ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગાંધીનગરઃ , શનિવાર, 3 જૂન 2023 (15:27 IST)

World Environment Day - ગુજરાતમાં દરિયા કાંઠા વિસ્તારોનું ધોવાણ અટકાવવા 11 જિલ્લાની 25 સાઈટો પર મંત્રીઓ ચેરના રોપા વાવશે

દરિયાકાંઠા વિસ્તારોનું ધોવાણ અટકાવવા અને દરિયાઈ પવનોને આગળ વધતા અટકાવવામાં મેન્ગ્રુવ(ચેર)ની અગત્યની ભૂમિકા
 
વડાપ્રધાન મોદી  વર્ચ્યુઅલ માધ્યમથી દેશમાં MISHTI કાર્યક્રમનો કરાવશે શુભારંભ
 
 વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાન મોદી વર્ચ્યુઅલ માધ્યમથી મેન્ગ્રુવ ઇનિશિયેટિવ ફોર શોરલાઇન હેબિટ્સ એન્ડ ટેન્જિબલ ઇનક્મ્સ (MISHTI) કાર્યક્રમનો દેશવ્યાપી શુભારંભ કરાવશે. જે અંતર્ગત ગુજરાતના 11 જિલ્લાઓની અંદાજિત 25 સાઇટ્સ પરથી પણ શુભારંભ કરવામાં આવશે. આ 11 જિલ્લાઓમાં અમદાવાદ,આણંદ,કચ્છ,જામનગર, દેવભૂમિ દ્વારકા,નવસારી,ભરૂચ, ભાવનગર,મોરબી,વલસાડ અને સુરત જિલ્લાનો સમાવેશ થાય છે કે જ્યાં MISHTI કાર્યક્રમ હેઠળ મંત્રીમંડળના સભ્યો સહિત અન્ય મહાનુભાવોના હસ્તે મેન્ગ્રુવ (ચેર)નું વાવેતર કરવામાં આવશે. 
 
કાંઠા વિસ્તારનું ધોવાણ અટકાવે છે
પર્યાવરણના જતનમાં મેન્ગ્રુવ (ચેર) કેટલી અગત્યતની ભૂમિકા ભજવી શકે છે તેને ધ્યાને લઇને જ સરકારે મેન્ગ્રુવના વાવેતર માટેના કાર્યક્રમ MISHTIની શરુઆત કરી છે. દરિયાઈ વિસ્તારમાં વિવિધ પ્રકારની જીવસૃષ્ટિ ધરાવતું મેન્ગ્રુવ(ચેર) દરિયાની ભરતીના મોજાથી કાંઠા વિસ્તારનું ધોવાણ અટકાવે છે. મેન્ગ્રુવના મૂળ જમીનના ધોવાણથી આવેલ કાંપને અસરકારક રીતે પકડીને ફિલ્ટરનું કામ કરે છે. ખારાશવાળા સખત દરિયાઈ પવનોને મેન્ગ્રુવ આગળ વધતા અટકાવે છે. મેન્ગ્રુવ મોટા જથ્થામાં પાંદડા ઉત્પન્ન કરે છે જેમાંથી ઉત્પન્ન થતો સેન્દ્રિય બાયોમાસ દરિયાઈ જીવો માટે ખોરાક તરીકે કામ આવે છે. મેન્ગ્રુવના વૃક્ષો વિવિધ પ્રકારના પક્ષીઓને રહેઠાણ તેમજ સંવર્ધન અને આશ્રયસ્થાન પુરૂં પાડે છે. મેન્ગ્રુવ સ્થાનિક હવામાન સુધારે છે. સ્થાનિક લોકોને બળતણ,ચરિયાણ તેમજ લાકડા મેળવવાનો મેન્ગ્રુવ અગત્યનો સ્ત્રોત છે. ફીશીંગ નેટના ટ્રેનિંગ માટે માછીમારો રાઈઝફોરા અને સીરીઓપ્સના મેન્ગ્રુવ વૃક્ષોની છાલનો ઉપયોગ કરે છે.
 
પર્યાવરણના સંવર્ધનમાં વધારો કરાશે
આગામી તા. ૫મી જૂન, વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં પણ વિવિધ સ્થળોએ અનેકવિધ કાર્યક્રમો હાથ ધરાનાર છે.જેનો હેતું રાજ્યના સમસ્ત નાગરિકોને પર્યાવરણ ના મહત્વથી અવગત કરાવીને પર્યાવરણના સંવર્ધનમાં વધારો કરવાનો છે.જેના માટે સરકાર કટિબદ્ધ છે. MISHTI કાર્યક્રમમાં જૈવવિવિધતા, કાર્બન સ્ટોક,પર્યાવરણીય પર્યટનની તકો અને સ્થાનિક સમુદાયો માટે આવક પેદા કરવા તથા મેન્ગ્રુવના શ્રેષ્ઠ ઉપયોગ સહિત વેટલેન્ડ્સના અનન્ય સંરક્ષણ મૂલ્યોને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે. MISHTIના અન્ય ઉદ્દેશ્યોમાં પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ દ્વારા વૃક્ષારોપણની તકનીકો,સંરક્ષણ પગલાં, વ્યવસ્થાપન પ્રણાલીઓ અને સંસાધનોનું એકત્રીકરણ અંગેની શ્રેષ્ઠ પદ્ધતિઓની વહેંચણીનો પણ સમાવેશ થાય છે.