમાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા બેઠકના વર્તમાન ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી ગોવિંદભાઈ રાયજીભાઈ પરમારનું હૃદયરોગના હુમલાને કારણે નિધન થયું છે. તેમના અચાનક અવસાનના સમાચારથી રાજકીય તેમજ સામાજિક વર્તુળોમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે.
 
પ્રાપ્ત વિગતો અનુસાર, વહેલી સવારે ગોવિંદભાઈ પરમારની તબિયત અચાનક લથડી હતી અને તેમને હૃદયરોગનો ગંભીર હુમલો આવ્યો હતો. ત્યારબાદ તાત્કાલિક ધોરણે તેમને સારવાર અર્થે આણંદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં સારવાર દરમિયાન જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ હાલ 15મી ગુજરાત વિધાનસભામાં ઉમરેઠ બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા.

 
ગોવિંદભાઈએ ગુજરાતના રાજકારણમાં લાંબા સમય સુધી સક્રિય અને નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી. એક ધારાસભ્ય અને પૂર્વ મંત્રી તરીકે તેમણે હંમેશા લોકોની સેવા કરી હતી. તેઓ પોતાના સરળ સ્વભાવ, સૌમ્ય વ્યક્તિત્વ અને પોતાના મતવિસ્તારના લોકોની સમસ્યાઓ ઉકેલવા માટે સતત સંપર્કમાં રહેવા માટે જાણીતા હતા. તેમના નિધનથી ઉમરેઠ વિસ્તાર અને રાજ્યના રાજકારણમાં એક મોટો ખાલીપો સર્જાયો છે, તેમજ વિધાનસભાની એક બેઠક પણ ખાલી પડી છે.

 
આ લોકનેતાના નિધન પર અનેક દિગ્ગજ નેતાઓ અને રાજકીય આગેવાનોએ ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર પોસ્ટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમણે દુઃખ વ્યક્ત કરતા લખ્યું હતું કે, ઉમરેઠના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પરમારના દુઃખદ અવસાનના સમાચાર સાંભળી હૃદય દ્રવી ઉઠ્યું છે, પરમાત્મા તેમના દિવ્ય આત્માને શાંતિ આપે અને પરિવારને આ આઘાત સહન કરવાની શક્તિ પ્રદાન કરે.