શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. સુરત ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 14 ઑગસ્ટ 2020 (16:28 IST)

સુરતની શેરીઓમાં પૂરના પાણી, આ ડેમમાંથી પાણી છૂટશે તો સ્થિતિ વધુ બગડશે

ગુજરાતના ડાયમંડ સિટીમાં હાલ ખાડી પૂરની સ્થિતિ સર્જાઈ છે. 2006ના પૂર બાદ ફરી સુરતની શેરીઓમાં પૂરના પાણી ઘૂસ્યા છે. ખાડી કિનારાના લિંબાયત, બમરોલી, સરથાણા અને પરવત પાટીયા વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. લોકોના ઘર સુધી ખાડીના પાણી પ્રવેશી જતાં લોકોમાં ખાડી પૂરનો ગભરાટ જોવા મળી રહ્યો છે. શહેરની પાંચ ખાડીઓ પૈકીની ચાર ખાડીઓ ઓવરફ્લો થઈ ગઈ છે. જ્યારે એક ખાડી ઓવરફ્લો થવા આવી છે. સવારે 6થી 2 વાગ્યા સુધીમાં સુરત સિટીમાં 4 ઈંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. આ સાથે જિલ્લાના માંગરોળમાં 7 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે હજુ પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. આ સાથે ઉકાઈ ડેમમાંથી પણ પાણી છોડવાની તૈયારી કરાઈ છે. જેને પગલે શહેરમાંથી પાણી તાપી નદી ન જાય તો ભયાનક પરિસ્થિતિ થઈ શકે છે. જેના પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરત કલેક્ટર અને પાલિકા કમિશનર સાથે વાત કરી વરસાદની સ્થિતિનો તાગ મેળવ્યો છે.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરત કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર સાથે વાત કરીને વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે. આ સાથે તંત્રને એલર્ટ રહેવા સૂચના આપી છે. જ્યારે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને ત્વરિત સુરક્ષિત સ્થાને પહોંચાડવા આદેશ કર્યો છે. ઉકાઈ અને આંબલી ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાતા અસરગ્રસ્ત ગ્રામજનોને સુરક્ષિત જગ્યાએ ખસેડવા સૂચના આપી છે. આ સાથે ઉકાઈ અને આંબલી ડેમમાંથી ધીમે ધીમે પાણી છોડવા સિંચાઈ વિભાગને સૂચના પણ આપી છે.