બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. સુરત ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 31 જુલાઈ 2020 (12:58 IST)

સુરત સિવિલનો કિસ્સોઃ વૃદ્ધાનું મોત થયાના 11 મા દિવસે ફોન આવ્યો, માતાની તબિયત સારી છે

બેકાબૂ કોરોના સંક્રમણ વચ્ચે સુરત સિવિલ હોસ્પિટલની વધુ એક લાલીયાવાડી સામે આવી છે. જેમાં કોરોનાગ્રસ્ત વૃદ્ધાના મૃત્યુના 11મા દિવસે તેના પુત્રને ફોન કરી જાણ કરવામાં આવી હતી. જેમાં તમારા માતાની તબિયત સારી છે, રેગ્યુલર દવા લે છે તેવું જણાવ્યું હતું. મળતી માહિતી પ્રમાણે, બમરોલી વિસ્તારમાં આવેલા ગીતાનગરમાં રૂકમાબેન સુર્યવંશી પરિવાર સાથે રહેતા હતા. ગત 18 જુલાઈના રોજ કોરોનાના શંકાસ્પદ લક્ષણો સાથે 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બીજા દિવસે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તેમને G-19 વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. દરમિયાન ગત 20 જુલાઈના રોજ રૂકમાબેનની તબિયત સારી હોવાનું પરિવારને જણાવ્યું હતું. ત્યારબાદ સાંજે 4 વાગ્યે હાલત ગંભીર હોવાનું કહીં તેમના પુત્ર પવનને જૂની બિલ્ડીંગમાં G-4 વોર્ડમાં બોલાવ્યો હતો. કાગળ પર વૃદ્ધાના પુત્રની સહી લીધાના કેટલાક કલાકોમાં રૂકમાબેનના મૃત્યુની જાણ કરાઈ હતી. માતા રુકમાબેનનું મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું હતું. દરમિયાન ગત રોજ 30 જુલાઈએ સિવિલ હોસ્પિટલના કંટ્રોલ રૂમમાંથી રુકમાબેનના પુત્ર પવન પર ફોન આવ્યો હતો કે, તમારા માતાની તબિયત સારી છે, રેગ્યુલર દવા લે છે, તેમને જલ્દી સારા કરવાના પ્રયાસ ચાલી રહ્યા છે, તમને ફોન કરે છે કે નહીં? જેથી પુત્ર વિચારમાં પડી ગયો હતો.