રવિવાર, 28 એપ્રિલ 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: સોમવાર, 5 જૂન 2023 (17:58 IST)

નશામાં ચકચૂર થઈને બીભત્સ માગણી કરતાં વિધવા બહેને હવસખોર ભાઈને પતાવી દીધો

crime scene
નડિયાદના મંજીપુરા ગામે દારૂના નશામાં ચકચૂર ભાઈએ જ વિધવા બહેન સાથે બીભત્સ માગણી કરતાં બહેને આવેશમાં આવી ધારિયું મારી ભાઈની હત્યા કરી હતી. હત્યા બાદ બહેને ઘરમાં ભાઈ આકસ્મિક પડી ગયા હોવાનું પોલીસમાં જણાવતાં પોલીસે અપમૃત્યુની નોંધ કરી હતી. જોકે બાદમાં પોલીસને શંકા જતાં પેનલ પીએમ કરાવ્યું હતું, જેમાં કોઝ ઓફ ડેથ થયું હોવાનું ઉજાગર થતાં મૃતકની બહેનની પૂછપરછ કરતાં તેણે ગુનો કબૂલી લીધો હતો. આ કેસમાં મૃતકનાં પત્ની કે પરિવારજનોએ ફરિયાદ ન નોંધાવતાં પોલીસે જાતે જ ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
 
પ્રાપ્ત વિગતો પ્રમાણે નડિયાદના મંજીપુરા ગામે પ્રજાપતિ ફળિયામાં રહેતો સુનીલ બચુભાઈ પરમાર ગત 3 જૂનના રોજ પોતાના ઘરે આકસ્મિક રીતે પડી જતાં મોત નીપજ્યું હોવાની વર્ધી કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાંથી નડિયાદ રૂરલ પોલીસમાં આવી હતી, જેથી પોલીસે પહોંચી તપાસ હાથ ધરી હતી. એમાં મૃતકની વિધવા બહેને પોલીસ સમક્ષ નિવેદન આપ્યું હતું કે તેનો ભાઈ ઘરમાં આકસ્મિક રીતે પડી જતાં તેને ઇજાઓ પહોંચતાં તે બેભાન થઇ ગયો હતો. જેથી તેને હોસ્પિટલ લઇને આવ્યા છીએ. જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો છે. જેથી પોલીસે સૌપ્રથમ અપમૃત્યુની નોંધ કરી તપાસ હાથ ધરી હતી. 
 
ડેડબોડી જોતાં પોલીસને શંકા ગઇ હતી, કારણ કે મૃતક સુનીલ પરમારને નીચે પાછળ બોચીના ભાગે કોઈ તીક્ષણ હથિયારની ઇજા થયેલાનો ઘા પડેલો હતો તેમજ માથાના ઉપર ડાબી બાજુના ભાગે પણ તીક્ષ્ણ હથિયારનો ઘા પડેલો જોવા મળ્યો હતો. આ ઉપરાંત ડાબી આંખ પાસે ઇજા થઇ હોવાનું જણાયું હતું. કાનમાંથી લોહી નીકળતું હતું અને ગળા ઉપર ખૂબ જ લોહી ચોટેલું હતું. જેથી પ્રથમ દૃષ્ટિએ પડી જવાથી નહિ, પણ કોઇકે સુનીલને તીક્ષ્ણ હથિયારથી માથામાં તેમજ માથાની પાછળ બોચીના ભાગે માર મારતાં મોત નીપજ્યું હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું જેથી પોલીસે પેનલ પીએમ કરાવતાં રિપોર્ટમાં કોઝ ઓફ ડેથ થયું હોવાનું ઉજાગર થયું હતું.
 
પેનલ પીએમમાં કોઝ ઓફ ડેથનો ખુલાસો થતાં પોલીસે આ દિશામાં તપાસ કરી અને આસપાસના રહીશોની પૂછપરછ કરતાં મૃતક સુનીલને તેની વિધવા બહેન સંગીતા સાથે કોઈ બાબતને લઈને ઝઘડો થયો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે મૃતકની બહેન સંગીતાની કડક પૂછપરછ કરતાં તે ભાગી પડી હતી અને હકીકત વર્ણવતાં તેણે જણાવ્યું હતું કે ગત 2 જૂનના રોજ ‌સાંજના સમયે હું ઘરે રોટલા બનાવતી હતી. એ વખતે સુનીલ દારૂ પીને ઘરે આવ્યો હતો અને તેણે તેનું પેન્ટ ઉતારી નાખી તેનો હાથ પકડી ઘરમાં લઇ જવા ખેંચી તેની પાસે બીભત્સ માગણી કરી હતી.
 
સંગીતાએ કબૂલાત કરતાં પોલીસને જણાવ્યું હતું કે ધારિયુ પગમાં મારવા જતાં તે નીચે નમી જતાં તેના બોચીના ભાગે વાગી ગયું હતું, જેથી ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને માર માર્યો હતો. ત્યાર બાદ ભાઇ બેભાન થઇ જતાં દંડો અને ધારિયું સંતાડી દીધું હતું. ત્યાર બાદ બેભાન ભાઇને હોસ્પિટલ લઇને આવી હતી જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવમાં ફરિયાદ કરવા મૃતકની પત્ની કે પરિવારજનો તૈયાર ન થતાં પોલીસ જાતે ફરિયાદી બની છે.નડિયાદ ગ્રામ્ય પોલીસે આરોપી મહિલાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.